Sunday, March 22, 2026

અજંતા-ઈલોરા: અનામી શિલ્પીઓએ કાળમીંઢ અગ્નિકૃત ખડકોમાં કંડારેલી ઈશ્વરોની અજાયબ સ્વપ્નસૃષ્ટિ (ભાગ- ૬)

 ક્રિસમસની રજાના દિવસે અજંતા-ઈલોરા જોવા ઉમડેલા અધધ માનવ મહેરામણ માંહેથી રસ્તો કાઢતા અમે પાછા ગુફા નંબર ૧ પહોંચ્યા. અહીં પરસાળ આગળની લાઈનમાં ઉભા રહીને આસપાસ અને ઉપર નજર દોડાવી. સૌથી પહેલું ધ્યાન તો જોડાં ઉતારતી વખતે જ અહીંના અત્યંત આકર્ષક કોતરણી ધરાવતા સ્તંભો પર જાય. દિવાળી વખતે ચોખંડુ કે ચકરડું પાડીને એમાં રંગોળીની ભાત દોરીએ એને મળતા આવતા medallion/ચિત્રચક્ર આ સ્તંભો પર કોતરેલા છે. અહીં પરસાળની છત પર તો પચરંગી દુનિયા ચીતરેલી છે. કતારમાં ઉભા ઉભા છત પરની ચિત્રફ્રેમો જોતા એક ફ્રેમમાં નજર જઈને અટકી. બે વેપારી જેવા જણાતા માણસો પલાંઠી મારીને બેઠા છે અને વાત કરી રહ્યા છે. એ ચિત્રમાં એક વિશેષ વાત ધ્યાને આવતા હું ચોંકી ઉઠ્યો. જોઉં તો બન્ને વેપારીઓએ પગમાં મોજાં ધારણ કર્યા હતા! હા, મોજાં જ હતા. એક વેપારીના મોજાનો રંગ વાદળી હતો અને બીજાનો કેસરી-સફેદ. તો શું બે હજાર વર્ષ પહેલા પણ મોજાની શોધ થઇ હશે?!! મન ચકરાવે ચડ્યું. મિત્રોને પણ એ ફ્રેમ બતાવી. વચ્ચે છતનો ઘણો બધો ભાગ નષ્ટ પણ થઇ ગયો છે એ ધ્યાને પડતા દુઃખ પણ થયું. અમારી કતાર આગળ વધી. પ્રવેશદ્વારના બારસાખ પરની ફ્રેમોમાં પ્રણયમગ્ન યુગલોના દ્રશ્યો કંડારેલા હતા. એમને પ્રણયરત રહેવા દઈ અમે ગુફામાં પ્રવેશ્યા. અજંતામાં કોઈપણ ગુફામાં ઝાઝીવાર પગથોભ કરવા દેતા નથી એટલે આંખો શક્ય એટલી ઝડપે બોધિસત્વ પદ્મપાણીની શોધ ચલાવી. આહા! મળ્યા! પ્રવેશદ્વારની સામેની દિવાલે ડાબી તરફ. માસૂમ નમણો ચહેરો, નીચે ઢાળેલી અને અધબીડેલી નજર, એક હાથમાં કમળ, અને શરીરે વિવિધ આભૂષણો ધારણ કરેલ પદ્મપાણિ અહીં જાણે કોઈ કુમાશભરી કન્યા સરીખા દ્રશ્યમાન થાય છે. જમણી દિવાલે બોધિસત્વ વજ્રપાણિનું ચિત્ર જોઇને અભિભૂત ન થવાય તો નવાઈ. એમના માથાનો સુંદર અને સંકીર્ણ કલાત્મકતાસભર સુવર્ણ મુકુટ તો જાણે સૂર્યકિરણો ઝાકળબિંદુઓ પર પડવાથી જેમ એ બિંદુઓ ઝગમગે એમ ઝગમગતો હતો.


