Wednesday, March 25, 2026

જય વસાવડા : મારે માટે લોકપ્રિય લેખકથી પણ વધુ એક નેકદિલ ઇન્સાન

જય વસાવડા, આ બે શબ્દોને પણ ટૂંકાવીએ તો જે.વી. જેમ શેક્સપિયર બોલીએ ત્યારે મહાન અંગ્રેજી નાટ્યકાર એવો એક જ શેક્સપિયર યાદ આવે એમ ગુજરાતી લેખનક્ષેત્રે જે.વી. બોલીએ એટલે એકમેવ એવા જય વસાવડાની જ વાત છે એવું અલગથી કોઈને સમજાવવું ન પડે. કોઈ ગુજરાતી કોલમિસ્ટ-લેખકને અગાઉ ન મળી હોય એટલી પ્રચંડ લોકપ્રિયતા એમણે અર્જિત કરી છે. આજે જયારે મોટા મોટા રાજનેતાઓને પણ એમની જનસભાઓમાં ભીડ ભેગી કરવા જાતભાતનાં પ્રલોભનો આપીને લોકોને ખેંચી લાવવા પડે છે ત્યારે જયભાઈ જ્યાં બોલવાના હોય તે કાર્યક્રમમાં હકડેઠેઠ ગુજરાતી ઓડિયન્સ સ્વયંભુ એમને સાંભળવા ભેગું થતું હોય છે. એક વખત અમદાવાદમાં લીટરેચર ફેસ્ટીવલમાં ખીચોખીચ ઓડિયન્સથી ભરેલા એમના સેશનની સમયઅવધિ પૂરી થઇ ગઈ પણ ઓડિયન્સને ધરવ નહોતો થયો ત્યારે ‘હજુ ચાલુ રાખો’ ના અવાજો વચ્ચે જયભાઈને ધરાર ઓડિયન્સ સાથે ઇન્ટરએક્શન સેશન ચાલુ રાખવું પડયું હતું એ તો નજરે જોયું છે. બાળવયથી જ શરુ કરેલા પ્રચુર વાંચન અને યુવાવયે  દેશવિદેશમાં કરેલા સંખ્યાબંધ પ્રવાસોને કારણે ભારતીય સંસ્કૃતિથી લઈને સસ્પેન્સ સાહિત્ય જેવા અવનવાં વિષયો પરની પકડ, અંગ્રેજી-ગુજરાતી શબ્દોનો સુચારુ ઉપયોગ, માહિતીને રસપ્રદ રીતે રજૂ કરવાની શૈલી, ધારદાર દલીલો અને સંમોહક વાણી, અને સોશિયલ મીડિયા પર એમના રીડર બિરાદર ફેન્સ સાથે વન-ટૂ-વન સંવાદ એ જયભાઈની USP. 

જયભાઈની જેમ હું પણ નાનપણથી વાંચનનો રસિયો. ચંપક અને ચાચા ચૌધરી કોમિક્સ જેવા બાળવાર્તાઓના મેગેઝીનો અને જીવરામ જોષીની ‘મિંયા ફૂસકી’ અને ‘ગપ્પીદાસ’ જેવી બાળવાર્તાઓના પુસ્તકો વાંચીને વાંચનરસ ઠીક ઠીક જામ્યો હતો. હું ચોથા-પાંચમાં ધોરણમાં ત્યારથી એટલેકે ઈ.સ. ૧૯૯૮-૯૯થી અખબાર વાંચતો થયો. અમારાં ઘરમાં આમ તો ‘સંદેશ’ આવે પણ મને પડોશના ઘરમાં આવતા ‘ગુજરાત સમાચાર’ ની બુધ અને રવિવારની પૂર્તિઓ વાંચવાનું આકર્ષણ એટલે એમના ત્યાં વંચાઈ રહે પછી બીજે દિવસે પૂર્તિઓ માંગી લેતો અને એમાંથી જે કંઈ લેખો પસંદ પડે એને કાપીને ફાઈલ બનાવતો. એ વખતે મને પહેલી વાર જયભાઈની ‘સ્પેક્ટ્રોમીટર’ કોલમ ધ્યાનમાં આવેલી. જોકે મારે કહેવું જોઈએ કે કિશોરાવસ્થામાં એ ઉંમરે મેં જયભાઈને વાંચ્યા નહોતા. આગળઉપર મેં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. અને એમ.એ. કર્યા બાદ કોલેજમાં ભણાવવાની શરૂઆત કરી ત્યારે સોશિયલ મીડિયાનો  કૂકડો બોલી ચૂક્યો હતો. ઈ.સ. ૨૦૧૧માં ‘ફેસબુક’ જોઈન કર્યા પછી  વિદ્યાપીઠની લાઈબ્રેરીમાંથી લાવીને વાંચેલા પુસ્તકો અંગે છૂટકપૂટક ‘પોસ્ટ’ લખવાનું શરુ કર્યું અને સમાંતરે ગુજરાતી લેખનજગતમાં સક્રિય હસ્તીઓનો ફેસબુક પર સંપર્ક કેળવવાની કવાયત આદરી એમાં જયભાઈને પણ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. પણ અફસોસ ! એમના પક્ષે ફેસબુકની ૫૦૦૦ મિત્રોની મર્યાદા તો પૂરી થઇ ગઈ હતી.  થોડા સમય બાદ મેં મેસેજમાં આ અંગે મીઠી ફરિયાદ કરી ત્યારે તેમણે મને ‘જેન્યુઈન’ વાચક વર્તીને સામે ચાલીને ‘જગ્યા કરી’ ને મને એમના ફ્રેન્ડમાં સામેલ કર્યો હતો એવું એમનું ‘જેશ્ચર’ તો કેમ ભૂલાય? આમ, અમે સોશિયલ મીડિયા પર મિત્રો બન્યા.

