Wednesday, December 21, 2016

હોલોકોસ્ટ, હેપ્પીનેસ અને જ્યુઇશ હ્યુમર: પરિહાસમાં જ પરિત્રાણ?

**********************************************************************************************
બીજાં વિશ્વયુદ્ધ સમયે જયારે નાઝી રંગમંચ પર જોરશોરથી ‘હેઈલ હિટલર’નાં નારાઓ ગાજતા હતાં ત્યારે પડદાં પાછળ ‘હેઈલ હેપીનેસ’ એવું કહ્યા વગર યાતનાગૃહોની દોજખ જેવી જિંદગીમાં ઘડીભર હેપીનેસનો અનુભવ માણી લેનારા ખમીરવંતા યહૂદીઓ અને એમનાં વિશિષ્ટ હાસ્ય પર એક નજર... 
**********************************************************************************************
ઇતિહાસમાં બીજાં વિશ્વયુદ્ધ વખતે સાઠ લાખ યહૂદીઓનો ભોગ લેનારા નાઝી નરસંહારને  ‘હોલોકોસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. હત્યા અને હાસ્ય? અપાર યાતના અને ત્રાસદી વચ્ચે પણ હાસ્ય હોઈ શકે એ વાત ગળે ઉતારવી મુશ્કેલ તો ચોક્કસ લાગે પણ વાત સાચી છે. અંગ્રેજીમાં જેને Gallows Humour એટલેકે ‘ફાંસ્ય હાસ્ય’ કહેવાય એવો વિશિષ્ટ પ્રકારનો પરિહાસ યહૂદી પ્રજા પાસેથી મળી આવે છે. આ ફાંસ્ય હાસ્ય એટલે બેહદ ઘૃણાસ્પદ, ગંભીર અને દુઃખદ સંજોગો અંગેનું હાસ્ય. જેમકે, મોત – યુદ્ધ – ગંભીર વ્યાધિ કે અપરાધ જેવાં વિષયો પરનું હાસ્ય. આપણા એક પ્રખ્યાત શાયર સાહિર લુધિયાનવીનાં એક ગીતનાં શબ્દો છે: ‘મેં ઝીંદગી કા સાથ નિભાતા ચલા ગયાં...હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયાં...’ પણ આઉશવિત્ઝ કે બર્જેન-બેલ્સન જેવાં અનેક નાઝી યાતનાકેન્દ્રોમાં સબડતાં યહૂદીઓ માટે ફિક્રનો ધૂમાડો થઇ જવાની જગ્યાએ ગમેત્યારે જીંદગી જ ધૂમાડો થઇ જવાની છે. એવાં સંજોગોમાં ફિક્ર કરીને ય શું લાભ? પરિત્રાણ એટલેકે મુક્તિ શક્ય નહિ હોય એટલે જ એમણે પરિહાસનો આશ્રય લીધો હશે કે? યહૂદી પ્રજાને આ દુર્નિવાર ત્રાસદીમાં બે ઘડી ખુશ રહેવા ખાતર કષ્ટો પર હસી નાખવું જ મુનાસીબ લાગ્યું હશે. યહૂદીધર્મી મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડે ફાંસ્ય હાસ્ય પરનાં પોતાનાં નિબંધમાં આવાં પરિહાસનું એક ઉદાહરણ ટાંક્યું છે: ‘પરોઢીયે એક કેદીને ફાંસી આપવાની હતી. એને ફાંસી માટે માંચડા સુધી લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે બોલી ઉઠ્યો: “લે ત્યારે, દિવસની શુભ શરૂઆત થઇ!”’
હોલોકોસ્ટ દરમ્યાન હાસ્ય અથવા તો પરિહાસની ભૂમિકા ત્રણ પ્રકારની રહી હતી: (૧) જે કંઈ અન્યાયી છે તેની સામેની વિરોધચેષ્ઠા (૨) આતતાયીઓની  સામે ટકી રહેવા જરૂરી એવાં  એકાત્મભાવનો સંચાર (૩) અતિશય શારીરિક-માનસિક યાતનાઓ દરમ્યાન પાગલપણા કે હતાશાના હુમલાથી બચીને માનસિક સંતુલન જાળવી રાખવામાં સહાય.
હોલોકોસ્ટનો પરિહાસ મુખ્યત્વે ટુચકા/jokes સ્વરૂપે પ્રકટ થયો છે. યહૂદી યાતનાકેન્દ્રોમાં હિટલરની આત્મકથા Mein Kampf/મારો સંઘર્ષનો  મશ્કરીમાં Mein Krampf એટલેકે ‘મારો થથરાટ’ તરીકે ઉલ્લેખ થતો! હિટલરની આર્ય સર્વોપરિતાની થીયરીની પણ ભારે ઠીઠીયાંઠોળી કરવામાં આવતી. ક્યાં ઉંચાસરખાં, સોનેરીવર્ણનાં અને માંસલ આર્યો અને ક્યાં આ કદકાઠીમાં સાવ વામણાં દેખાતાં હિટલર, ગોબેલ્સ અને ગોરિંગ! હાસ્યનાં પ્રકોપથી તો હિટલર પણ ડરતો. એ જ કારણસર એણે બર્લોત બ્રેખ્ત જેવાં નાટ્યકારને રાષ્ટ્ર વિરોધી ઠેરવી તેનો દેશનિકાલ કરાવ્યો હતો. અસહ્ય નાઝી યાતનાઓ વચ્ચે પણ નાઝીવિરોધી અનેક ટુચકા ફરતા થયેલાં. ટુચકાઓને ‘અસામાજિક પ્રવૃત્તિ’ લેખવામાં આવતી ને એમાંય નાઝીવિરોધી ટુચકાઓ તો બદલ તો રાજદ્રોહનો આરોપ લગાડવામાં આવતો. અને હા, પોતાનાં શ્વાન અને અશ્વને ‘એડોલ્ફ’ નામ આપવા બદલ અનેક લોકોએ જેલની હવા ખાવા જવું પડ્યું હતું... તો કેટલાંકે આવી બાલિશ રમૂજ બદલ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો.

