ઈલોરામાં આમ તો ૧૦૦ ગુફાઓ છે પણ એમાંની ૩૪ ગુફાઓ જ મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવી છે. એ ૩૪ ગુફાઓમાંથી ૧૭ હિંદુ ગુફાઓ, ૧૨ બૌદ્ધ અને ૦૫ જૈન ગુફાઓ છે. ત્રણેય ધર્મોની આટલી પાસે પાસે આવેલી ગુફાઓ ધાર્મિક સહિષ્ણુતા સૂચવે છે. પ્રાચીન ભારતીય સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટતાને કારણે ઈલોરાની ગુફાઓને ઈ.સ.૧૯૮૩માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત ઘોષિત કરવામાં આવી હતી. ઈલોરાનાં ગુફામંદિરોથી ઔરંગઝેબ જેવો કટ્ટર મોગલ બાદશાહ પણ પ્રભાવિત થઇ ગયો હતો અને અસલી અદ્રશ્ય કલાકાર (ઈશ્વર)ની નાયાબ રચના ગણાવીને અચંબો પ્રકટ કર્યો હતો. જોકે પછી એની પર મઝહબી ઉન્માદ હાવી થઇ જતા એણે ૧૦૦૦ મજદૂરોને મૂર્તિભંજન માટે કૈલાસ મંદિર મોકલ્યા હતા પણ ત્રણ-ચાર વર્ષ સુધી મથ્યા છતાં એ લોકો ખાસ કંઈ ઉકાળી શક્યા નહોતા!
તો આ ઈલોરાની સૌથી જાણીતી world’s largest monolith ૧૬ નંબરની ગુફા જેને ‘કૈલાસ’ કહેવામાં આવે છે ગુફામાં ઉંચી ડોકે શિવ-પાર્વતીના શિલ્પો અભિભૂત થઈને જોતા જોતા અમે આગળ વધતા હતા. રાષ્ટ્રકૂટ રાજા દંતીદુર્ગ (ઈ.સ. ૭૨૫-૫૫) કે કૃષ્ણ પ્રથમ (ઈ.સ. ૭૬૦)ના સમયગાળામાં આ ગુફામંદિર નિર્માણ પામવાની શરુ થઇ હતી. કહે છે કે હિમાચ્છાદિત કૈલાસ શિખરનો ઓપ આપવા માટે આ ગુફામંદિરના શિખરોને એ સમયે સફેદ પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. એ સમયના શિલ્પીઓએ ટાંકણા અને હથોડા વડે 3,000,000 ક્યુબીક ફીટ જેટલો પાષાણ દૂર કર્યો જેનું વજન ૨ લાખ ટન જેટલું થવા જાય છે. કોઈને પણ આશ્ચર્ય થાય કે આટલો બધો પથ્થરનો કાટમાળ ક્યાં ગયો હશે? ઈન્ટરનેટ પર એવા દાવા કરનારા લેખો અને વિડીયો પણ છે કે જે કહે છે કે આ સ્થાપત્યો પરગ્રહવાસીઓ (aliens) આવીને બનાવી ગયા છે. કોઈક વિડીયોમાં ભૂર્ગભમાં જતી ટનલ બતાવીને કહે છે કે ગુફામંદિરની નીચે આખેઆખી hidden city આવેલી છે. આ દાવાઓમાં સત્ય હોય કે ન હોય અમને તો નજર સામે અત્યારે દેખાતી ગુફાને જોવા જાણવામાં જ રસ હતો. લોકોના કોલાહલ વચ્ચે અમે જોડાં ઉતારીને કૈલાસ મંદિરનું ગર્ભગૃહ જેમાં હતું એ સભામંડપમાં પ્રવેશ્યા. અહીં ભારે અંધારું હતું. ભગવાન તો દેખાવા મુશ્કેલ હતા પણ ASIના ગાઈડ જરૂર દેખાયા. ગજેન્દ્ર મોક્ષની વાર્તામાં આવે છે તેમ તળાવમાં કમળ તોડવા ગયેલા હાથીનો પગ મગર પકડી લે છે અને મુશ્કેલીમાં પડેલો હાથી બચાવ માટે વિષ્ણુનું નામસ્મરણ કરે છે અને વિષ્ણુ મદદમાં આવી પહોંચે છે એમ મૂંઝાયેલા મુલાકાતીઓની તત્કાળ વહારે આવવા ગાઈડ તૈયાર જ હોય છે. અલબત્ત જેમ વિષ્ણુને હાથીએ કમળ અપર્ણ કર્યું હતું એમ તમારે ગાઈડને તેની કામગીરી બદલ નાણાં અપર્ણ કરવાની તૈયારી રાખવી પડે. તો અહીં ઉભેલા ત્રણ-ચાર ગાઈડમાંથી એકને સાધ્યા. ફક્ત સભામંડપમાં શું કારીગરી છે એ દર્શાવવાના ૩૦૦ રૂ. કહ્યા. કબૂલમંજૂર! પછી એમનું કામ ચાલુ થયું.