મિત્રતા તો ઉભયપક્ષી હોય ને? પોતાના લખાણોના ફેલાવા માટે કે વાહવાહી ફેલાવવા મિત્રોનો એકપક્ષી ઉપયોગ કરનારા તો ઘણા મળે પણ જયભાઈ તો સૌથી નોખા. સોશિયલ મીડિયા પર પોતાના વિશાળ મિત્રવર્તુળમાં એમને કોઈ ઉગતી કલમમાં સ્પાર્ક લાગે તો એની નાની-મોટી રચનાને મિત્રભાવે પોતાના કોઈ પ્રાસંગિક કટારલેખમાં રચનાકારને નામ સાથે ટાંકીને આગળ કરે. મને પણ જયભાઈની ગુણગ્રાહિતાનો લાભ મળ્યો છે. અમે રૂબરૂમાં તો હજુ સુધી મળ્યા નહોતા ત્યારે  મારી ફેસબુક પરની છૂટકપૂટક ‘પોસ્ટ’ અને ગુજરાતી મેગેઝીનોમાં એમના લેખની સાથે ક્યારેક છપાતા મારા લેખને કારણે તેઓને ભરોસો બેઠો હશે કે આ ‘છોકરા’ની ભાષા-અભિવ્યક્તિ સારી છે. એટલે એમણે મને એમના પુસ્તકોના પ્રકાશનનું કામ સંભાળે છે એવા એમના નાનપણના ભેરુ ધર્મેશભાઈનો એક પુસ્તકના અનુવાદ માટે સંપર્ક કરાવ્યો. એ પુસ્તક પણ જુઓ તો ટ્વિન્કલ ખન્નાનું ‘ધ લીજેંડ ઓફ લક્ષ્મી પ્રસાદ’! પુસ્તકમાં નારીલક્ષી ચાર વાર્તાઓ જેમાંની એક વાર્તા પરથી તો ટ્વિન્કલના પતિ અક્ષયકુમાર અભિનીત ‘પેડમેન’ ફિલ્મ પણ બની. અગાઉ છુટાછવાયા અનુવાદોનો અનુભવ હતો પણ ફૂલ-લેન્થ પુસ્તક અનુવાદનો કોઈ અનુભવ નહોતો. આર્થિક વળતર પણ પ્રમાણમાં સારું હતું. પણ  જયભાઈનો વિશ્વાસ મારા માટે સૌથી મહત્વની વાત હતી. એટલે પૂરી નિષ્ઠાથી પુસ્તકનો અનુવાદ કર્યો અને ૨૦૧૯માં બજારમાં પુસ્તક આવી ગયું. સાથોસાથ ધર્મેશભાઈએ ‘હિતોપદેશ’ ની ૩૮ વાર્તાઓનું પુસ્તક પણ અનુવાદ કરવા આપ્યું. એ વાર્તાઓ પણ જૂની અને જાણીતી. બાળકો અને કિશોરવયના વાચકોને પસંદ પડે એ રીતે એનો અનુવાદ પણ કર્યો જે કોરોનાને કારણે વિલંબ થતા છેક ૨૦૨૩માં બજારમાં આવ્યું. વચમાં જયભાઈએ એમના મિત્રતાવિષયક લેખોનું પુસ્તક ‘દોસ્તી: A Book of Friendship’ તૈયાર થતું હતું ત્યારે અમેરિકન વાર્તાકાર ઓ’ હેન્રીની મિત્રતાની થીમ પરની જગપ્રસિદ્ધ વાર્તા ‘After Twenty Years’નો ગુજરાતી અનુવાદ મારી પાસે માંગ્યો અને પુસ્તકમાં નામસહીત છાપ્યો. અને યોગાનુયોગે થયું એવું કે ઓ’ હેન્રીની આ વાર્તા પોલીટેકનીકના વિદ્યાર્થીઓના ઈંગ્લીશના કોર્સમાં લેવામાં આવી છે. એટલે, જે વાર્તાનો જયભાઈએ મારી પાસે અનુવાદ કરાવ્યો એ મૂળ વાર્તા મારે ક્લાસમાં ભણાવવાની આવી. આજે ક્લાસમાં હું મારા વિદ્યાર્થીઓને  મૂળ ઈંગ્લીશ વાર્તા ભણાવ્યા પછી આ અનુવાદની વાત કરું છું અને જયભાઈનો પરિચય આપવા સાથે આ પુસ્તક પણ બતાવું છું ત્યારે એમની આંખોમાં પ્રકટતું વિસ્મય જોઈ શકું છું. 