આ ગુફામાંનું એક ચિત્ર છે Renunciation of King Mahajanaka/ રાજા મહાજનકનો મોક્ષ. અહીં રાજા મહાજનકના સ્નાનનું દ્રશ્ય છે જેમાં એમના ગરદન પર અલગ અલગ લટોમાં પથરાયેલા ખુલ્લા વાળ જોવા જેવા છે. બુદ્ધના પૂર્વાવતાર એવા આ રાજાના ચિત્રની બિનોય કે. બહલ કરીને આપણા એક જાણીતા ફોટોગ્રાફરે ‘ઝીરો-લાઈટ ટેકનીક’થી પાડેલી તસ્વીરને નવેમ્બર ૨૦૨૦માં નોર્વેના સ્વાલબાર્ડ આઈલેન્ડ પર સ્થિત આર્કટીક વર્લ્ડ આર્કાઈવ્ઝમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. અજંતાની ગુફાઓના ઘણાં મ્યુરલસ ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે જેના આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સની મદદથી ‘ડિજીટલ રિસ્ટોરેશન’ નું કામ પણ ચાલી રહ્યું છે. અહીંના ચિત્રો જોઇને મનમાં ભરત વ્યાસ લિખિત અને ગાયક મુકેશના અવાજમાં ગવાયેલાં ગીતની પંક્તિઓ વાગ્યા કરતી હતી: ये कौन चित्रकार है....ये कौन चित्रकार है, ये कौन....चित्रकार है? આજે અજંતાના શિલ્પ-સ્થાપત્ય કરતા એના ચિત્રો પર ભલે દુનિયા મોહી પડતી પણ અજંતાના સ્થપતિઓ માટે પીંછી વડે તૈયાર કરાયેલા ચિત્રો કરતા છીણી-હથોડા વડે કરાયેલ સ્થાપત્યો અને કોતરકામ વધુ સમય, શક્તિ, સર્જનાત્મકતા, અને આર્થિક ખર્ચ માંગી લેનારું કામ હતું. ચાલો, હવે બીજી ગુફાઓમાં જઈએ. અહીં બધી ગુફાઓમાંથી વિશેષ જોવાલાયક ગુફાઓ અંગે જાણીએ.

ગુફા નંબર ૧૭. અજંતાની આ સૌથી વધુ ચિત્રાત્મક આ ગુફા એક વિહાર છે જે રાજા ઉપેન્દ્રગુપ્ત દ્વારા અપાયેલ દાનમાંથી ઈ.સ. ૪૭૧માં બનાવવામાં આવી હતી. પરસાળની છત પર ડોક ઉંચી કરીને જુઓ તો અલગ-અલગ ચોરસ અને લંબચોરસ ફ્રેમોમાં આકર્ષક કમળાકૃતિઓ અને પક્ષીઓ તેમજ જલજ સૃષ્ટિ ચીતરેલી જોવા મળશે. ગુફાના પ્રવેશદ્વાર પર બુદ્ધના સાત અવતાર જોવા મળે છે અને દ્વારના લીન્ટેલ પર મૈત્રેય અને તેની સ્ત્રીનું ચિત્રણ જોવા મળે છે. ડાબી અને જમણી તરફના બુદ્ધના ચિત્રોમાં એક ખાસ તફાવત દેખાશે. બન્ને તરફના બુદ્ધના સ્કીન-ટોન એકદમ જુદાં છે. અભ્યાસીઓના મતે આ બન્ને ફ્રેમોના ચિત્રકારો જુદાં જુદાં છે. પરસાળ પરની છતના કેન્દ્રમાં તરત જ ધ્યાને ચડે તેવું મોટું medallion/ચિત્રચક્ર અલબત્ત ખંડિત હાલતમાં જોવા મળે છે જેમાં છ વ્યક્તિઓ વર્તુળાકારે એકબીજાનો હાથ પકડીને ઉભા છે. જમણી તરફની દીવાલ પર જેમાં દિવાલ પર નળગિરિ પ્રસંગનું ચિત્રણ છે. વાર્તા કંઇક એવી છે કે નળગિરિ નામનો એક ગાંડો હાથી હોય છે. બુદ્ધ પ્રત્યે ઈર્ષાભાવ ધરાવતો એમનો ભત્રીજો દેવદત્ત એ મદોન્મત્ત હાથીને બુદ્ધને કચડી નાખવા માટે નગરના રસ્તા પર છોડી દે છે. બુદ્ધ એક શિષ્યના ઘર ભણી જતા હોય છે ત્યારે રસ્તામાં આ ગાંડો હાથી સામો આવે છે પણ જેવો તે બુદ્ધની નજીક આવે છે ત્યારે કરુણાના તેજના પ્રભાવથી એકાએક શાંત થઇ જાય છે અને બુદ્ધના ચરણોમાં નમી પડે છે. આ પ્રસંગ અહીં દીવાલ પર દર્શાવેલો છે જેમાં નગરનાં માર્ગ પર ભયનો માહોલ સર્જતા ગાંડાતૂર નળગિરિને ધસમસતો આવતો જોઇને દુકાનદારો ઝડપથી દુકાનોના પડદા બંધ કરી રહ્યા છે, અને નગરની સ્ત્રીઓ આશ્ચર્યમિશ્રિત ભાવે ભય અનુભવતી અટારીમાં ઉભેલી છે. અદર ગર્ભગૃહની ડાબી તરફની દિવાલે ગેરુઆ રંગી સંન્યાસી બુદ્ધનું મહાકાય કદનું ચિત્ર છે જેની આગળ કદકાઠીમાં નાના કદના પૂર્વાશ્રમની પત્ની યશોધરા અને પુત્ર રાહુલ દર્શાવ્યા છે. ભિક્ષુક બુદ્ધ ફરતા ફરતા નગરમાં આવી ચડે છે અને યશોધરા પાસે ભિક્ષા માંગે છે ત્યારે યશોધરા ભિક્ષામાં બાળવયના પુત્ર રાહુલને બુદ્ધને સોંપી દે છે. એ સિવાય વેશાંતર જાતક, મહાકપિ જાતક, મૃગ જાતક જેવી અનેક જાતકકથાઓમાના દ્રશ્યો અહીં ચિત્રો રૂપે દર્શાવેલા છે જેનું વર્ણન કરવું શક્ય નથી. આ ગુફામાં બીજા ચિત્રો સાથે એક અપ્સરાનું ચિત્ર ખાસ જોવા જેવું છે. અધબીડેલી આંખે ત્રાંસુ જોતી અપ્સરાના માથે પહેરેલી સોનેરી કોરની કાળા રંગની ટોપી, એમાં ટાંકેલા આભુષણ, કાનમાં પહેરેલા મોટા કુંડળ અને ગળામાં પહેરેલો રત્નજડિત હાર જોઇને અપ્સરા પર નહિ તો ચિતારાની કળા પર તો જરૂરથી દિલ વારી બેસાય છે.