હાથમાં ટોર્ચ લઈને અમને અંધારી ગુફામાં દોરી જતા ગાઇડને જોઇને ‘તુમ્બાડ’ ફિલ્મમાં પેલો લાલચુ વિનાયક રાવ ફાનસ લઈને હસ્તરની ધોતીમાંથી સોનાના સિક્કા ખેરવવા ઊંડા અંધારકુવામાં ઉતરતો બતાવે છે એ દ્રશ્ય યાદ આવી ગયું. ટોર્ચ વડે ગાઈડે અમને છત પરની પેનલોનાં ચિત્રો બતાવ્યા અને એની થોડીક વાત કરી કે એના રંગો આજે પણ એટલા જ ચમકીલા છે. મોબાઈલની ફ્લેશથી એ રંગોને નુકસાન થાય છે એટલે અહીં ફ્લેશ ફોટોગ્રાફીની મનાઈ છે. ટોર્ચનું અજવાળું પડે ત્યારે ફ્લેશ વગર એકાદ-બે ફોટો પાડી શકાય. જોકે ફોટા પાડવા કરતા ગાઈડના શબ્દો પર ધ્યાન આપવું જરૂરી છે. મંદિરના કેન્દ્રમાં આવેલી એક જગ્યાએ ઉભા રાખીને ગાઈડે છત ઉપર ટોર્ચની રોશની પાડીને કહ્યું કે જુઓ ઉપરની પેનલમાં શિવજીને પાર્વતીનો કાન આમળતા જોઈ શકાય છે. તમે શિવની સામું જોતા ચાલતા ચાલતા આટલું આખું વર્તુળ ફરશો તો ય તમને એમ જ લાગશે કે શિવ તમારી સામું જ જુએ છે. અને ખરેખર શિલ્પીઓએ એવી કારીગરીથી મૂર્તિ કંડારી હતી કે શિવ અમારી સામું જ જોતા હોય એમ અમને લાગ્યું! બસ, ગાઈડનો રોલ પૂરો.
![]() |
| ૨૦/- રૂ. ની નોટ પર પ્રકાશિત ઈલોરા મંદિર દ્રશ્ય |
પછી અમે મંદિરની ફરતે એક ચક્કર માર્યું. મંદિરની પ્લીન્થ પર હાથીઓ અને સિંહો એવી બખૂબીથી કંડારેલા છે કે જાણે એમ લાગે કે એમની પીઠ ઉપર આખું મંદિર ઉભું છે. ક્યાંક ક્યાંક ગજરાજો અને સિંહો બાખડતાં હોય એ રીતે પણ કંડારેલા છે. મંદિરની બહારની બાજુની બન્ને સાઈડ વોલ પર રામાયણ અને મહાભારતના દ્રશ્યો ચિત્રવાર્તા સ્વરૂપે મોટ્ટી પેનલમાં કંડારેલા છે. પ્રાચીન સમયમાં અક્ષરજ્ઞાન નહિ હોય તેવા લોકોને અથવા બાળકોને જ્ઞાન આપવા સારું આ ચિત્રવીથિકા/ પિક્ચર ગેલેરી કામમાં લેવાતી હશે એવું ધારી શકાય. અમે લીધેલી અજંતા-ઈલોરાની બુકમાં આપેલી પેનલોના દ્રશ્યો સામે દેખાતા સ્થાપત્ય પર શોધવા અમારી આંખો દોડી રહી હતી. મંદિરની જમણી તરફની દિવાલે સીતાહરણનું દ્રશ્ય મારી નજરે પડ્યું જેમાં રથમાં સીતાને બેસાડી એનું અપહરણ કરી જતા રાવણનો જટાયુ પ્રતિકાર કરે છે. બન્ને મિત્રોને એ બતાવ્યું. અમે હવે ગુફામંદિરની ફરતે આવેલી ચિત્રવીથિકામાં ગયા.
