Sunday, March 22, 2026

અજંતા-ઈલોરા: અનામી શિલ્પીઓએ કાળમીંઢ અગ્નિકૃત ખડકોમાં કંડારેલી ઈશ્વરોની અજાયબ સ્વપ્નસૃષ્ટિ (ભાગ-૪)

 ઈલોરાથી પાછા ફરતી વેળા અમે નક્કી કરેલું કે દૌલતાબાદનો કિલ્લો તો નહિ જોઈ શકાય પણ ઔરંગાબાદના લોકલ સ્થળો ‘પનચક્કી’ (જળ ચક્કી/water mill) અને ‘બીબી કા મકબરા’ એ બે સ્થળો જોઈશું. પણ મેં એક એવા સ્થળની જિક્ર કરી કે અમારામાંથી એક મિત્ર છેડાઈ પડ્યો. ચાલતી ગાડીમાં જે સ્થળ જોવા- ના જોવા અંગેની ચર્ચા ચાલી એ સ્થળ એટલે ઔરંગઝેબ આલમગીરની મઝાર. મઝારની વાત કરતા પહેલા થોડું ઔરંગઝેબ વિશે.

ભારતના મધ્યકાલીન ઇતિહાસનું એક વિવાદાસ્પદ પાત્ર એટલે ઔરંગઝેબ. બાબરથી શરુ કરીને હિન્દ પર સલ્તનત-એ-મુઘલીયાના જે છ પ્રભાવી શાસકો એક પછી એક આવ્યા એમાં છેલ્લો શાસક એટલે ઔરંગઝેબ (૧૬૧૮-૧૭૦૭). જયારે એક હિંદી વ્યક્તિની સામાન્ય આયુષ્યરેખા ફક્ત ૩૫ વર્ષ હતી ત્યારે અને એના પૂર્વજો બાબર (૪૭ વર્ષ), હુમાયું (૪૮ વર્ષ), અકબર (૬૩ વર્ષ), જહાંગીર (૫૮ વર્ષ), શાહજહાં (૭૪ વર્ષ)ની સરખામણીમાં ઔરંગઝેબ તો ૮૮ વર્ષનું લાં...બું આયુષ્ય ભોગવીને સુપર્દ-એ-ખાક થયો હતો. મિનરલ કે આર.ઓ.ના પાણી, ઓર્ગેનિક ફૂડ, પાસ્ચરાઈઝ દૂધ, મલ્ટીવિટામીનની ટીકડીઓ, સ્પેશીયાલીસ્ટ ડોક્ટર્સ/સર્જન્સ અને એલોપથીની દવાઓ વગર જ તે આટલું લાબું આયુષ્ય ભોગવી શક્યો હતો! શાહજહાંના ત્રીજા પુત્ર તરીકે દાહોદમાં જન્મેલા ઔરંગઝેબના બાળપણ અને કેળવણી વિશે કોઈ ખાસ પ્રમાણભૂત માહિતી મળતી નથી. નવાઈ લાગે કે ચોવીસ વર્ષની યુવાવયે તેણે સંસારમાંથી ‘સંન્યાસ’ લેવાનું જાહેર કર્યું અને પશ્ચિમ ઘાટની ગિરિકંદરાઓમાં ભરાઈને ફકીરનું જીવન જીવવા લાગેલો. કેટલાક ટીકાકારોને મતે આ બધી સાદગી અને વીતરાગ પાછળ બીજું કશું નહિ પણ ભવિષ્યની તખ્તનશીની માટે પ્રબળ મહત્વાકાંક્ષી ખંધાનો ઢોંગ અને કુટિલ ગણતરીઓ હતી. જોકે એની ફકીરીયતનો આંચળો ઝડપથી ફગાવીને એ ડેક્કન (દક્ષિણ) પ્રાંતના વાઈસરોય તરીકેની પોતાની ભૂમિકામાં આવી ગયો. મોઘલકાળમાં ખાનદેશ, બીજાપુર, બેરાર, ઔરંગાબાદ, હૈદરાબાદ અને બીદરની રિયાસતોના બનેલા પ્રદેશને ડેક્કન તરીકે ઓળખવામાં આવતો. આમાં વિસ્તારવાદની નીતિમાં માનનારા ઔરંગઝેબે બીજાપુરની આદિલશાહી, ગોલકોંડાની કુતુબશાહી અને બીદરની સલ્તનતોને જીતીને ડેક્કનમાં ભેળવી દીધી હતી.
મુઘલ શાસકોમાં સત્તા માટે સગાં ભાઈઓ વચ્ચે ખૂનામરકીની નવાઈ નહોતી અને વખત આવ્યે બેટો સગાં બાપને પણ તખ્તચ્યુત કરતા ખચકાતો નહિ. શાહજહાંને આ વાતનો ફડકો હતો. એટલે શાહજહાંએ પહેલેથી જ પોતાના ચારેય પુત્રો – દારા શિકોહ, મુરાદ બક્ષ, શાહ શુજા અને ઔરંગઝેબને આગ્રાથી દૂરના પ્રદેશોમાં સૂબાઓ તરીકે મોકલી દીધા હતા. જોકે શાહજહાંની તબિયત ના-સાઝ થઇ અને દરબારમાં આવવાનું બંધ કર્યું ત્યારે એના સૌથી મોટા પુત્ર દારાએ સત્તાનો દોર હાથમાં લઈને પિતા વતી શાહી ફરમાનો જારી કરવા માંડ્યા. દારાની આ ચેષ્ઠાથી ક્રોધે ભરાયેલા બાકીના ભાઈઓએ બગાવત કરી અને પછી આગ્રાની તખ્તનશીની માટે પરસ્પર જંગ છેડાયો એમાં છેવટે ઔરંગઝેબ ફાવ્યો. બુઢા બાપને આગ્રાના કિલ્લામાં કેદ કરીને એણે ઈ.સ.૧૬૫૮ સત્તા હસ્તગત કરી. પોતાના ભાઈ દારાની કતલ કરી અને બાકીના બેય ભાઈઓને નમાવ્યા. ઔરંગઝેબની તાજપોશી સાથે હિન્દની પ્રજા માટે મોકાણનો કાળ શરુ થયો એમ કહી શકાય.