નાઝી યાત્નાકેન્દ્રોની કાળમીંઢ દિવાલોની વચ્ચે જે સંખ્યાબંધ ટુચકાઓ ઉદભવ્યા અને ખાસ્સાં એવાં પ્રચલિત થયેલાં તે હવે સંગ્રહગ્રંથો અને અભ્યાસગ્રંથો દ્વારા ઉપલબ્ધ છે. તો આવો એમાંની કેટલીક પ્રચલિત યહૂદી રમૂજો જોઈએ...
**************************************************************************
બર્લિનમાં બે યહૂદીઓ વાતો કરી રહ્યાં છે.
“કેવું ભયાનક! આપણને સતત કરવામાં આવતી કનડગત, વંશીય ધોરણે ચાલતો ભેદભાવ, ને એ ઓછું હોય એમ પૂરતું રાશન પણ મળે નહિ... ક્યારેક વિચારું છું કે આના કરતાં કાશ આપણે જન્મ્યા જ ન હોત.”
“ ખરી વાત છે તારી.” બીજો યહૂદી બોલ્યો, “ પણ એવો નસીબનો બળિયો તો પચાસ હજારે એક જ હોવાનો, હોં!”
**************************************************************************
એક યહૂદી પિતા પોતાનાં નાનકડાં દીકરાને ભોજન પહેલાં કૃપાળુનો કેવી રીતે પાડ માનવો એ શીખવે છે:
“જો બેટા, જર્મનીની અત્યારની સ્થિતિ જોતાં પાડ માનવા આવું બોલવાનું: ઓ ઈશ્વર અને ઓ હિટલર, તારો આભાર.”
“પણ ધારોકે હિટલર ગુજરી જાય તો?” દીકરો કુતૂહલવશ બોલ્યો.
“તો તારે ખાલી ઈશ્વરનો આભાર માનવો...” પિતાએ ક્ષણનાં ય વિલંબ વિના જવાબ આપ્યો.
**************************************************************************
જર્મન ફોજ યુદ્ધ મોરચે પીછેહઠ કરી રહી હતી એથી વ્યથિત થઈને હિટલર એક જ્યોતિષને બોલાવે છે. હિટલર જ્યોતિષીને પૂછે છે: “શું હું યુદ્ધ હારી જઈશ?”
“હા.” જ્યોતિષે કહ્યું.
“તો શું મારું મોત થશે?” હિટલરે બીજો પ્રશ્ન કર્યો.
“હા.”
“ મારું મોત ક્યારે થશે?”
“યહૂદીઓનાં ઉત્સવનાં દિવસે તમારું મોત થશે.”
“પણ ક્યાં ઉત્સવનાં દિવસે?”
“જે પણ દિવસે તમે મરશો એ દિવસ યહૂદીઓ માટે તો ઉત્સવ જ હશે.”
**************************************************************************
એલીઝર વિઝ્લ નામનાં એક યહૂદી લેખકન કેટલોક સમય આઉશ્વીત્ઝ છાવણીમાં કેદ હતાં. ત્યાંથી છૂટકારા બાદ તેમણે Night નામનો સ્મરણગ્રંથ લખ્યો હતો. જેમાં બંધકછાવણીમાં કેવાં પ્રકારનું હાસ્ય જોવાં મળતું એ અંગે તેઓ લખે છે:
ટ્રેબલીંકામાં  દિવસભરનો અમારો આહાર હતો વાસી બ્રેડનાં કેટલાંક ટુકડા અને સડેલો સૂપ. એક કેદી તેનાં સાથી કેદીને કહી રહ્યો છે: “એય મોશે, અકાંતરિયાની માફક બહુ ખા-ખા ના કરીશ...તારો ભાર જેમણે ઊંચકવાનો છે એવાં અમારી જરીક તો દયા ખા...”
લાશનો ભાર ઊંચકવા જેવી ધૃણાસ્પદ બાબત પર પણ રમૂજ કરી શકે એ તો યહૂદી ખમીર જ હોય.



Tuesday, December 13, 2016

૪ જુલાઈ,૧૯૦૨: કેવો હતો સ્વામી વિવેકાનંદનાં જીવનનો અંતિમ દિવસ?


મણી શંકર મુખરજી /Sankar
બંગાળનાં સુપ્રસિદ્ધ લેખક-નવલકથાકાર એટલે શંકર. એમનું સાચું નામ તો જાણે મણી શંકર મુખરજી પણ અંગ્રેજી વિશ્વમાં Sankar તરીકે ઓળખાય. 1933માં જન્મેલાં શંકરનાં અત્યાર સુધીમાં 70 પુસ્તકો પ્રકટ થઇ ચૂક્યા છે જેમાં 37 નવલકથાઓ, 5 પ્રવાસવર્ણનો, કેટલીક જીવનકથાઓ, નિબંધો અને બાળવાર્તાઓનો સમાવેશ થાય છે. શંકરની સૌથી વધુ વંચાયેલી-વખણાયેલી કૃતિ એટલે ‘ચૌરંગી’ જેનાં પરથી ઉત્તમકુમાર અને ઉત્પલ દત્તને લઈને 1968માં એક બંગાળી ફિલ્મ પણ બની છે. તેમની અન્ય કૃતિઓ ‘સીમાબદ્ધ’ અને ‘જનઅરણ્ય’ને તો સત્યજીત રે જેવાં વિશ્વવિખ્યાત દિગ્દર્શકે પણ ફિલ્મો બનાવી છે. આ શંકરનું એક જાણીતું પુસ્તક એટલે The Monk as Man. આ પુસ્તક Monk એટલેકે સંન્યાસી એવાં સ્વામી વિવેકાનંદનાં Man એટલેકે સામાન્ય મનુષ્ય તરીકેનાં જીવનનાં અજાણ્યાં પાસાઓથી આપણને અવગત કરાવે છે.