હવે ચાલતા ચાલતા અમે આવ્યા ગુફા નંબર ૧૯ આગળ. આ ગુફાનો શિલ્પ-સ્થાપત્યમંડિત વિશાળ પ્રવેશદ્વાર જોઇને અચંબિત થઇ ગયા. રાજા ઉપેન્દ્રગુપ્તે આ ધાર્મિક વિધિવિધાનોના કેન્દ્ર તરીકેની ચૈત્ય ગુફા બનાવવા પાછળ ધૂમ ખર્ચ કર્યો હશે એ વાત આંખે ઊડીને વળગે છે. ઓહ! અહીં પ્રવેશદ્વાર પરની કમાનની ડાબી તરફ જે દ્વારપાળનું શિલ્પ છે એના વાળની ‘સ્ટાઈલ’ તો જુઓ! લટોની સેર જાણે શિવજીના મસ્તકેથી ગંગાના પ્રપાત જેવી દેખાય છે. અને એના પગ આગળ ઉભેલો ઠિંગુજી સેવક શું કરે છે ? દ્વારપાળના હાથમાં કમર આગળ અઢેલીને રાખેલા ‘પાકીટ’માંથી સિક્કા ખેરવી રહ્યો છે! આ સંકેત દ્વારા ભક્તજનોને સંદેશ આપવાનો ઉદ્દેશ હશે કે હે ભક્તજનો, ધરમના કામમાં તમે પણ તમારી ક્ષમતા પ્રમાણે કિંચિત દાન-પુણ્ય કરતા જજો! વળી પાછી ‘તુમ્બાડ’ ફિલ્મ યાદ આવી જેમાં હસ્તરની ધોતીમાંથી સોનાના સિક્કા ખેરવવાનો સીન હતો. એની પ્રેરણા આમાંથી મળી હશે? ખેર, ગુફાની જમણી તરફના ગોખની પેનલમાં કોણ છે ચાલો સહેજ નજીક જઈને જોઈએ. ઓહ, આ તો નાગરાજ, એમની નાગિણી સાથે ગુફાનું રક્ષણ કરતા હોય એમ બેઠા છે. ગુફાનું રક્ષણ ચોક્કસ થયું પણ જરા જુદી રીતે. રાજા ઉપેન્દ્રગુપ્તનું શાસન અલ્પકાલીન નીવડ્યું અને આ ગુફામાં મૂળ હેતુ પ્રમાણે ધાર્મિક વિધિવિધાનો શરુ થઇ શક્યા નહિ. ગુફાની અંદરના સ્તંભો પરની પેનલોમાં કોતરેલા શિલ્પો પર દીપજ્યોતની તૈલી મેશ કે અગરબત્તીની રાખના અંશો જામેલા જોવા મળ્યા નથી. આમ ઇતિહાસની ઉથલપાથલને કારણે આડકતરી રીતે ગુફાના શિલ્પો સારી રીતે જળવાયેલા રહ્યા.