જો દારા શિકોહ ઉદારમતવાદી અને સહિષ્ણુતા ધરાવતો હતો તો આ ઔરંગઝેબ ચુસ્ત મજહબી હોવા સાથે કટ્ટરવાદી હતો. આ ઔરંગઝેબ પંગા લેવાનો શૌખીન હતો અથવા કહો કે એને તલવારને નાગી રાખવાની કોઈ શેતાની ચળ હતી. આગ્રા કે દિલ્હીમાં તખ્ત પર તશરીફ ટેકવીને જ્લ્સાથી રાજ કરવાની જગ્યાએ ડેક્કનમાં મરાઠાઓ, બીજાપુર અને ગોલકોંડા સલ્તનતના શાસકો સાથે યુદ્ધો કરીને મુઘલ સલ્તનતનો વિસ્તાર કરવામાં જ પોતાનો જીવનકાળ, અસંખ્ય યોદ્ધાઓના જીવ અને સલ્તનતનો શાહી ખજાનો ખર્ચી કાઢ્યો. એના મૃત્યુ પછી એક પછી એક નિર્વીર્ય મોઘલ શાસકોની વણઝાર દિલ્હીના તખ્ત પર આવતી ગઈ અને મરાઠાઓ, અંગ્રેજો, શીખો અને અન્ય લડાયક કોમો મુઘલસત્તા હેઠળના પ્રદેશોમાં લૂંટમારથી લઈને પ્રદેશોના કટકાબટકાં કાપતા ગયા તે શાસનની સરહદો એટલી તો સંકોચાઈ કે ઈ.સ. ૧૭૫૯માં સત્તા પર આવેલા શાહ આલમ (બીજા)ના સમયે મશ્કરીમાં લોકો એમ કહેતા કે ‘સલ્તનત-એ શાહ આલમ, અઝ દિલ્લી તા પાલમ’ ( શાહ આલમનું રાજ કેટલું? ફક્ત દિલ્હીથી પાલમ જેટલું!). ખેર, જિંદગીભર મારકાટ કરી, શીખ ધર્મગુરુનો જાહેરમાં શિરોચ્છેદ કરી, હિંદુઓના મંદિરો ભાંગી, એમની પર જજિયાકર નાખી, હિંદની પ્રજાઓને રંજાડી આયુષ્યના અમૂલ્ય વર્ષો યુદ્ધછાવણીઓમાં હોમી દેનાર ઔરંગઝેબને એના જીવનના અંતકાળે લાધ્યું કે સાલું, મેં જે કર્યું એ ભારે ખોટું કર્યું. કથિતરૂપે પોતાના પુત્રને લખેલા એક પત્રમાં એણે વસવસો કરતા લખ્યું છે: “આ દુનિયામાં હું એક અજનબી તરીકે આવ્યો, અને એક અજનબી તરીકે જ વિદાય લઇ રહ્યો છું. મારા વિશે હું કંઈ જાણતો નથી, હું કોણ છું, અને મારે શું કરવું છે... આ દુનિયાને મેં કંઈ જ આપ્યું નથી અને આજાર અવસ્થા સિવાય કંઈ મેળવ્યું નથી. મને જન્નત મળશે કે કેમ અને મારે મારા કર્મોની સજારૂપે કેવી યાતનાઓ સહેવાની આવશે એનો મને ભય સતાવે છે. ખુદાતાલા તો રહેમદિલ છે પણ છતાં મારા જ પાતકી કર્મો આડે આવશે એનો મને ભય છે.... ખેર, હવે તો આ નૌકા ઝુકાવી મેં જળપ્રવાહમાં...અલવિદા!” કોઈને આ વસવસો નાટકીય અને નકલી લાગી શકે તો કોઈને અંતકાળે લાધેલ સાચુકલું આત્મજ્ઞાન.