ધ મોન્ક એસ મેન 
આજે વાત કરવી છે ૪ જુલાઈ, ૧૯૦૨નો શુક્રવારનાં દિવસ વિષે. આ દિવસનું વિશેષ મહત્વ એટલાં માટે છે કે સ્વામી વિવેકાનંદનાં જીવનનો આ અંતિમ દિવસ હતો. આ દિવસની સ્વામીજીની દિનચર્યા અને મૃત્યુની ક્ષણોનું વર્ણન રામકૃષ્ણ પરમહંસનાં અનુયાયીઓએ લખેલાં પુસ્તકોમાં નોંધાયેલું છે. પણ સૌપ્રથમ વર્ણન તો જેમને સ્વામી વિવેકાનંદે ‘નિવેદિતા’ નામ આપ્યું હતું એવાં સ્વામીજીનાં આયરીશ અનુયાયી માર્ગરેટ નોબલ તેમની પાસેથી મળે છે. 

સ્વામી વિવેકાનંદનાં જીવનનો અંતિમ દિવસ કેવો હતો? ચાલો, એ દિવસનું વિગતવાર વર્ણન જોઈએ:

વહેલી સવારે:

સ્વામી વિવેકાનંદ એ દિવસે સવારે ખાસ્સા વહેલા ઉઠીને પૂજાખંડમાં પ્રાર્થના માટે જાય છે. એમની તબિયત નાદુરસ્ત હોય એવાં કોઈ ચિહ્નો દેખાતા નથી.

સવારે અલ્પાહાર સમયે:

સ્વામી વિવેકાનંદ ઉપસ્થિત તમામ લોકો સાથે મસ્તીમજાક કરે છે. તે હંમેશની માફક ચા-કોફી-દૂધ લે છે. આ વર્ષની પ્રથમ હિલસા માછલી લાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ સ્વામી પ્રેમાનંદ સાથે વાર્તાલાપ તેમજ ગમ્મતમાં વ્યસ્ત છે. પૂર્વ બંગાળનાં લોકોમાં વર્ષની પ્રથમ હિલસા માછલીની પૂજા કરવાનો રીવાજ હોય છે. એની ખબર હોવાથી સ્વામીજી ગમ્મતમાં પૂર્વ બંગાળનાં એક અનુયાયીને આ હિલસા માછલીનું વિધિસર પૂજન કરવાનું કહે છે. 

સવારની સહેલ:

સ્વામી વિવેકાનંદ સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા નીકળે છે. વાતચીત દરમ્યાન વચ્ચે સ્વામીજી પ્રેમાનંદને કહે છે: “તારે મને શા માટે અનુસરવું જોઈએ? ઠાકુરે (ઠાકુર એટલે રામકૃષ્ણ પરમહંસ) આનો નિષેધ કરેલો છે. મારાં જેવાં ધૂની થવાની જરૂર નથી.”

સવારનાં 8:30:

સ્વામી વિવેકાનંદે સ્વામી પ્રેમાનંદને કહ્યું: “દરવાજા બંધ કરો. અને મારે માટે પૂજાખંડ તૈયાર કરો.” સ્વામી વિવેકાનંદ ધ્યાન કરવાં માટે એકલાં જ પૂજાખંડમાં જાય છે.

સવારનાં 11:00:

સ્વામીજીની ધ્યાનસાધના પૂર્ણ થાય છે, તેઓ બંગાળીમાં ગાય છે:

કાલી,મારી મા, શું સાચે જ શ્યામ છે?

વસ્ત્રવિહીના, એ શ્યામ ભલે ભાસે,

પણ મારાં હ્રદયકમળને દીપાવે. 

સવારનાં 11:30: 

ભોજનનો સમય. સ્વામી વિવેકાનંદ હિલસા કરી અને ભાત તેમજ આંબલ (માછલીની એક વાનગી) મજેથી આરોગે છે. તેઓ બોલ્યાં: “એકાદશીનાં ઉપવાસે તો મારી ભૂખ એવી તો ભડકાવી મૂકી છે કે આ વાસણો ય ગળી જવાની મારી લાલસાને વશમાં રાખતાં મને બહુ કષ્ટ પડે છે!”

બપોરનાં 12:30:

સ્વામી વિવેકાનંદ પંદર-વીસ મીનીટ આરામ કરે છે. પછી તે સ્વામી પ્રેમાનંદને કહે છે, “ચાલો ભાઈ! સંન્યાસીએ દિવસ દરમ્યાન નિદ્રા લેવી જોઈએ નહિ... મને આજે ઊંઘ આવી નહિ. ધ્યાન કર્યા બાદ મારું માથું દુઃખે છે.”

બપોરે 1:00થી 4:00:

ત્રણ કલાક સુધી સ્વામી વિવેકાનંદ બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓને પુસ્તકાલયમાં શિક્ષણ આપે છે. વિષય છે: સંસ્કૃત વ્યાકરણ, અને મોટેભાગે, પાણીનીનું ‘લઘુકૌમુદી’. ત્યારબાદ સ્વામીજી થોડાં થાકેલાં જણાય છે.

4:00

સ્વામી વિવેકાનંદ એક પ્યાલોભરીને ગરમ દૂધ પીએ છે અને સ્વામી પ્રેમાનંદ સાથે બેલુર બજાર સુધી ચાલવા નીકળે છે. બન્ને જણા બે માઈલ જેટલું ચાલે છે. છેલ્લે તો સ્વામીજી આટલાં લાંબા અંતરે ચાલ્યાં નથી.

5:00 

સ્વામી વિવેકાનંદ મઠ પર પાછાં આવે છે. પ્રાંગણમાં આવેલાં એક આંબા નીચે બેસીને કહે છે, “છેલ્લાં કેટલાંય દિવસથી મને ઠીક નથી લાગતું.” કશ ખેંચ્યા પછી તેઓ બાથરૂમમાં જાય છે અને પાછાં ફરીને કહે છે કે હવે પોતાને સારું લાગી રહ્યું છે. સ્વામી રામક્રિશ્નાનંદનાં પિતા ઈશ્વરચંદ્ર ભટ્ટાચાર્ય સાથે થોડોક સમય વાતો કરે છે.