હવે આવી આ છેલ્લી ગુફા નંબર ૨૬. બુદ્ધભદ્રની ગુફાને નામે ઓળખાતી આ ગુફાની પરસાળ ઘણી જ વિશાળ છે પણ દુર્ભાગ્યે એની છતનો છેક પ્રવેશધ્વાર સુધીનો ભાગ તૂટી ગયો છે. અહીં પણ ગુફા નંબર ૧૭ની જેમ પ્રવેશદ્વાર અર્ધચંદ્રાકાર કમાનની બાજુમાં કંડારેલા શિલ્પમાં દ્વારપાળ ‘ઉભા’ રાખેલા છે. ના, ના... ઉભા નથી રાખ્યા. જેમ પગે ચાલી ચાલીને આટલી ગુફાઓ જોઇને મુલાકાતીઓના ટાંટિયાની કઢી થઇ ગઈ છે અને એ અહીં પગથિયાંઓ પર અને પરસાળના ઓટલા પર બેસી પડ્યા છે એમ જરા તગડા પેટવાળા આ દ્વારપાળ મહાશય પણ એ ય ને આરામથી અઢેલીને ‘બેઠા’ છે. એમની બેઠક તળેની પેનલમાં પુષ્પો, ફળફળાદિ, અને વસ્ત્રોના ઢગનું નજરાણું જોઈ શકાય છે. ભક્તો પાસેથી પણ ભગવાનની પૂજાઅર્ચના વાસ્તે – અને ભિક્ષુકોના જીવનનિર્વાહ વાસ્તે – આવું નજરાણું અપેક્ષિત છે એવો ગર્ભિત અર્થ થતો હશે. ગુફાદર્શન બંધ થવાનો સમય થવા આવ્યો છે. ફટાફટ હવે અંદર પ્રવેશીએ. અન્ય ગુફાઓની જેમ સામે જ સ્તૂપની આગળની તરફ સિંહાસન પર ભદ્રાસન મુદ્રામાં બુદ્ધની પ્રતિમા જોઈ શકાય છે પણ ખરું જોવાનું તો બીજે જ છે. જરા ડાબે નજર કરો તો. ચોંકી ગયા? હા, સ્તંભમાળાઓની પાછળની દિવાલે કદના બુદ્ધની શયનમુદ્રામાં મહાકાય કદની પ્રતિમા આવેલી છે. આ ‘બુદ્ધનું પરિનિર્વાણ’ દર્શાવતી પ્રતિમા ૨૩ ફીટ લાંબી છે. અહીં મસ્તક એક પોચા તકિયા પર ટેકવીને બુદ્ધ બિછાને સુતેલા છે. નીચેની પેનલમાં સૌ સંસારી ભક્તો વિલાપ કરી રહ્યા છે જયારે ઉપરની પેનલમાં દેવો અ-સાર એવા સંસાર પર વિજય મેળવનાર બુદ્ધની પ્રસન્નભાવે સ્તુતિ કરતા હોય એમ દર્શાવ્યા છે. હવે બહાર ગાર્ડભાઈ સીટીઓ મારી રહ્યા છે અને ગુફાના દરવાજાઓ અર્ધા બંધ કરીને મુલાકાતીઓને ઝડપ કરવાનો સંદેશ અપાઈ રહ્યો છે. અમે પણ આ ૧૫૦૦- ૨૦૦૦ વર્ષ પ્રાચીન ઈતિહાસમાંથી બહાર આવીને અહીં ઓટલે સહેજ પોરો ખાવા બેઠા.

વાઘોરા નદીને સામે કિનારે વ્યૂ પોઈન્ટ દેખાય છે. જમણી તરફ સૂરજ આથમી રહ્યો છે. ગુફા નંબર ૨૬ ઉપરાંત આગળ પણ કેટલીક ગુફાઓ છે પણ દરેક ગુફામાં મુલાકાતીઓને પ્રવેશ નથી, કેટલીક ગુફાઓ અર્ધીપર્ધી બનેલી છે તો કેટલીક ખંડિત છે અને કેટલીકમાં સમારકામ ચાલુ હોવાથી જઈ શકાય તેમ નથી. આટલા સમયમાં જેટલું જોવા મળ્યું એટલું ઘણું એમ માનીને સંતોષ લેવો જોઈએ. પુરાતત્ત્વ ખાતું તો એમ જ માને છે કે અહીં આવનાર જાણે બધું જાણીને આવતો હોય અને બધી જાતકકથાઓથી વાકેફ હોય. નવી પેઢી ભારતીય જ્ઞાન વારસાને ઓળખતી નથી એવું છાશવારે સાંભળીએ છે. પણ ભારતીય જ્ઞાન વારસાનો પરિચય કરાવવાનો કેટલો પ્રયત્ન આપણે ત્યાં કરવામાં આવે છે? અજંતા શું કે ઈલોરા શું બસ પુરાતત્ત્વ ખાતાનાં પાટિયા પર એ જ બીબાઢાળ માહિતી જે સામાન્ય મુલાકાતીને ઝટ સમજાય પણ નહિ. વળી, ગુફાઓમાં ક્યાંય કશે કોઈ સાઈન પોસ્ટિંગ નહિ કે અંદર ‘ખાસ’ શું જોશો , ‘ક્યાં’ જોશો અને ‘કેવી રીતે’ જોશો. એક ગુફા આગળ તો મને કોઈ બહેને પૂછ્યું પણ હતું કે ‘અંદર’ શું છે? જોકે એ પ્રશ્નનો ભાવ એવો હતો કે ‘અંદર’ કંઈ જોવા જેવું છે કે! મારો આવા વિચારોમાં વધુ જીવ બળે એ પહેલા સૂરજે ડુંગરોની ઓથે ડૂબકી મારી અને સાંજ ઢળવાનો અહેસાસ થયો. ગળું પણ તૃષાતુર થયું હતું. બોટલમાં થોડુંક પાણી બચ્યું હતું. પાણીના ઘૂંટડા ભર્યા ત્યાં બૂમ સંભળાઈ. ‘સેલ્ફી’ માટે મિત્રો બોલાવી રહ્યા હતા. ‘એ આવ્યો’ કરીને મેં ઠેક લગાવી અને અમારા અજંતા-ઈલોરા પ્રવાસની સાર્થકતાનો સંતોષ અને આનંદ વ્યક્ત કરતી પળોને ‘ડીજીટલ મેમરી’ સ્વરૂપે કંડારી લીધી.