કદાચ આખી જિંદગી પોતે આચરેલી ખૂનરેજીથી ડરીને જયારે કયામતનો દિવસ આવે ત્યારે અલ્લાહ થોડો રહેમોકરમ કરે એ માટે એણે ઔરંગાબાદમાં આવેલી પોતાની રાણી દિલરસ બાનુ બેગમની મઝારની બાજુમાં દફન થવાને બદલે ઔરંગાબાદથી ૨૫ કિ.મી. દૂર ખુલ્દાબાદમાં સૂફી સંતોની દરગાહોની પડખે દફન થવાનું પસંદ કર્યું હતું. આમ તો ઔરંગઝેબનું મૃત્યુ અહમદનગરની છાવણીમાં ઈ.સ. ૧૭૦૭માં થયું હતું પણ તેની અંતિમ ખ્વાહીશ તેના આધ્યાત્મિક ગુરુ સૈય્યદ ઝૈન-ઉદદ્દીન-શિરાઝી (મૃત્યુ: ઈ.સ. ૧૩૭૦)ની મઝારની બાજુમાં દફન કરવામાં આવે એવી હતી. એટલે પુત્ર આઝમ શાહ અને પુત્રી ઝીનત-ઉન-નિસ્સા એનું શબ ખુલ્દાબાદ લઇ ગયા હતા. કહે છે કે ઔરંગઝેબે જિંદગીના અંતિમ વર્ષોમાં પોતે ટોપીઓ સીવીને અને કુરાનની નકલો તૈયાર કરીને કમાયેલા પૈસા – ફક્ત ૧૪ રૂ. અને ૧૨ આના- માંથી પોતાની મઝાર બનાવવા કહ્યું હતું. આમ તો અહીં આસપાસમાં જ ૧૪૦૦ જેટલા સૂફીઓ દફન છે. આટલા બધાં સૂફી ઔલિયા દિલ્હી, આગ્રા કે અજમેરની જગ્યાએ અહીં એટલા માટે છે કે ઇતિહાસમાં માથાફરેલ સુલતાન તરીકે પંકાયેલા મુહમ્મદ બિન તુઘલકે મોંગોલ અને અફઘાન આક્રમણખોરોથી બચવા ઉત્તરે દિલ્હીથી ૧૨૫૦ કિ.મી. દૂર ઔરંગાબાદની નજીક આવેલા દૌલતાબાદમાં ઈ.સ. ૧૩૨૭માં પોતાની રાજધાની થોડા સમય માટે ખસેડી ત્યારે અનેક સૂફીઓએ પણ અહીં નજીક આવેલા ખુલ્દાબાદમાં ડેરાતંબુ તાણ્યા હતા. પ્રશ્ન એ થાય કે આ સૂફી ગુરુઓએ પોતાના આ ‘શિષ્ય’ને પાતકો કરતા વાર્યો કેમ નહિ હોય? કે પછી આ સૂફીઓએ સત્તા આગળ શાણપણ નકામું કરીને શાહમૃગવૃત્તિ દાખવી હશે?
ખેર, મને ઔરંગઝેબની મઝાર જોવાનું એટલે કુતુહલ હતું કે સલ્તનત-એ-મુઘલીયાના પાંચે શાસકોના ઉત્તર ભારતમાં ભવ્ય મકબરા અને સામે ડેક્કનમાં ઔરંગઝેબનો સીધોસાદો મકબરો કેમ? ઈલોરા ગુફાઓથી ઔરંગાબાદ જવાના હાઈવે પર ચારેક કિલોમીટર દૂર ખુલ્દાબાદ આવેલું છે. દેખીતી રીતે જ ખુલ્દાબાદ મુસ્લિમ આબાદીવાળું ટાઉન છે. ખુલ્દાબાદનો અર્થ થાય છે abode of eternity/ જન્નતનું ઘર. જોકે જન્નતમાં પ્રવેશ થતો હોય એવું તો અમને લગીરે ય જણાયું નહિ. ખુલ્દાબાદ ટાઉનનું નામ તો પહેલા રૌઝા હતું પણ ઔરંગઝેબને મરણોત્તર ‘ખુલ્દ મકાં’નો ખિતાબ આપ્યા પછી એનું નામ ખુલ્દાબાદ થઇ ગયું. એક કાલગ્રસ્ત મોઘલાઈ દરવાજામાંથી અંદર પહોંચીને અમે મઝાર નજીક ગાડી પાર્ક કરી. મારા બન્ને મિત્રો આવા સંધ્યા ટાણે અજાણ્યા મુસ્લિમબહુલ વિસ્તારમાં આવીને થોડો અજંપો અનુભવતા હતા. સાચું કહું તો મારા મનમાં પણ અજંપો હતો કારણકે આપણે આપણો comfort zone છોડીને આ રીતે ક્યારેય એકલા મુસ્લિમધર્મ ધરાવતી વસ્તી વચ્ચે ફર્યા ન હોઈએ. હવામાં એક જાતનો બોજ, એક ભારીપન વર્તાય. વળી, આ કોઈ ટુરિસ્ટ પ્લેસ પણ નહોતું કે લોકો અને માહોલ ટુરિસ્ટ ફ્રેન્ડલી દેખાય. અધૂરામાં પૂરું હજુ ગયે વર્ષે મહારાષ્ટ્રના એક રાજકીય પક્ષે આ મઝાર તોડી નાખવા અંગે તત્કાલીન મુખ્યમંત્રીને જણાવ્યું હતું એટલે થોડા સમય માટે અહીં માહોલ તંગ થઇ ગયો હતો. ગાડીમાંથી ઉતરીને બન્ને મિત્રોએ મને આગળ કર્યો કે આ વિસ્તારમાં અમે તો તને અનુસરશું. એકાદ રાહદારીને રસ્તો પૂછીને જાણે અમારા પર ગમે-તે દિશામાંથી હલ્લો થઇ જવાનો હોય તેવા અજંપા સાથે અમે ઔરંગઝેબની મઝાર જ્યાં આવેલી છે એ સંકુલના દ્વારે પહોંચ્યા ત્યારે સાંજના ૬:૦૦ વાગ્યા હતા. નમાઝનો સમય હતો. પૂરી થયાની રાહ જોવી કે કેમ એની અવઢવમાં હું હતો ત્યારે વાય.સી. એ કહ્યું કે એમ કંઈ રાહ ન જોવાની હોય આ તો ઐતિહાસિક સ્મારક છે. ચૂપચાપ અંદર પ્રવેશ્યા. જોયું તો પુરુષો અને સ્ત્રીઓ પણ મસ્જિદમાં ભેગા થયેલા હતા. આસપાસ વધુ કંઈ ન જોતા એકાદ જણને પૂછીને જે તરફ ઔરંગઝેબની મઝાર હતી ત્યાં બહાર જૂતાં ઉતારીને બા-અદબ પ્રવેશ્યા.