6:30

કેટલાંક સંન્યાસીઓ ચા પીવે છે. સ્વામી વિવેકાનંદ પૃચ્છા કરે છે કે શું પોતાને પણ એક કપ ચા મળશે?

7:00

પ્રાર્થનાનો ઘંટ વાગે છે એટલે સ્વામી વિવેકાનંદ તેમનાં કક્ષમાં જાય છે. તેમની સાથે બ્રહ્મચારી બ્રજેન્દ્ર છે. સ્વામીજી પોતાની જપમાળા માંગે છે અને બ્રજેન્દ્રને કક્ષની બહાર જવા કહે છે. ગંગાને પેલે પાર પૂર્વ દિશાએ આવેલાં દક્ષિણેશ્વર ભણી મુખ રાખીને સ્વામીજી ધ્યાનમાં બેસે છે.

7:45

શિલોંગમાં બીમાર સ્વામીજી  
સ્વામી વિવેકાનંદ બ્રજેન્દ્રને બૂમ પાડે છે, “મને ગરમી લાગે છે. જરા બારીઓ ખોલી નાખો.”. ફરસ પરની પથારીમાં સ્વામીજી આડા પડે છે. તેમનાં હાથમાં જપમાળા છે. બ્રજેન્દ્રને તેઓ કહે છે, “મને પવન નહિ નાખે તો ચાલશે.. પણ શું તું મારાં પગ દબાવીશ?”

9:00

સ્વામી વિવેકાનંદ પથારીમાં જ જમણી બાજુ પડખું ફેરવે છે.તેમનો જમણો હાથ સહેજ વાર ધ્રૂજે છે. કપાળે પ્રસ્વેદબિંદુઓ તરી આવ્યાં છે. એક નાના બાળકની જેમ સ્વામીજી રડી પડે છે.

9:02 – 9:10

સ્વામીજી ઊંડા ઊંડા શ્વાસ લે છે. તેમનું મસ્તક તકિયાની એક બાજુએ ઝુકી જાય છે, આંખો વિસ્તૃત થઇ ગઈ છે. એક દિવ્ય પ્રકાશ અને સ્મિત તેમનાં ચહેરા પર ઉભરી આવે છે.

9:30

સૌ અનુયાયીઓ દોડી આવે છે. શરૂઆતમાં તો સૌને લાગે છે કે સ્વામીજી સમાધિમાં સરી પડ્યા હશે. સ્વામી બોધાનંદ તેમની નાડી માપે છે અને રુદન કરવાં લાગે છે. ત્યાં હાજર લોકોમાંથી કોઈ બોલી ઉઠે છે, “ઝડપથી દોડો અને ડૉ. મહેન્દ્ર મજમુદારને બોલાવી લાવો.” ડૉ. મજમુદાર તો ગંગાની પેલે પાર બારાનગરમાં રહે છે. સ્વામી પ્રેમાનંદ અને નિશ્ચયાનંદ સ્વામી વિવેકાનંદને સમાધિમાંથી જગાડવા માટે મોટે અવાજે ‘રામકૃષ્ણ’નું નામસ્મરણ પોકારે છે.

10:30

ડૉ. મજમુદાર, સ્વામી બ્રહાનંદ અને સ્વામી શ્રદ્ધાનંદ બેલુર મઠ આવી પહોંચે છે. બન્ને સ્વામીઓ સાંજે કલકત્તામાં હોય છે. ડૉ. મજમુદાર સ્વામી વિવેકાનંદને તપાસે છે અને જુએ છે કે સ્વામી વિવેકાનંદનું હ્રદય ધબકતું બંધ થઇ ગયું છે. સ્વામીજીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનો પ્રયત્ન પણ નિષ્ફળ નીવડે છે.

12:00

ડૉ મજમુદાર સ્વામી વિવેકાનંદને મૃત ઘોષિત કરે છે. મૃત્યુનાં કારણમાં તેઓ હ્રદયરોગનો હુમલો દર્શાવે છે.




*************************************************************************



સ્વામીજીની સંભવતઃ અંતિમ તસ્વીર 
જાણીને નવાઈ લાગશે કે સ્વામી વિવેકાનંદને 4થી જુલાઈ સાથે બીજો પણ એક સંબંધ છે. સ્વામીજીનાં અમેરિકન અનુયાયી જેમને સ્વામીજી ‘ધીરા માતા’ કહેતાં એવાં સારા બુલ પાસે રહેલાં પત્રો અને દસ્તાવેજો પરથી ખ્યાલ આવે છે કે ઈ.સ. 1898માં સ્વામીજી પોતાનાં કેટલાંક અમેરિકન અને અંગ્રેજ અનુયાયીઓ સાથે કાશ્મીરનાં પ્રવાસે હતાં ત્યારે ચોથી જુલાઈની સવારે એમણે એક કાવ્ય લખ્યું હતું: To The Fourth of July. ચોથી જુલાઈ એટલે તો અમેરિકાનાં મુક્તિદિનની તિથી. સૂર્યનારાયણને ઉદ્દેશીને લખાયેલું અને મુક્તિની ગરિમા કરતું આ કાવ્ય એમણે સવારનાં ઉપહાર સમયે મોટેથી વાંચી સંભળાવવાનું કહ્યું હતું. 

માઇગ્રેન, અસ્થમા, અપચો, અનિંદ્રા, ડાયાબીટીસ અને હ્રદયની તકલીફો જેવી વિવિધ વ્યાધિઓથી ગ્રસ્ત સ્વામી વિવેકાનંદ માટે 4થી જુલાઈ, 1904નાં રોજ આવેલો હ્રદયરોગનો ત્રીજા હુમલો જીવલેણ નીવડ્યો. સ્વામી વિવેકાનંદ કહેતાં કે પોતે ચાળીસ પણ પૂરા જોઈ નહિ શકે. અને આ બાબતમાં તેઓ સાચાં પડ્યા. તેમનાં ક્ષરદેહની આવરદા ઓગણત્રીસ વર્ષ, પાંચ મહિના અને ચોવીસ દિવસ ભલે નીવડી હોય પણ તેમનાં અક્ષરદેહ – વિચારો અને કાર્યો – ની આવરદા? ઉમદા વિચારોની આવરદા? એ તો અનંત જ હોય ને?