અજંતા-ઇલોરાના પ્રવાસની સાથે બીજી પણ અગત્યની વાત અહીં કરવી જોઈએ. અજંતા-ઈલોરાની મુલાકાત લેનારા પ્રવાસીઓમાંથી કેટલાને ખબર હશે કે આખું વિશ્વ જેના પર ગર્વ કરે છે એવા આ ચિત્રોને પ્રાકૃતિક અને માનવીય પરિબળોથી નુકસાન થઇ રહ્યું છે. રોજના હજારો મુલાકાતીઓના ધસારાને કારણે બંધિયાર ગુફાઓમાં એમનાં શ્વાસોછ્વાસ દ્વારા થતા કાર્બનાઈઝેશનથી આ ચિત્રોના ચમકીલા ટોપાઝ, નીલા, લીલા, લાલ, અને ભૂખરા રંગોને નુકસાન પહોંચે છે. મુલાકાતીઓના ઘોંઘાટને કારણે અહીં ‘સાઈલન્ટ ઝોન’માં અવાજની માત્રા ૪૫-૫૦ ડેસીબલની નિશ્ચિત કરેલી માત્રાની જગ્યાએ છેક ૭૦-૭૫ ડેસીબલ સુધી પહોંચે છે જેને કારણે ચિત્રોના પ્લાસ્ટર પર માઠી અસર થાય છે. આપણે અગાઉ ઈલોરાની મુલાકાતના વર્ણનમાં અહીં કહ્યું તેમ આ ચિત્રો પર ફોકસ લાઈટનો આપાત પણ ચિત્રોના રંગ અને ચમક માટે હાનિકારક છે. મુલાકાતીઓના જૂતાંઓની સાથે આવતી અને ઊડતી ધૂળની રજથી પણ હાનિકારક ખરી. જોકે આ બધા પાસાઓને ચુસ્તીથી વળગી રહીએ તો તો મુલાકાતીઓની સંખ્યા પર એટલો તો કાપ મુકવો પડે કે ગુફાઓને પ્રવાસનસ્થળ તરીકે કાર્યાન્વિત રાખી શકાય નહિ. એટલે, તકેદારીના ભાગ રૂપે નિશ્ચિત સંખ્યામાં મુલાકાતીઓને દરેક ગુફામાં પ્રવેશ કરાવવામાં આવે છે અને એમને ઝાઝી વાર ત્યાં થોભવા દેવામાં આવતા નથી. મોબાઈલની ફ્લેશ ફોટોગ્રાફી પર તો મનાઈ છે. કેટલીક ગુફાઓ તો મુલાકાતીઓ માટે સદંતર બંધ રાખવામાં આવી છે. જાણીને નવાઈ લાગશે કે મુલાકાતીઓના ધસારાને ખાળવા ૨૦૧૩ની સાલમાં મૂળ મુંબઈના રાકેશ રાઠોડ નામના સ્થપતિએ અજંતાથી ૪ કિલોમીટર દૂર ખડકોને કોરીને અજંતાની ચાર ગુફાઓની પ્રતિકૃતિ તૈયાર કરી છે. એ ગુફાઓ આગળ ટુરિસ્ટ બસો થોભવાની પણ ભલામણ કરાઈ છે પણ હજુ એનો અમલ થયો નથી. એવી કંઇક હિલચાલ પણ કરવાની વાત ચાલી હતી કે મૂળ ગુફાઓ સુધીનું બસભાડું ખાસું વધારે રાખવું જોઈએ જેથી ફક્ત રસ અને સમજ ધરાવતા પ્રવાસીઓ જ મુલાકાત લે. આ પણ હજુ પાઈપલાઈનમાં જ છે. પણ એક વાત છે – ઓરીજીનલને છોડીને કોઈ આવી ફેક ગુફાઓ જોવા થોડું જાય? એટલે, આ પ્રયોગ ભવિષ્યમાં કેટલો સફળ થશે એ તો કોણ જાણે પણ આજની તારીખે લોકોને આવી ફેક ગુફાઓ અંગે જાણકારી સુદ્ધાં નથી. આ તો થયા ચિત્રોની જાળવણી માટેની તકેદારીના પગલાં. હવે એની જાળવણીના સીધા પ્રયત્નોની વાત કરીએ.