જે શાસકનું સામ્રાજ્ય પશ્ચિમે કંધારથી પૂર્વે બંગાળના ચિતાગોંગ બંદર સુધી અને ઉત્તરે કાશ્મીરથી દક્ષિણે તમિલનાડુના જિંજી સુધી લગભગ ૭.૫ લાખ કિલોમીટરના પ્રદેશમાં ફેલાયેલું હતું એ શાસકની મઝાર અહીં એકદમ દસ બાય દસના રૂમ જેટલી સીધીસાદી અને ગુંબજ વિનાના ખુલ્લા આકાશી ચંદરવા તળે આવેલી હતી. અહીં નમાઝ પઢીને હમણાં જ ઉભા થયેલા એક અંધ ખદીમે અમને આવકાર્યા. ઇંગ્લીશમાં વાતચીતની શરૂઆત કરી. પોતે આ જગ્યાની દેખરેખ રાખે છે એમ કહીને અમારો પરિચય માંગ્યો. અમારો પરિચય આપ્યો પછી એમણે મઝાર વિશે માહિતી આપવા માંડી. મઝારની એક તરફ તકતી મુકેલી છે એના પર ઉર્દુ અશઆરમાં ઔરંગઝેબનું આખું નામ લખેલું છે. લોહીરંગ્યા હાથોવાળા શાસકની મઝાર પરની ચાદર પણ રંગબેરંગી મખમલી હોવાની જગ્યાએ બગલાંની પાંખ જેવી સફેદ હતી. એ અંધ ખદીમે કહ્યું કે લોર્ડ કર્ઝન જયારે આ મઝારની મુલાકાતે આવ્યો ત્યારે એણે અહીં તેણે માર્બલની ફરસ અને એની ઉપર જાળીબંધ આડશ કરી આપી હતી. ઔરંગઝેબે કહેલું કે મારી મઝાર ખુલ્લી રાખજો અને એમાં કોઈ સબ્જીનો છોડ ઉગાડજો. અમે જયારે આ મઝારની મુલાકાત લીધી ત્યારે મઝાર પર ડમરાનો છોડ ઉગાડેલો હતો. નવલકથાકાર અને કવિ મકરંદ પરાંજપેએ એમના એક પુસ્તકમાં લખ્યું છે કે આ ઘાતકી અને કટ્ટર શાસકની અહીં ખુલ્લી મઝારમાં તેમણે તુલસીનો છોડ જોયો. તુલસી તો ઔરંગઝેબે જે હિંદુઓને પીડ્યા એ હિંદુઓનો પવિત્ર છોડ. કદાચ હિંદુસ્તાને એક હિંદુદ્વેષી શાસકને પણ છેવટે આ રીતે પોતાનો કરીને જ છોડ્યો. આ વાત જ ભારતીય/હિંદુ પરંપરાની સર્વસમાવેશકતા દર્શાવે છે. આજની તારીખે પણ હિંદુઓને અકબર માટે કેમ હજુ આદરભાવ છે? કારણકે એણે ધાર્મિક સહિષ્ણુતાનો માર્ગ સ્વીકાર્યો હતો. ધાર્મિક સહિષ્ણુતા દાખવનારા ઇસ્લામી શાસકો રાજધાનીમાં રહીને તમામ એશ-ઓ-આરામ સાથે તખ્ત અને તાજ ભોગવી શક્યા જયારે ઔરંગઝેબ જેવા કટ્ટરવાદીએ રાજધાનીથી સેંકડો કિલોમીટર દૂર ફેંકાઈને તંબુઓમાં જીવન ગુજારવું પડેલું.


ખેર, મઝારના આ અંધ ખદીમે પોતાની વાત પૂરી કર્યા પછી દુઆ પઢી એ પછી અમે અહીંથી બહાર નીકળીને બાજુમાં આવેલ ઝૈન-ઉદદ્દીન-શિરાઝી દરગાહની પાછળ આવેલી એક જગ્યા તરફ ગયા. અહીં એક ચેમ્બરની બંધ જાળી પાસે જે ખદીમ બેઠા હતા એમણે ત્યાં દીવાલ પરની તકતીમાં ચિસ્તી ફીરકાના સુફીઓના ક્રમવાર નામ બતાવીને સમજાવવા માંડ્યું કે શેખ ઝૈન-ઉદદ્દીન-શિરાઝી ચિસ્તી પરંપરામાં બાવીસમાં ખ્વાજા હતા અને મૃત્યુ સમયે એમને કહેવામાં આવ્યું કે ચિસ્તી પરંપરામાં નવા વારસનું નામ જાહેર કરો ત્યારે એ ખામોશ રહ્યા હતા અને એમણે કોઈ વારસ નીમ્યા નહોતા. જાળીની અંદર ચેમ્બરમાં શું છે એ દેખાતું નહોતું કારણકે આગળ તો ચાદર ઢાંકેલી હતી. આ બીજા ખદીમના બયાન પરથી અમે જેટલું સમજ્યા એ મુજબ અંદર મહોમ્મદ પયગંબરનું પૈરાહન (પહેરણ) રાખવામાં આવ્યું છે જેને વર્ષમાં એક વખત પૈરાહન મુબારક વખતે નજીકમાં કાચની એક પેટી મુકેલી છે ત્યાં ઝિયારત (દર્શન) કરાવવામાં આવે છે જે દિવસે ૧૮-૨૦ લાખ લોકો આવે છે. આટલી વાત કર્યા પછી એ ખદીમે અમારે માટે દુઆઓ પઢી. અલ્લા આપકે જાનો-માલ કિ હિફાઝત કરે...સલામતી રખે...કારોબાર-ઘર-મકાનમેં ખૈર-ઓ-બરકત દે વગેરે. અમે એ ખદીમની વાત પૂરી થઇ એટલે આ બધું સમજાવવા બદલ એનો આભાર માની બક્ષિશ આપીને ત્યાંથી પનચક્કી જવા નીકળ્યા.