Monday, December 12, 2016

ગુજરાતી ‘ક્લાસિક’ હાસ્યનવલકથાઓ: રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’થી રતિલાલ બોરીસાગરની ‘ભદ્રંભદ્ર અમર છે!’

ગુજરાતી નવલકથાની સાર્ધશતી પ્રસંગે ગુજરાતી હાસ્યનવલકથાઓનો ઉલ્લેખ પણ અનિવાર્યપણે કરવો પડે. હાસ્યનું સર્જન તો મુશ્કેલ કાર્ય છે તેમાંય શિષ્ટ હાસ્યનું સર્જન કરવું તો કોઇપણ લેખક માટે કપરી કસોટી સમાન છે. વળી, આપણે ત્યાં હાસ્યસર્જન બહુધા બકુલ ત્રિપાઠી જેને નિર્બંધિકાતરીકે ઓળખાવે છે તેવા નિબંધ સ્વરૂપે થયેલું છે. નવલકથા સ્વરૂપે હાસ્યસર્જનનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી ભદ્રંભદ્રથી માંડીને ભદ્રંભદ્ર અમર છે!સુધીનાં એક સૈકાથી વધુ વર્ષોમાં દસ-બાર જેટલી જ શિષ્ટ હાસ્યનવલકથાઓ આપણને મળી શકી છે. આમાંની કેટલીક હાસ્યનવલકથાઓ ઉપહાસપ્રધાન છે તો કેટલીક પરિહાસપ્રધાન; કેટલીક મૌલિક હાસ્યનવલકથાઓ છે તો કેટલીક વિદેશી હાસ્યનવલકથાઓનું સ્વરૂપાંતર અથવા તો અનુસર્જન. આમ જોવાં જઈએ તો દશકાની  સરેરાશ એક શિષ્ટ હાસ્યનવલકથા ગુજરાતી ભાષાને મળી છે. અહીં ઉલ્લેખિત હાસ્યનવલકથાઓ હાસ્યસાહિત્યનાં વાચકો-ચાહકોને રસતરબોળ કરવાં ઉપરાંત હાસ્યસર્જન ક્ષેત્રે આગળ વધવા માંગતા નવોદિતોને ચોક્કસપણે માર્ગદર્શકરૂપ થઇ શકે છે. પ્રસ્તુત અંશોમાં આપણી ભાષાનાં સમર્થ હાસ્યનવલકથા-સર્જકોએ ક્યાંક મિથ્યાભિમાની અને આડંબરી પરંપરાવાદીઓ, શિક્ષણ અને રાજકારણમાં વ્યાપ્ત મૂલ્યહાસ્ર, પ્રજા-સેવકોનાં એદીપણા અને સંકુચિત જ્ઞાન પર કરેલી ‘સર્જીકલ સ્ટ્રાઈક’ જોવાં મળશે, તો ક્યાંક કોમિક અને પરિસ્થિતિગત હાસ્ય જોવાં મળશે, તો ક્યાંક અસંગતિ, અતિશયોક્તિ, અવળવાણી, શબ્દરમત, લાઘવ, ઉપમાનાવીન્ય, વ્યાજસ્તુતિ અને વ્યંજનામાંથી ઝરતું નીર્દંશ નર્મમર્મપૂર્ણ હાસ્ય જોવાં મળશે.
ગુજરાતી નવલકથાની સાર્ધશતાબ્દી ઉજવાઈ રહી છે ત્યારે ચાલો દસ પ્રશિષ્ટ ગુજરાતી હાસ્યનવલકથાઓમાંથી પસંદ કરેલાં અંશોનો આસ્વાદ માણીએ...