બ્રિટીશ સમયમાં ચિત્રોની જાળવણી હેતુસર આખી દિવાલો પર વાર્નિશ લગાવી દેવાયો હતો જેના કારણે ચિત્રોના મૂળ રંગોમાં બદલાવ આવ્યો હતો. ત્યારબાદ હૈદરાબાદના નિઝામે ૧૯૨૦માં બે ઈટાલીયન કન્ઝર્વેટર્સને સાધ્યા હતા જેમણે પહેલાનાં વાર્નિશ કોટિંગ પર શેલાક વાર્નિશનો હાથ માર્યો હતો જેનાથી અગાઉના વર્નીશને કારણે ચિત્રોને થયેલા નુકસાનમાં ઔર નુકસાન ઉમેરાયું હતું. દેશને સ્વતંત્રતા મળ્યા પછી સ્વદેશી કન્ઝર્વેટર્સે નૈસર્ગિક સોલ્વન્ટ અને માઈક્રો ઈમલ્શન પદ્ધતિથી જૂનો વાર્નિશ દૂર કરીને ચિત્રોની મરમ્મતનું કામ હાથ ધર્યું હતું. ચિત્રોની બનાવટમાં પ્લાન્ટ ફાઈબર, બીજ, ડાંગરની ભૂસી વગેરે સાથે ગારાના મિશ્રણયુક્ત નૈસર્ગિક મોર્ટારનો વપરાશ થયો હોવાથી સિલ્વરફીશ જેવા કીટકોને ચિત્રોને ‘ખાવાનો’ તડાકો પડી ગયો હતો. નિયમિત સ્પ્રે- ડસ્ટિંગ- ફયુમિગેશનથી એમનો ફેંસલો આણી દેવાયો. કોઈ પણ ગુફા કે જૂનાં-પુરાણા અવાવરું સ્થાને ચામાચીડિયાનો ત્રાસ તો હોવાનો જ. અહીં પણ હતો. ચામાચીડિયા તો હવે હટાવી લીધા છે પણ લગભગ ૧૫૦૦ વર્ષો સુધી અહીં દિવાલો પર ઉંધા વળગી રહેલા ચામાચીડિયાની હગાર અને મૂત્રથી ચિત્રોને જે નુકસાન થવાનું હતું એ થઇ ચુક્યું છે. હવા, પાણી, સૂર્યપ્રકાશ વગેરે ભલે પ્રાણદાતા તત્વો હોય પણ ચિત્રોની જાળવણી માટે નુકસાનકારક છે. ગુફાઓની સતહમાં તડતિરાડો પડવાથી એમાંથી ઝમતું પાણી, ભેજ, અને સીધો સુર્યપ્રકાશ ચિત્રોને નુકસાન ન કરે તે માટે તડતિરાડોનું સમારકામ, નવા સપોર્ટ પિલ્લરો, ગુફામાં ફાયબર ઓપ્ટિક લાઈટની અને વાંસની સાદડીઓ લગાવાઈ છે. દસ ગુફા નં. ૧૦ માં પ્રકાશની વ્યવસ્થા માટે એક સીધીસાદી કરામત કરવામાં આવી છે – બહાર એક મેટલની શીટ એ એન્ગલથી રાખવામાં આવી છે કે તેની પર પડતા સૂર્યકિરણોને ગુફા ભણી આપાત થતા ગુફામાં અજવાળું પ્રસરે છે.
તમામ ગુફાઓ જોતા સાંજના પાંચ ક્યારે વાગવા આવ્યા એની ખબર પણ ન રહી. છેલ્લી બે-ત્રણ ગુફાઓ તો દોડાદોડીમાં જોવી પડી. આટલા બધા ધસારાથી અહીંનો સ્ટાફ પણ થાક્યો હતો. ગુફાઓનો પ્રવેશદ્વાર અર્ધો બંધ કરીને અને સીટીઓ મારીને મુલાકાતીઓને મહામુશ્કેલીએ બહાર કાઢવા પડતા હતા. અમે હવે ઉતરાણ ચાલુ કર્યું. વાઘોરા નદી પર બનાવેલા ફૂટબ્રીજ પર થઈને આગળ પહોંચ્યા તો અહીં પણ લાઈન. વળી, લાઈન ગોકળગાય કરતા ય ધીમી ઝડપે આગળ ખસતી હતી. લાઈનમાં ખસતા ખસતા ચોકમાં પહોંચ્યા ત્યારે ચાની તલપ લાગી. કેન્ટીનમાં આંટો માર્યો તો ખબર પડી કે મુલાકાતીઓએ તો ચા-નાસ્તો ખૂટાડી દીધો છે અને હવે કોલ્ડડ્રીંક સિવાય કંઈ નથી. પાછા આવીને ઉભા રહ્યા. પાંચના સાડા પાંચ- સાડા પાંચના છ – છ ના સાડા છ થયા. સૌના પગ પણ હવે અજંતાની ગુફાના થાંભલા જેવા થવા લાગ્યા હતા. ઉભેલાઓમાં ગણગણાટ શરુ થયો. સિક્યુરીટી સ્ટાફ કોઈ આંટાફેરા કરતું નજરે ચડે એટલે એને અહીં ઉભેલા લોકોની સરસ્વતી સાંભળવી પડતી. આટલા ધસારામાં સિક્યુરીટી સ્ટાફ પણ શું કરે? મુલાકાતીઓમાં આબાલવૃદ્ધ સૌ કોઈ હતા એટલે આવા પ્રશ્નો તો થવાના. આપણે સફર-જનની સાથે suffer-જન પણ છીએ ને.