સાંજે ૬:૩૦ વાગે અમે ઔરંગાબાદ નજીક આવેલ પનચક્કી પહોંચ્યા. પનચક્કીની ૧૦/- ટિકિટ લઈને અંદર પ્રવેશ્યા ત્યાં મોટા હોજ આગળ ઉભેલા એક માણસે અમને કહ્યું કે આખા સ્થળની સમજૂતી તમને વીસેક મિનિટમાં આપીશ. ૧૦૦/- ચાર્જ. અમે ઓકે રાખ્યો અને આગે બઢો કર્યું. એનું નામ હતું જુનૈદ. આ લોકલ ગાઈડે અમને સમજાવવાની શરૂઆત કરી કે આ ૧૭મી સદીમાં બનેલી પાણીની ચક્કી મધ્યયુગીન એન્જિનિયરિંગનું ઉદાહરણ છે. છેક ૬ કિ.મી. દૂર ઉત્તરમાં જટવાડાની પહાડીઓમાં સ્થિત પાણીના સ્ત્રોતમાંથી ભૂમિગત નહેર મારફતે અહીં સુધી પાણી આવે છે. ૨૦ ફૂટ ઉંચી દિવાલ પરથી આ પાણી હોજમાં પડે છે. એક ખૂણામાં ચક્કી જે જગ્યાએ આવેલી છે ત્યાં ટર્બાઈન ગોઠવેલું છે અને પાણી જોશથી પડે છે એટલે ટર્બાઈન ફરે છે અને એના દાંડા સાથે ઉપલા મજલે ઘંટીનો પથ્થર ગોઠવેલો છે એનું પડ પણ ફરે છે. આ સંકુલમાં ઔરંગઝેબના આધ્યાત્મિક ગુરુ અને સૂફી પરંપરાના નક્શબંધી ફિરકાના એક બાબા શાહ મુસાફર કરીને સૂફીની દરગાહ આવેલી છે. ગઝદવાન, બોખારાથી (ગાઈડના કહેવા મુજબ રશિયાથી) આવેલા આ બાબાએ ગરીબોની ભૂખ મિટાવવા વાસ્તે ઘંટીથી અનાજ દળવા આવી વ્યવસ્થા ઉભી કરી હતી.
દરગાહ જોયા બાદ ગાઈડ મહાશય અમને એક ઠેકાણે પગથીયા ઉતરીને બેઝમેન્ટમાં આવેલા ‘હોલ’માં લઇ ગયા. અહીં ચૂનાથી કરેલા પ્લાસ્ટરને જોઇને વાય.સી.એ કહ્યું કે સિમેન્ટ-કોન્ક્રીટ કરતા ચૂનાની મજબૂતાઈ અનેક ગણી. સિમેન્ટ-કોન્ક્રીટ જૂનો થાય એમ ખવાય, તડતિરાડો પડે પણ આ લાઈમ મોર્ટાર વખત જતા મજબૂત થતો જાય. ગાઈડ જુનૈદના કહેવા મુજબ ઘંટીમાં દળેલું અનાજ અહીં લાવીને ગરીબ લોકોના જમવા માટે લંગર તરીકે આ ‘એ.સી.’ હોલનો ઉપયોગ થતો હતો. ‘એ.સી.’ એટલા માટે કે ઉપર હોજને લીધે કુલીંગ રહેતું હતું. અહીં એક તરફ ખામ નદી છે જે અત્યારે તો ઉકરડા જેવું નાળું દેખાય છે. પછી ગાઈડની સાથે ફરી ઉપર ગયા. અહીં સંકુલમાં પાછળની તરફ મસ્જીદ, મદ્રેસા, કચેરી, સરાઈ, ભંડાર અને મહારાષ્ટ્ર વકફ બોર્ડની ઓફીસ વગેરે હારબદ્ધ આવેલા છે. એક જગ્યાએ સંગ્રહાલય લખ્યું હતું. બહારથી લોક હતું પણ કાચમાંથી અંદર મુકેલી સાધનસામગ્રી દેખાય તેમ હતું. જોયું તો બાબાનાં ઉપયોગના સાધનો – કોઠી, બર્તન, તીરકામઠા, માળાઓ મુકેલા હતા. હવે દરગાહનો વારો. બાબા મુસાફર અને એમના શિષ્ય બાબા શાહ મહેમુદની દરગાહ આવેલી છે. આ દરગાહ બલુઆ પથ્થર (લાલ રેતીયા પથ્થર)ની બનેલી છે. અનેક સ્તંભમાળાઓ વચ્ચેથી પસાર થઈને અંદર ગયા ત્યારે બાજુ બાજુમાં આવેલી બંને દરગાહો પર માથે ભગવારંગી ફાળિયું બાંધેલો એક ખદીમ ચામર ઢાળી રહ્યો હતો. ભગવો રંગ?!! પાછળથી જાણ્યું એમ ચિસ્તી ફીરકામાં ભગવો રંગ સ્વીકાર્ય છે. ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીનો પ્રિય રંગ જ ભગવો હતો. અને દરગાહ પર તો માટીના દીવાથી રોજ ભગવારંગી ચિરાગી થાય છે. અમે જોયું કે દરગાહ પરની ચાદરોની કોરનો પટ્ટો પણ ભગવા રંગનો હતો. ખદીમે દુઆ પઢી લીધી પછી અમે બહાર આવ્યા. અહીં સંકુલમાં એક ઘટાદાર વડનું વૃક્ષ પણ ઉભું છે. એની પર ચોડેલ પાટિયા પર લખ્યું છે કે આ વૃક્ષ ઈ.સ. ૧૪૦૦થી વિદ્યમાન છે એટલેકે ૬૦૦ વર્ષ જેટલું જૂનું છે. હવે ગાઇડનું કાર્ય પૂરું થતા અમે એને મહેનતાણું આપીને છુટા પડ્યા.