અહીં ફોટા કે સેલ્ફીના જમાનામાં માણસો જાતભાતની અંગભંગિમાઓ ધરીને પોતાને કચકડે મઢે છે એમ સદીઓ પહેલા જાતભાતના અવતારોમાં અંગભંગિમાઓ ધરીને લીલાઓ કરતા ઈશ્વરોની પેનલો કંડારેલી હતી. અહીં હિરણ્યકશ્યપનું પેટ ચીરતા નરસિંહ અવતારધારી વિષ્ણુ પણ છે તો ત્રિશૂલ અને ડમરુંધારી તાંડવમગ્ન શિવ પણ છે; ડુંટીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્મા નીકળતા હોય એવા શેષશાયી વિષ્ણુ પણ છે અને જૂગટું રમવા બેઠેલા શિવ-પાર્વતી પણ છે; અહીં લિંગમાંથી પ્રકટ થતા હોય એવા શિવ પણ છે અને પાર્વતીનો હાથ લગ્નમાં સ્વીકારતા હોય એવા શિવ પણ છે. ચિત્રવીથિકા જોયા પછી અમે બહાર નીકળીને ગુફાની ફરતે ખડકનાં શિખરે ચડવાના પગથીયા પર થઈને પાળી પાસે પહોંચ્યા. અહીંથી નીચે આખું કૈલાસ મંદિર સંકુલ જોઈ શકાતું હતું. પેલા ગાઈડે અમને કહેલું કે આ આખું મંદિર તમને આકારમાં મંગલસૂત્ર જેવું લાગશે. મંગલસૂત્ર જેવું લાગે કે ન લાગે પણ અમે અત્યાર સુધી મારા ખભે ટાંગેલી સ્લિંગબેગમાં છાનું પડી રહેલું બાઈનોક્યુલર કાઢ્યું અને મંદિરના શિખરના સ્થાપત્યને નિહાળવા લાગ્યા. વાય.સી.એ તો બાયનોકયુલરના લેન્સ આગળ કેમેરાનો લેન્સ ધરીને ફોટો ખેંચવાની કરામત પણ કરી જોઈ! મંદિરના શિખર પર ધ્યાનમુદ્રામાં બેઠેલા શિવનું શિલ્પ ધ્યાનાર્હ હતું. એ સિવાય સભા મંડપનાં શિખરની જગ્યાએ આવેલા સમતળ થાળા પર કમળદળની અંદર ચાર દિશામાં જોતા ચાર ખંડિત સિંહોની પ્રતિમા વિશેષ જોવાલાયક હતી.
મંદિર ફરતે ઉપરથી ચક્કર લગાવીને બીજી તરફથી નીચે ઉતર્યા. સમય જોયો તો બપોરના બે વાગ્યા હતા. પ્રવેશ્યા ત્યારે ૧૨:૦૦ વાગ્યા હતા. આ એક કૈલાસમંદિર ગુફા જોવામાં જ બે કલાક વીત્યા. જે.ડી. કહે હવે એકાદ ગુફા જ જોઈએ. પાણીની બોટલ ખરીદીને અમે ગુફા નંબર ૧૦માં ગયા. આ એક બૌદ્ધ ગુફામંદિર છે. ઈલોરાની બૌદ્ધ ગુફાઓમાં આ એકમાત્ર બે-માળી ચૈત્યવિહાર છે. ગુફામાં પ્રવેશતા જ સામે સિંહાસન પર વ્યાખ્યાન મુદ્રામાં બેઠેલા બુદ્ધની વિશાળ પ્રતિમા તો દેખાશે જ પણ આ ગુફામંડપની છત ખાસ જોવા જેવી છે. વર્તુળની ચાપ હોય એમ ચાપાકારની કમાનો જાણે ગજપીઠ (હાથીની પીઠ) જેવી ભાસે છે, અને નવાઈ તો એ વાતની કે આ સુરેખ ચાપાકાર કમાનો કાષ્ઠની નહિ પણ પથ્થર કોતરીને બનાવેલી કમાનો છે. આવી છત અને ૩૦ એક જેટલા સ્તંભોને કારણે અહીં અવાજની પ્રતિધ્વનિ સર્જાય છે. ઉપરના બીજા માળે પણ બારસાખ પાસેની સીડીઓ ચડીને સંગીતશાળા કહેવાતી દર્શનદીર્ઘામાં જઈ શકાય છે. કદાચ પાર્થના સમયે અહીં પહેલા મજલેથી પાર્શ્વ સંગીત પૂરું પાડવાની વ્યવસ્થા ગોઠવાતી હશે એમ માની શકાય. આટલું જોઇને અમે મને-કમને બહાર આવ્યા કારણકે ગુફામંદિરો સિવાય અમારે ઈલોરામાં અન્ય સ્થળો જોવાના હતા.