જયભાઈની કોલમિસ્ટ તરીકે કે મોટીવેશનલ સ્પીકર તરીકેની લોકપ્રિયતા અને એમની દિલાવરીથી પણ અદકેરું પાસું એટલે એમની નેકદિલી જેનો મને જાતઅનુભવ થયો છે. એમણે કપરાં કોરોનાકાળમાં એમના પથારીવશ બાપુજીને કેવી સરસ રીતે સાચવ્યા એના તો આપણે સૌએ સોશિયલ મીડિયાને કારણે સાક્ષી છીએ. આ જ કોરોનાકાળમાં મારા મમ્મીની કેન્સર અને ન્યુરોની તકલીફ વકરી અને એ સાવ જ પથારીવશ થઇ ગયા અને એમને સાચવવાની તમામ જવાબદારી મારા પર આવી પડી ત્યારે અમારી બેયની આવી કફોડી પરિસ્થિતિ અને મૂંઝારાને મેં ફેસબુક પોસ્ટમાં જાહેરમાં વ્યક્ત કર્યો હતો. એ વખતે બીજા બધા મિત્રો તો ‘ભગવાન પર ભરોસો રાખો, બધું સારું થઇ જશે’ એવું ઔપચારિકતા પુરતું લખીને છટકી ગયા જ્યારેકે જયભાઈએ પરિસ્થિતિની ગંભીરતા વર્તીને આવા અઘરા રોગનું મેનેજમેન્ટ કેમ કરવું એ અંગે વર્ષો અગાઉ એમના મમ્મીને થયેલા કેન્સરના જાતઅનુભવમાંથી તારવેલું જ્ઞાન મુદ્દાસર રજૂ કર્યું હતું જેમાં સારા ડોક્ટરનો પરિચય, કપરા સમયને પહોંચી વળવા ચુસ્ત નાણાકીય આયોજન વગેરે પર ભાર મુક્યો હતો. આ અણમોલ સલાહ સિવાય પણ આગળઉપર જયારે  પરિસ્થિતિએ અણધાર્યો અને બેવડો માર કહેવાય એ રીતે વળાંક લીધો ત્યારે દૂર રહ્યે પણ એમણે મારા સંપર્કમાં રહીને જોઈતી મદદ પૂરી પાડી જે માટે હું એમનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. એ પણ ખાસ કહેવાનું મન થાય છે કે જયભાઈ સાથે મારે એક-બે વારથી રૂબરૂ મુલાકાત થઇ નથી કે નિરાંતે બેસીને અમે ગોઠડી માંડી શક્યા નથી પણ ટૂંકી મુલાકાતો અને ઔપચારિક ટેલીફોનિક વાતચીત છતાં ય મને એ મારા સ્વજન, મોટા ભાઈ, સુખ-દુઃખમાં પડખે રહેનાર દોસ્ત લાગે છે. મારે માટે એમનું લોકપ્રિય લેખકથી પણ વધુ એક નેકદિલ ઇન્સાન હોવું સૌથી અગત્યનું છે. તેઓ આજે પચાસ વર્ષ પુરા કરીને એકાવનમાં પ્રવેશે છે ત્યારે જન્મદિન પર આ મસ્તમૌજી મિત્રને લાંબી લેખનઇનિંગની શુભેચ્છાઓ.

No comments:

Post a Comment