અહીં પાનચક્કી સંકુલમાં પ્રવેશમાર્ગ પર જ બન્ને સેંકડો હાટડીઓ છે જ્યાં શણનાં થેલા, પર્સ, ટોપી અને પથ્થરની કોતરેલી બનાવટો મળે છે. ઈલોરામાં મળતી હતી એવી જ. કોઈ શાળામાંથી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ અહીં પણ મુલાકાતે આવ્યા હતા. તેઓ પણ બધે ફરી ફરીને રસપૂર્વક જોતા હતા. મેં એક હાટ પર પૂછ્યું કે બુદ્ધની પ્રતિમા છે. તો જવાબ મળ્યો: ના. અન્ય કોઈ હાટમાં પણ જોવા ન મળી. પછી મનમાં જવાબ મળ્યો કે મુસ્લિમધર્મી હોવાને લીધે અન્ય ધર્મના મર્ચન્ડાઈઝ ન રાખતા હોય. ત્યાં એક ઔરંગાબાદ સિલ્ક ફેબ્રિકની એક હાટ ‘હિમરું’ કાપડનું વેચાણ કરે છે. હિમરું શબ્દ પર્શિયન છે જે ‘હમ-રૂહ’ પરથી આવેલો છે અને એનો અર્થ થાય છે : એકસમાન. સિલ્ક અને કોટનના મિશ્રણમાંથી બનેલ સ્થાનિક કાપડને હિમરું કહે છે. એક જમાનામાં શાહી કુટુંબો માટે આમાં સોના અને ચાંદીના તાણાવાણા વાપરવામાં આવતા હતા પણ ‘સગાં દીઠાં મેં શાહ આલમના શેરીએ ભીખ માંગતા’ એવા આજના જમાનામાં એવો વૈભવ કોઈને પરવડે નહિ. દરેક કાપડ પર તમને અજંતા ઈલોરાનાં ગુફાચિત્રોની અને કોતરણીની પેટર્ન જોવા મળે એ એની ખાસિયત. હિમરું કાપડની અહીં ચાદરો, સાડી, શાલ અને સ્ટોલ મળતા હતા. ચાદરો ૪૦૦ રૂ. થી શરુ થતી હતી. કોઈને કંઈ ખરીદવું હોય તો ખરીદી શકાય અને ન ખરીદો તો પણ ખાસ કંઈ ગુમાવવાનું નથી. પાનચક્કી પછી અમે ગાડીમાં ગોઠવાઈ અમારા આજના છેલ્લા સ્થળ ‘બીબી ક મકબરા’ તરફ ઉપડ્યા.