અહીં પરિસરમાં હજુ જનસુવિધાઓ નવી જ ઉભી કરી હોય એમ લાગતું હતું. લાંબા સાથરામાં ફેલાયેલી ગુફાઓ સુધી પહોંચવા ઈ-બસ સ્ટોપ પણ જોયું. જોકે એકેય બસ તો અમને દેખાઈ નહોતી. સૌથી સારી વાત એ હતી કે અહીં વ્હીલચેર ફેસીલીટી ઉપલબ્ધ હતી એટલું જ નહિ પણ એ કાર્યક્ષમ પણ હતી. અમે ઘણા વયસ્ક મુલાકાતીઓને વ્હીલચેરમાં અવરજવર કરતા જોયા. કદાચ વ્હીલચેર ઠેલવા માટે સેવકની સુવિધા પણ હશે. ઈલોરામાંથી બહાર આવતી વેળા ફેરિયાઓ અમને ઘેરી વળ્યા. ઈલોરા-અજંતાના ફ્રીજ પર લગાવી શકાય ચુંબકચિત્રો વેચતા હતા. અમે ખરીદ્યા. પછી આવ્યા ક્રિસ્ટલના ચક્કા વેચનારા. આવા ચક્કા વેચતા મેં પહેલી વાર કોઈને જોયા એટલે મને કૌતુક થયું. જે.ડી. આવી વસ્તુઓનો ચાહક-સંગ્રાહક નીકળ્યો. એણે ફેરિયા પાસેથી જાંબુડીયા રંગના નેચરલ ક્રિસ્ટલવાળો એમેથીસ્ટ સ્ટોનનો ચક્કો ખરીદ્યો. ભાવ તો ઘણો કહેતો હતો પણ કસીને ઘણા ઓછા કરાવ્યા. બહાર નીકળીને રોડની સામે જ જ્યુટની જાતભાતની આઈટમો વેચતી કતારબદ્ધ દુકાનો હતી. સુંદર ચિત્રો અને રંગો ધરાવતી જ્યુટબેગો કિફાયતી દામે ઉપલબ્ધ હતી. ક્રિસ્ટલ સ્ટોન્સનું તો અહીં જાણે મીની બજાર હતું. અમે ઝડપથી થોડીક ખરીદી નિપટાવી, નાસ્તો પણ કર્યો . ઔરંગાબાદ વળતી મુસાફરીએ દૌલતાબાદનો કિલ્લો તો હવે જોવાનો સમય રહ્યો નહોતો. ઘુષ્મેશ્વર પાછા ગયા ને જોયું તો હજી ય દર્શન માટે કલાક લાઈનમાં ઉભા રહેવું પડે એમ હતું. ડેલે હાથ દઈને પાછા આવવા જેવું લાગ્યું પણ શું થાય. જરા ભારે હ્રદયે અમે ઈલોરાનો ઢાળ ઉતર્યા ત્યારે સૂરજ પણ પશ્ચિમાયણ કરી રહ્યો હતો. હવે અમારું નેક્સ્ટ ડેસ્ટીનેશન? એ ડેસ્ટીનેશનના નામમાત્રથી ત્યાં જવું કે ન જવું એનો વિવાદ અમારી વચ્ચે ઉઠવાનો હતો! કયું હતું એ ડેસ્ટીનેશન? વેઇટ ફોર ધ નેક્સ્ટ પાર્ટ!
| કૈલાસ મંદિર સભામંડપની છત પરના સિંહ ચતુષ્ક |
| કૈલાસ મંદિરનું જમણી તરફ ખડક ચઢાણ વખતે દેખાતું દ્રશ્ય |
![]() |
| કૈલાસ મંદિર સાઈડ વિંગની પેનલોમાંની પ્રતિમાઓ |
![]() |
| કૈલાસ મંદિરની છત પરની પેનલમાં પાર્વતીનો કાન આમળતા શિવનું દ્રશ્ય |
![]() |
| કૈલાસ મંદિરનું ગર્ભગૃહ જ્યાં છત પરની પેનલો પરના ચિત્રો ગાઈડ ટોર્ચ વડે બતાવે છે. |
![]() |
| ક્રિસ્ટલના ચક્કા વેચનારાનો અસબાબ |






No comments:
Post a Comment