છેક સાંજે ૭:૦૦ વાગે રીટર્ન બસ મળી. એમાં ય કંડકટરે પૈસા પુરા લઈને સીટ નહોતી તો ય ધકેલ્યા. ઉભા રહીને હવે અમે થાક્યા હોઈ જે મળી તે કરીને ચડ્યા. બીજા મુસાફરો પણ અમારી જેમ જ ઉભી ચોથ કરીને થાક્યા હોઈ હમદર્દીપૂર્ણ વર્તન દાખવીને અમને એમની સીટમાં જ બેસવાની થોડી જગ્યા કરી આપી. બસ ઉપડી એટલે મનમાં બોલાઈ ગયું : વહેલું આવે પાર્કિંગ સ્થળ! પણ દુકાળમાં અધિક માસની જેમ અમારી બસ તો રસ્તામાં ફસાણી! થયું એવું કે બૉર્ડિંગથી ડ્રોપ-ઓફ પોઈન્ટ સુધીનો બસનો રૂટ વન-વે હતો અને સામેથી એક ખાલી બસ મુસાફરોને ઉતારીને આવતી હતી. આમ તો આ વન-વે રૂટ પર અમુક જગ્યાએ સાઈડીંગ માટેની સ્પેસ રાખેલી છે પણ કદાચ આટલા બધા મુલાકાતીઓના ધસારાને કારણે બસોનું મેનેજમેન્ટ ખોરવાઈ ગયું હશે તે સામસામે એવી જગ્યાએ બેય બસોને ભેગી થઇ ગઈ કે રસ્તો જ બ્લોક થઇ ગયો. ક્યા કિયા જાય? એક બસે પીછેહઠ કરવી રહી. સામાન્ય તર્ક મુજબ આવી સ્થિતિમાં આમ તો ખાલી બસ જ પાછળ જવી જોઈએ પણ અસામાન્ય સ્થિતિમાં સામાન્ય તર્ક બહેર મારી જાય છે. એટલે અમારી મુસાફરોથી ભરેલી બસને પાછળ હઠવાનું આવ્યું. થોડેક સુધી અમારી બસ પાછળ હઠી ત્યાં તો અમારી પાછળ બીજી એક મુસાફરોથી ભરેલી બસ આવી પુગી! હવે? બે ભરેલી બસો પાછળ હઠે કે એક ખાલી? અમારી બસોમાં મુસાફરો વચ્ચે થતા ગણગણાટને કારણે સામાન્ય બુદ્ધિ પાછી યથાયોગ્ય સ્થાને આવી હોવી જોઈએ તે હવે ખાલી બસે પાછા હટવા માંડ્યું. સાઈડીંગ માટેની સ્પેસ આવી ત્યાં સુધી એમ ચાલ્યું અને પછી જ અમારી બસનો છુટકારો થયો!

ડી-બૉર્ડિંગ થયા પછી કાર પાર્કિંગ એરિયા સુધી આવતા વચ્ચે અહીં જાતભાતની હાટડીઓમાં ઈલોરામાં જોયેલા એવા જ શણનાં પાકીટ-થેલા, સ્ફટિક પથ્થરો, અને કાષ્ઠ તેમજ પથ્થરોની કલાત્મક બનાવટો અને ખાણીપીણીની સામગ્રી વેચાતી હતી. અમે કારપાર્કિંગ પહોંચ્યા ત્યારે અંધારું થઇ ગયું હતું. જંગલનું અંધારું વળી કેવું ઘોર હોય! અધૂરામાં પૂરું અમારી બે બસોમાં છેલવેલા મુસાફરો હતા. એટલે મોટાભાગના મુસાફરોની ગાડીઓ નીકળી ગઈ હતી અને પાર્કિંગ એરિયા ભેંકાર ભાસતો હતો. ‘જંગલ, અંધારી રાત અને સરસ્વતીચંદ્ર’ યાદ આવી જાય એવો. આવા ઘોર અંધકારમાં ખુલ્લા મેદાની પાર્કિંગમાં અમારી સફેદ કાર તારામઢ્યા આકાશી ચંદરવા નીચે એકલીઅટૂલી ઉભી હતી. એવી કારના લોંગશોટ્સમાં ફોટા પાડ્યા પછી એમાં ગોઠવાયા અને અમે ગાડી મારી મૂકી. ક્યાં? ઔરંગાબાદ તરફ? ના, અમે જરા વહેવારચાતુરી વાપરી હતી. આમ તો મોટાભાગની ટ્રાવેલ-ગાઇડન્સ આપતી સાઈટ્સમાં ઔરંગાબાદને બેઝ રાખીને અજંતા-ઈલોરા જોવાનું લખ્યું હોય છે પણ અમારો મિત્ર જે.ડી.ને પ્રવાસના બીજે જ દિવસે ઔપચારિક કામ હોઈ અમે અજંતા જોયા બાદ ફરીથી દક્ષિણ-પશ્ચિમે ઔરંગાબાદ જવાની જગ્યાએ ઉત્તરે જલગાંવ- ધુળે- ભૂસાવળ માંથી ધુળે પર રાત્રિરોકાણ માટે પસંદગી ઉતારી હતી જેથી બીજે દિવસે અમારે ઔરંગાબાદની સરખામણીએ ત્યાંથી વડોદરા સુધીનું ૧૫૦ કિ.મી. જેટલું અંતર ઓછું કાપવું પડે અને વહેલા વડોદરે પહોંચી શકાય.