બીબી કા મકબરાનું નિર્માણ આજથી ૩૫૬ વર્ષ પહેલા ઈ.સ. ૧૬૬૮માં ઔરંગઝેબના પુત્ર આઝમ શાહ દ્વારા તેની માતા દિલરસ બાનુ બેગમની યાદમાં કરવામાં આવ્યું હતું. દિલરસ બાનુ પ્રિન્સ મુહી-ઉદ-દિન જે પછી ઔરંગઝેબ તરીકે જાણીતો થયો એની પ્રથમ પત્ની હતી અને પાંચમાં સંતાનને જન્મ આપ્યા પછી તાવમાં પટકાઈને ઈ.સ. ૧૬૫૭માં ગુજરી ગયેલી. આમ તો પુત્ર આઝમ શાહ પોતાની સુપર્દ-એ-ખાક થયેલી મા પાછળ મકબરો ભવ્ય બનાવવા ઈચ્છતો હતો પણ સ્થાપત્યનિર્માણ બાબતે ઉદાસીન અને સ્વભાવે મહા કંજૂસ બાપ એવા ઔરંગઝેબે ફાળવેલા રૂ. ૭ લાખના બજેટમાંથી એની મુરાદ પૂરી થાય તેમ નહોતી એટલે પોતાની માની સાસુ મુમતાઝ મહેલના ભવ્યાતિભવ્ય મકબરા એવા આગ્રાના તાજમહેલની ઊતરતી કક્ષાની મિની આવૃત્તિ જેવો મકબરો ચણીને સંતોષ માન્યો. પ્રશ્ન એમ પણ થાય છે કે આ આઝમ શાહ જન્મ્યો હતો ઈ.સ. ૧૬૫૩માં તો માનાં મરણ વખતે ચાર વર્ષના આ કુંવરે મકબરો બનાવવાનો આદેશ આપ્યો હશે! અહીં મુકેલી ASIની તકતી પરથી જણાય છે કે ASI તો એવું જ માને છે. તાજમહેલ જેવો જ દેખાતો હોવાથી તેને દખ્ખણી તાજ (Taj of Deccan) પણ કહેવામાં આવે છે. તો તાજમહેલ કરતા ઘણાં ઓછા ખર્ચમાં એનું નિર્માણ થયું હોવાથી ‘ગરીબોનો તાજમહેલ’ પણ કહેવાય છે. આનું નિર્માણ કરનાર સ્થપતિ અતા-ઉલ્લાહ તાજમહાલના મુખ્ય સ્થપતિ ઉસ્તાદ અહમદ લાહોરીનો જ પુત્ર હતો. તે સ્થપતિ હોવાની સાથે ગણિતજ્ઞ પણ હતો અને એણે સંસ્કૃતમાં ભાસ્કરાચાર્યે લખેલ ‘બીજગણિત’ પુસ્તકનો પર્શિયનમાં અનુવાદ કર્યો હતો. આજના અમુક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની માફક એ સમયે પણ મકબરાના ચણતરમાં હલકો માલ વાપર્યો હશે કે કેમ પણ ઔરંગઝેબના જીવનકાળમાં જ એ મકબરાનું રિપેરિંગ કરાવવાની જરૂર પડી હતી! ખેર, આ નિર્માણકાર્ય સાથે સંકળાયેલા બીજા એક મહત્વના વ્યક્તિ હતા હંસપત રાય જે આજની ભાષામાં કહીએ તો ‘ઈજનેર’ હતા અને મકબરા નિર્માણનું કાર્ય એમની દેખરેખ હેઠળ થયું હતું.
અમે મકબરે પહોંચ્યા ત્યારે રાતના નવ વાગવાની તૈયારી હતી. ફટાફટ ૨૫/- રૂ. ની ત્રણ ટિકિટ લીધી અને પ્રવેશ્યા. સામે જ ઝગમગ ઝગમગ રોશનીથી ઝળહળતો મકબરો દેખાતો હતો. આજુબાજુના અંધકાર વચ્ચે આ સફેદ રંગની મિનારાઓ સહિતની ઈમારત અને એના દેખાવના ઉઠાવ માટે કરેલી રોશનીનો સોનેરી પ્રકાશ આંખ સમક્ષ સુંદર દ્રશ્યપટલ સર્જતા હતા. થોડાક નજીક જઈને અમે જેમ તાજમહાલ આગળ સૌ એની ‘ચોટી’ પકડતા હોય એવી બાલિશ મુદ્રાઓમાં ફોટા પડાવે છે એમ અહીં ફોટા પડાવ્યા. પછી અહીં ચારબાગ શૈલીથી બનાવેલા બગીચાઓ વચ્ચે ફુવારાઓ અને એની વોટર ચેનલો (જળવાહિકા)ની બેય બાજુએ વોકવે બનાવેલો હતો. વોટર ચેનલોમાં પાણી નહોતું એટલે ફુવારાઓ ચાલુ હોવાનો સવાલ નહોતો (પછી જાણ્યું કે ૩૫ વર્ષથી ફુવારાઓ બંધ છે). અમે વોકવે પર ચાલીને અમે ઈમારતનાં elevation (થાળા) સુધી પહોંચ્યા. ૧૯ ફીટ ઊંચા આ થાળાના પગથિયાં ચડતા સામે જ આકર્ષક જાળીદાર દરવાજો અને બહારની દિવાલો પર ચોખંડી ચોસલાઓ પરની ફલોરલ પેટર્નની નક્કાશી પર નજર ગઈ. ઇસ્લામમાં જીવિત વ્યક્તિ કે પ્રાણીનું ચિત્રણ વર્જ્ય હોવાને કારણે કેલીગ્રાફી, ભૌમિતિક રચના કે ફલોરલ (ફૂલદાર) રચનાઓ વિકસી છે. મોટાભાગની ફલોરલ રચનાઓમાં હિંદુ કળશ અને એમાંથી બહાર નીકળતો છોડ એના પુષ્પ અને પર્ણો સાથે જોવા મળે છે. આગ્રાનો તાજમહેલ તો સફેદ સંગેમરમરથી બનેલો છે પણ જયપુર નજીકની ખાણોમાંથી લાવેલા માર્બલથી બનેલી આ ઈમારતમાં ફક્ત ગુંબજ સંગેમરમરનો બનેલો છે અને બાકીના હિસ્સામાં સફેદ પ્લાસ્ટરનું મુલાયમ ફીનીશીંગ કરવામાં આવ્યું છે. અંદર પ્રવેશ્યા પછી ખબર પડી કે આ મકબરો બે ભાગમાં વહેંચાયેલો છે: અપર અને લોઅર. અપર ભાગમાં દીવાલબંધ અષ્ટકોણીય બાલ્કની (દીર્ઘા) આવેલી છે અને સાઈડની દિવાલોમાં બીજા માળની દીર્ઘા અને હવાની અવરજવર માટેની બારીઓ આવેલી છે. લોઅર ભાગમાં ડોમનાં કેન્દ્રની નીચે બેગમનો મકબરો આવેલો છે. અષ્ટકોણીય જાળીઓ વચ્ચે આવેલા બેગમનાં મકબરા પર લીલા રંગની ચાદર ચડાવવામાં આવી છે. અમે મકબરાને જોઇને અચંબો પામી ગયા કે ઉપરથી મુસ્લિમ મુલાકાતીઓએ મકબરા પર નોટો અને સિક્કાઓનો વરસાદ કર્યો છે જેનાં કારણે ચાદર સુદ્ધાં ઢંકાઈ ગઈ છે. અલબત્ત નીચેના ભાગમાં કોઈને પ્રવેશની પરવાનગી નથી. આ નોટ અને સિક્કાઓ હટાવવામાં નહિ આવે તો શું એક દિવસ ‘ડક ટેલ્સ’ માં બતાવે છે એમ એક દિવસ સ્ક્રુજ મેકડકના તહેખાનાની જેમ આ મકબરો પણ નોટ અને સિક્કાઓથી ઉભરાઈને છલકવા માંડશે? આવા વિચાર સાથે મકબરાની બહાર નીકળીને ચબુતરા પર હું આવ્યો.