**************************************************************************************

મેજિસ્ટ્રેટે પૂછ્યું: ‘તમારું નામ શું?’
‘વિદ્યમાન ભદ્રંભદ્ર.’
‘તમારું નામ વિદ્યમાન અને તમારાં બાપનું નામ ભદ્રંભદ્ર? પણ હું ધારું છું કે તમારું પોતાનું નામ જ ભદ્રંભદ્ર લખાયેલું છે. ખરું શું છે?’
‘મારું નામ ભદ્રંભદ્ર છે. પણ હું જીવું છું માટે શાસ્ત્રાધારે પોતાને વિદ્યમાન કહું છું.’
મેજિસ્ટ્રેટ ભદ્રંભદ્ર સામું તાકીને જોઈ રહ્યાં. થોડી વાર પછી તેમણે પૂછ્યું,
‘બાપનું નામ શું?’
‘પ્રશ્નસ્ય અનૌચિત્યમ્.”
“પરશોતમ?’
અમારાં વકીલે ભદ્રંભદ્રને સીધા જવાબ આપવાની શિખામણ દીધી તેથી તેમણે આખરે બાપનું નામ ‘અવિદ્યમાન વિષ્ણુશંકર લખાવ્યું.
‘ધંધો શો કરો છો?’
‘સનાતન આર્યધર્મનાં સદોદિત યશઃપૂર્ણ વિજયનો.’
અમારાં વકીલે ઉઠીને મેજિસ્ટ્રેટને કહ્યું, ‘મારો અસીલ પોતાની વિરુદ્ધ ખોટાં પુરાવાથી ઉશ્કેરાયેલો છે ને  સ્વભાવે પણ જરા ઉગ્ર છે. તેનાં કહેવાનો અર્થ એ છે કે ધંધો ધર્મ વિષે ભાષણ કરવાનો છે.’
(ભદ્રંભદ્ર, ૧૯૦૦. રમણભાઈ નીલકંઠ)
************************************************
આજે ગંગાસ્વરૂપ ગુલાબડોસીને વૈકુંઠવાસી થયાને પાંચેક વર્ષ વીતી ગયાં છે. પરંતુ તે વેળા સૌને લાગતું કે જો જગતમાં કોઇપણ અમર રહેવા સરજાયું હોય તો તે ગુલાબડોસી જ છે. સાધારણ મનુષ્ય તો જરાવારમાં મરી જાય એવા અનેક પ્રસંગો ડોસીના જીવનમાં આવી ગયા હતા, પણ ડોસીનો વાંકો વાળ થયો નહોતો. બધાં ધારતાં કે ડોસીનો સોપારી ચાવવાનો અવાજ સાંભળીને મોત પણ બીએ છે.
પાંચ વર્ષની વયે એ પરણીને સાસરે ગયાં ત્યારે સુરતમાં પ્લેગ બહુ ઉત્સાહપૂર્વક ચાલતો હતો. પ્લેગના ઝપાટામાં એ આવ્યાં. પણ ભાત ખાવા જતાં જેમ કાંકરી ચવાઈ જાય તેમ, પ્લેગ ભોગ લેવા ગયો એમનો, ને વગર દરદે મૃત્યુ પામ્યો એમનો પતિ!
ડોસી બાર વર્ષનાં થયા ત્યારે ફરી પાછાં યમદેવે ભૂલ કરી. એમને કૉલેરા થયો. ડોસીની સૌએ આશા મૂકી; એમને નીચે ઉતારવામાં આવ્યાં. પણ નીચે ઉતારનાર પુરુષ ‘આજે સ્મશાને જવું પડશે’ એમ ઘરે પત્નીને કહેવાં ગયો ને એનું હ્રદય એકાએક બંધ પડ્યું ને એ મૃત્યુ પામ્યો! આ બાજુ ડોસી ‘અહીં મને કોણે હુવાડી? હું કંઈ મરવા જેવડી નથી. હજી તો મારે ઘણાં વરસ કાઢવા છે.’ કહેતાં બેઠાં થયા.
આ પછી પાંચેક વર્ષે ફરી ઘાતનો પ્રસંગ આવ્યો. દારુણ યુદ્ધ કરતા ગોધાઓની હડફેટમાં ડોસી આવી ગયાં. લોહીલુહાણ થઈને બેભાન દશામાં એ જમીન પર પડ્યા. રસ્તે જનારા મનુષ્યોએ દયા લાવી એમને હોસ્પિટલ પહોંચાડ્યા. ત્યાં એક દિવસ બેભાન રહ્યાં. પણ બીજે દહાડે હોસ્પિટલનો ડોક્ટર મરી ગયો ને ડોસી ચાલતાં ચાલતાં ઘરે આવ્યાં.
(અમે બધાં, ૧૯૩૫. ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે)
*******************************************************
પછી શરુ થઇ વાતો. મહેમાનો સાથે જમ્યા પહેલાની વાતો અને જમ્યા પછીની વાતોમાં ફેર હોય છે. આ ભેદ તાત્વિક, સૈદ્ધાંતિક, મૂળભૂત – એવો બધો હોય છે. જમ્યા પહેલાની વાતો અસ્થિર, અર્થહીન, અસંબદ્ધ, અલ્પજીવી હોય છે. જેમકે,
ધૂર્જટિએ અર્વાચીનાના દીવાનખાનામાં પ્રવેશીને જેવી એક ખુરશી ઉપર જગ્યા લીધી કે તરત જ અર્વાચીનાના પિતાજીએ તેને બદલે ઘડિયાળ સામે જોવા માંડ્યું.
‘અગિયાર થયાં.’ તેમણે કહ્યું.
‘તાપ બહુ છે!’ ધૂર્જટિએ જવાબમાં કહ્યું.
અને પછી...
‘બસો બહુ અનિયમિત ચાલે છે!’
‘ત્રીજું વિશ્વયુદ્ધ થશે એમ લાગે છે!’
‘આ શહેરનો કોટ સમરાવવો જોઈએ!’
‘આ રાધાકૃષ્ણન્ અહીં ક્યાંથી?!’
આવી વાતો...
જે વ્યગ્ર ઝડપથી દિવાળીમાં ફટાકડાની સેર ફૂટે તે જાતની વાતો...
જયારે જમ્યા પછીની વાતોમાં એક તારામંડળમાંથી હૃદયંગમ રીતે ઝરતી તેજરેખાઓની જેમ આનંદપ્રકાશનાં સ્ફુલિંગો ઝરે છે.
(આપણો ઘડીક સંગ, ૧૯૬૨. દિગીશ મહેતા)
************************************************************