ધૂળેથી કલાક જેટલા દૂર હતા ત્યારે રસ્તામાં જ નેટ પર સર્ચ કરીને ધૂળેમાં રાતવાસો કરવા મળે એવી ઓછા ભાડાની રિસોર્ટ શોધીને એને ફોન કર્યો. શરૂઆતમાં તો એણે આનાકાની કરી પણ અમે જયારે કહ્યું કે સવારે ૮ વાગે રૂમ ખાલી કરી દઈશું ત્યારે એણે નેટ પર લખેલા રેટ મુજબ અમારું બુકિંગ લઇ લીધું. હવે અમારે નિરાંત હતી. ધૂળે પહોંચીને એ હોટલમાં સામાન મુકીને અમે ચાલતા જ નજીકની એકાદી રેસ્ટોરાંમાં જમવા માટે નીકળ્યા. સીધીસાદી દેખાતી ‘હોટલ કન્હૈયા કુંજ’ રેસ્ટોરાંમાં સ્વાદિષ્ટ ભોજન લીધા પછી અમે સહેજ ધૂળેના નગરદર્શન માટે ગલીમાં ટહેલવા નીકળ્યા. ગલીને નાકે જોયું તો એક મોટી સ્વીટ અને ફરસાણ શોપ હતી. ડોક ઉંચી કરીને નામ વાંચ્યું તો વંચાયું ‘ગુજરાત’. ઓત્તારી! કુતૂહલવશ અમે અંદર ગયા તો મીઠાઈવાળા ગુજરાતી લોહાણા બંધુઓ મૂળે રાજકોટના નીકળ્યા. જે.ડી.ને તો ઓળખાણ નીકળી. શોપની બહાર ગોઠવેલા ઠેલા આગળ તાવડામાં ગરમગરમ રબડી બની રહી હતી જેનો ટેસડો લેવા લોકો ગોળ ફરતે ઉભા હતા. રબડીના સબડકા અમે પણ ભર્યા! જોકે એ ન ભર્યા હોત તો ચાલે એમ હતું. બાજુમાં ‘આશીર્વાદ પાન કોર્નર’ નામનો ગલ્લો હવે વસ્તી કરવાની તૈયારીમાં હતો. એના ગલ્લા પર મનલુભાવન પાનના નામ અને ચિત્ર જોઇને થયું પાન ખાના તો બનતા હે. એટલે એક ચાંદીનો વરખ ચડાવેલું શિંગોડા પાન ઠપકાર્યું. પાન આલાતરીન હતું. ટહેલતા ટહેલતા અમે પાછા રિસોર્ટ પર પહોંચી ગયા અને આવતીકાલે વહેલા ચેક-આઉટ કરવાનું હોવાથી રાત્રે જ સ્નાનવિધિ પતાવી પરવાર્યા. બેગ ભરતો હતો ત્યાં તો ખૂણામાંથી અવાજ આવ્યો. ખર્ર...ખર્ર! થાકીને લોટપોટ થઇ ગયેલા મિત્રો પથારીમાં પડતા જ ઘેરી ઊંઘમાં ચાલ્યા ગયા હતા. મેં પણ બેગ ભર્યા પછી લાઈટ બંધ કરીને પથારીમાં લંબાવ્યું. નસકોરાંનાં સામૂહિક નાદમાં હવે મારું પણ યથાશક્તિ યોગદાન ભળી રહ્યું હતું!

- તો મિત્રો, અહીં અમારો અજંતા-ઈલોરાનો પ્રવાસ પૂર્ણ થાય છે. સાચે જ? આમ તો અમે પણ એ દિવસે એવું જ વિચાર્યું હતું પણ અમને ક્યાં ખબર હતી કે પાછા ફરતા રસ્તામાં એક સ્થળ હજુ આ પ્રવાસમાં ‘બોનસ’ તરીકે અમારી રાહ જોઈ રહ્યું હતું. કયું હતું એ સ્થળ? આવતી વખતે વાત કરીએ!

No comments:

Post a Comment