ચબુતરા પરથી સૌથી પહેલું ધ્યાન ખૂણામાં આવેલા મિનાર પર પડે. અહીં તાજમહેલની માફક મુખ્ય મકબરાની ચારેય બાજુ એક એક અષ્ટકોણીય મિનારો આવેલો છે. આ મિનારા ૭૨ ફીટ ઊંચા છે અને એમાં ૧૪૪ પગથિયાં આવેલા છે. ત્રણ માળિયા આ મિનારાઓમાં દરેક માળે લાલ બલુઆ પથ્થરની નકશીદાર જાળીવાળી રેલીંગ ધરાવતી ગેલેરી આવેલી છે. મિનારામાં પ્રવેશવાના દ્વારો તો મુલાકાતીઓ માટે કાયમી ધોરણે બંધ હોઈ ઉપર જવાનો તો સવાલ જ નહોતો. મકબરાના ચબૂતરા પર જ પશ્ચિમ ભાગમાં નિઝામ મસ્જીદ આવેલી છે જે હૈદરાબાદના ત્રીજા નિઝામ દ્વારા ઈ.સ. ૧૮૦૩-૧૮૨૯ દરમ્યાન બનાવવામાં આવી હતી. આ એ નિઝામ સિકંદર જાહ જેણે પોતાની રાજધાની ઔરંગાબાદથી હૈદરાબાદ ખસેડી હતી. રાજધાની તો જાણે ખસેડી પણ આ જનાબેઆલી તો બીબી કા મકબરાથી એટલા પ્રભાવિત હતા કે એમણે આખો મકબરો ઉતરાવી લઈને હૈદરાબાદ ખસેડવાનું નક્કી કરી લીધું હતું! મકબરો ડાબી તરફથી ઉતારવાનું શરુ પણ થઇ ગયું હતું પણ નિઝામનું ભેજું ઠેકાણે આવતા એને સમજાયું કે આ રીતે તો સ્થાપત્યને નુકસાન થશે એટલે એણે પોતાનો નિર્ણય કચરાપેટીમાં નાખી દીધો અને ઉતરાવેલા ભાગને પાછું સમારકામ કરીને પહેલા જેવો જ ચણાવી દીધો. આમ, અહીં બીબી કા મકબરામાં અર્ધો-પોણો કલાક વિતાવીને અમે બહાર આવ્યા ત્યારે એક્ઝીટ પોઈન્ટ પર ટોકન ગુમ થવાને કારણે કોઈક જૂથની ASIના સિક્યુરીટી ગાર્ડસ સાથે માથાકૂટ ચાલી રહી હતી. અમારી પાસે ટોકન સલામત હતા. એટલે અમે ઓટોમેટીક બેરીયર ગેટ વટાવીને નીકળી ગયા.
ઔરંગાબાદ પહોંચીને અમે ભોજન માટેના સારા વિકલ્પની તલાશમાં હતા ત્યારે એક રમૂજી ઘટના બની. અમે ગાડીમાંથી ઉતરીને એક દુકાન બંધ કરીને નીકળવાની તૈયારી કરી રહેલા એક જણને ભોજનાર્થે સારા વિકલ્પ વિશે પૂછ્યું તો એ મહાશય અમને છેક એક હોટલ સુધી લઇ ગયા અને અમે થાળી લઈને જમવા બેઠા એની ખાતરી કરીને જ ત્યાંથી વિદાય થયા. જમીને અમે ઝડપથી હોટલભેગા થયા. બીજે દિવસે અમારે અજંતા જોવા માટે નીકળવાનું હતું. અહીંથી અજંતા ૧૦૦ કિ.મી. દૂર હોઈ અમારે ખાસ્સો પથ ડ્રાઈવ કરીને કાપવાનો હતો. એટલે ઝાઝી વાતોની મહેફિલ ન જમાવતા અમે પરવારીને પથારીમાં પડ્યા, અને પડ્યા એવા જ નિદ્રાધીન થયા..

No comments:

Post a Comment