‘તમે બીજું ગમે તે હશો, દોઢડાહ્યા તો છો જ.’
‘સાહેબ, હું દોઢડાહ્યો હોઉં તો જ આપણી બંનેની સરેરાશ એક આવે ને!’
‘પ્રિન્સીપાલને કહીને હું તમને ડિસમીસ કરાવી દઈશ.’
‘મને ડિસમીસ કરવામાં આવશે તો હું એકાએક જાણીતો થઇ જઈશ! વાહ! કેવું સારું થશે!’
‘રખડી પડશો, રખડી!’
‘મને રખડવાનો શોખ છે. હું રખડવાના આનંદ પર લાંબી ચોપડી લખીશ.’
‘તમને તમારું ભવિષ્ય બગાડવાનો શોખ લાગે છે.’
‘ભવિષ્યની તો કોને ખબર છે? ન્ જાણ્યું જાનકી નાથે, એક તમે જ જાણ્યું કે સવારે શું થવાનું છે!’
અને આખો વર્ગ ભજન ગાવા લાગ્યો. ‘ન્ જાણ્યું જાનકીનાથે...’ કેટલાંક તાલ આપવા લાગ્યા. એકલવ્યે તાલ ખોટા પડે છે એમ કહીને સહુને રોક્યા.
‘હવે તમે મારો વાંક કાઢી નહીં શકો. તમે આખા વર્ગને ગેરમાર્ગે દોરી રહ્યાં છો, મિસ્ટર!’
‘તો તો હું નેતા થઈશ. વાહ! હું નેતા થઈશ. ગેરમાર્ગે દોરવાની શક્તિ હોય તો નેતા થવાય.’
(એકલવ્ય, ૧૯૬૮. રઘુવીર ચૌધરી)
**********************************************************************
ઓઘડભાઈ, હું તો આ નવી પાર્લામેન્ટની ઉઘડતી બેઠકમાં જ બિનસત્તાવાર ઠરાવની નોટીસ આપવાનો છું – ’
‘શાનો ઠરાવ?’
‘હું ઠરાવમાં માંગું છું કે ભેળને હવે પછી આપણા સુવર્ણદ્વીપનાં રાષ્ટ્રીય ફરસાણનો દરજ્જો આપવો – ’
’વન્ડરફુલ, વન્ડરફુલ, મિસ્ટર ઓઘડ!’ અને એમાંના વળી વધારે રીઢા ને વધારે ખંધા મુત્સદ્દીઓએ તો એક નવો જ પ્રસ્તાવ મૂક્યો:
‘ભેળને રાષ્ટ્રીય જ નહિ પણ આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવો જોઈએ.’
‘કેવી રીતે?’
‘એને યુનાઇટેડ નેશન્સનાં ભોજનાલયમાં સ્થાન અપાવીને.’
‘તો પછી ભેળને નિકાસ ઉત્તેજન યોજનામાં દાખલ કરી દેવી જોઈએ – તાબડતોડ.’
‘અને એમાંથી સુવર્ણદ્વીપ સારું હૂંડિયામણ પણ રળી શકશે.’
‘મિલિયન ડોલર આઈડિયા!’
વિદેશી એલચીનું સૂચન વધાવાઈ રહ્યું.
‘ગાર્ડનપાર્ટી’માં રંગ જામી ગયો.
(સધરાના સાળાનો સાળો, ૧૯૬૮. ચુનીલાલ મડિયા)
*************************************************************
મોતીબહેનનું ખરું નામ શું હતું તે કોઈ જાણતું ન હતું. વીસ વર્ષની ઉંમરે તેમનાં હાથમાં પર્લ બકનું પુસ્તક આવ્યું. તે પછીનાં બે મહિનાનાં ગાળામાં તેમણે ઝપાટાભેર બે સામાજિક નવલકથાઓ લખી નાખી ને એ નવલકથાઓ ‘મોતીબહેન બકલવાળા’નાં નામે છપાવી.
શું અંગ્રેજીમાં પર્લને નોબલ પ્રાઈઝ મળે અને ગુજરાતીમાં મોતીબહેનને ન મળે?
અત્યારે તેઓ વરંડામાં ગુસ્સે થયેલી કાબરની માફક ચક્કર ચક્કર ફરતા હતાં. ગઈકાલ સાંજની ટપાલમાં જે છાપું આવ્યું હતું એમાં મોતીબહેની નવલકથા વિષે એક સમીક્ષાત્મક લખાણ હતું. પણ આ તે સમીક્ષા કે સજા? પેલાં દુષ્ટ, હીનમાનસ ધરાવતાં વિવેચકે લખ્યું હતું કે:
‘આ નવલકથાને “હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન”ની જરૂર છે. તો જ બિચારી જીવી શકશે.’
મોતીબહેનની આંખોમાં ક્રોધ, નિરાશા અને વૈરનાં સાથિયા પુરાયા.
‘મારી નવલકથા સમજવા માટે કેવડું મોટું ને મહાન મન જોઈએ?’ (‘મહાન મન’ નવી નવલકથાનાં શીર્ષક માટે અમને પ્રેરણા થઇ આવી.)
કોને કહેવી દિલની વાત (બીજી નવલકથાનું બીજું શીર્ષક) એ દ્વિધામાં એમણે જયદેવને શોધ્યો પણ એ ન મળ્યો. ત્યાં એમને યજમાન દિવાન બહાદુર સાંભર્યા.
‘દિવાન બહાદુર, હું તમારી જ રાહ જોતી હતી. ચાલો મારી સાથે. મારી સાથે ઘોર અન્યાય થયો છે. મારી એ નવી નવલકથા હું તમને વાંચી બતાવું. પછી કહો મને, શું એને નોબલ પ્રાઈઝ ન મળે?’ શ્વાસભેર આટલું બોલી મોતીબહેને એમનો હાથ મજબૂત રીતે પકડ્યો ને સિંહણ હરણનો શિકાર કરી તેને ઘસડતી જાય તેમ મોતીબહેન દિવાન બહાદુરને તેમની નવલકથા ‘રખડુ જમાઈ’ વાંચી સંભળાવવા લઇ ગયાં.
ઇતિહાસનાં રસિક અભ્યાસીઓ! તમારી જિજ્ઞાસા અહીં જ થંભાવી દો. અત્રે એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે બે કલાકને અંતે જયારે દિવાન બહાદુર મોતીબહેનનાં કમરામાંથી બહાર નીકળ્યા ત્યારે જાણે કબરમાં દટાઈને પાછાં નીકળ્યા હોય અથવા તો એમનાં ભૂતપૂર્વ સેક્રેટરીનું ભૂત જોયું હોય તેવા જણાતાં હતાં.
‘બહુ સહન કર્યું. બધું સહન કર્યું પણ આ બે કલાકનું ઓપરેશન! હે પરમાત્મા! રોજ...રોજ...અનંત અસીમ કાળ સુધી મારે આની નવલકથાઓ સાંભળવી પડશે?’
(એક હતા દિવાન બહાદુર,૧૯૭૬. ઈલા આરબ મહેતા)
**********************************************
‘યા આ આ આ આ આ...’ માલાનાં મોંમાંથી ટ્રેનના એન્જિનની વિસલ જેવો અવાજ નીકળી ગયો. એની એકની એક આયા અવાજ સાંભળીને હાંફળીફાંફળી મેડમ માલાના રૂમમાં દોડી આવી. ફિલ્મ-તારિકાઓની આયાઓ ફિલ્મ ચોપાનિયાંઓ વાંચ્યા કરતી હોય છે. પોતાની શેઠાણીઓ વિશે એમને ચોપાનિયાંમાંથી જાણવાનું મળતું હોય છે. માલાની આયા એવું કંઈ દિલધડક ચોપાનિયું વાંચી રહી હતી તેથી એને એવો ભ્રમ થઇ ગયો કે એની મેડમે કોઈના પ્રેમમાં નાસીપાસ થઈને ઊંઘવાની ગોળીઓનો ઓવરડોઝ લીધો હશે અને એની આખરી પળોમાં ચીખી રહી હશે, તેથી એણે આવતાં આવતાં ‘હેલ્પ...હેલ્પ’ની બૂમો મારી.
માલા ‘મદદ મદદ’ના પોકારોથી ચોંકી. પોતાનાં જ ફ્લેટમાં પોતાની આયા ઉપર બળાત્કાર કરવાનો કોઈકે પ્રયત્ન કર્યો હશે અને લાચાર અબળા આયા એની મદદ માંગવા દોડી આવી છે એમ સમજીને અર્ધ પારદર્શક માલા ‘કૌન હે...કૌન હે...’ની ચીસો પાડતી પોતાનાં કબાટમાંથી નકલી રિવોલ્વર કાઢવા દોડી.
આયા ડઘાઈને ઉભી રહી ગઈ. પોતાની મેમસાહેબ પલંગમાં આખરી શ્વાસ લેતાં તરફડી રહી હશે એમ તેણે ધારેલું પણ એને બદલે માલાએ કબાટમાંથી રિવોલ્વર કાઢી.
મેમસાહેબ રિવોલ્વરથી આત્મહત્યા કરવાં માંગે છે એવું સમજી બેઠેલી આયાએ માલા પર તરાપ મારી.
‘મેમસા’બ, મેંય તુમકો મરને નહીં દેગા.’ આયાએ અચાનક મારેલી તરાપથી માલા શરીરનું સમતોલપણું ગુમાવી બેઠી. બંને જણ બેડરૂમનાં મુલાયમ ગાલીચા પર પછડાયા.
(સચ બોલે કુત્તા કાટે!, ૧૯૮૭. તારક મહેતા)
**********************************************************************
આજની સભામાં ભદ્રંભદ્ર પ્રવચન કરવાનાં છે એવા સમાચાર શહેરનાં વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા હતા. આ કારણે લોકોમાં ઉત્તેજના વ્યાપી હોય એમ જણાતું હતું. ભદ્રંભદ્રે કહ્યું, “અંબારામ! જનસમૂહ મારાં દર્શન માટે વ્યાકુળ હોય તેમ જણાય છે. યજમાનોને સીધા વ્યાસપીઠ પર જવા દઈ, આપણે જનસમૂહની વચ્ચેથી માર્ગ કરતા વ્યાસપીઠ ભણી જઈએ જેથી લોકો નિકટથી મારું દર્શન કરી શકે. આપણે યજમાનોને અનભિજ્ઞ રહેવા દઈ એમનાથી પૃથક્ થઇ જઈશું.” આના પ્રતિભાવરૂપે હું કંઈ કહું તે પૂર્વે સોએક જેટલા લોકોનું એક ટોળું અમારી સમીપ આવી પહોંચ્યું અને ભદ્રંભદ્રની જય પોકારવા લાગ્યું. યજમાનશ્રીની સામે જોઈને ભદ્રંભદ્રે પૂછ્યું, “આ આપણા માણસો છે?”
“આમ છે ને આમ નથી.” યજમાને કહ્યું.
“જગત છે ને જગત નથી એવું તમારું કથન ઘણું જ ગહન જણાય છે.”
“મહારાજ! આપની જય પોકારવા માટે અમે આ લોકોને ભાડે લાવ્યા છીએ. દર દસ જય પોકારવાનું વ્યક્તિદીઠ ભાડું એક રૂપિયો છે. દરેક વ્યક્તિ સો જય પોકારશે એટલે વ્યક્તિદીઠ દસ રૂપિયાનો ખર્ચ થશે. સો જય બોલાય ત્યાં સુધી આ આપણા માણસો છે. મજબૂત ગળાવાળા લોકોનો આ કાયમી વ્યવસાય છે.”
“અંબારામ! આવો વ્યવસાય શાસ્ત્રસંમત છે?”
“મહારાજ! બ્રાહ્મણો દક્ષિણા સ્વીકારી સવા લક્ષ જાપ કરી આપે છે. તે જ રીતે આ લોકો દક્ષિણા સ્વીકારી જયઘોષ કરે છે. આમાં શાસ્ત્રથી વિપરીત કશું જણાતું નથી.”
(સંભવામિ યુગે યુગે, ૧૯૯૪, રતિલાલ બોરીસાગર)
**********************************************
“ઓહો! પંડ્યા સાહેબ...તમે જયંતીભાઈને ઓળખો છો?”
“ઓળખો છો એટલે! જયંતીભાઈ તો શું તેમનાં આખા ખાનદાનને ઓળખું છું. જયંતીભાઈનાં દાદા...સાંકળચંદ શેઠ...એટલે વાત ન પૂછો. મેં તેમને જોયેલાં નહિ. પણ મારાં દાદાના એ મિત્ર થાય. મારાં બાપા ઘણી વખત તેમની વાત કરતા. નડિયાદનું નામ રોશન કરનારાં એક હતાં ગો.મા.ત્રિ. અને બીજાં આ જયંતીભાઈના ગ્રાન્ડફાધર. મારા બાપા કહેતા હતા કે લીલો ચેવડો એ સાંકળચંદ શેઠે શોધેલો. ફિલસૂફી અને ફરસાણ એટલે સાહેબ ગો.મા.ત્રિ. અને સાંકળચંદ શેઠ! શેઠ પોતે પાછાં શેરોસુખન. સંગીત, કળા અને લીલો ચેવડો એમની જિંદગી...ગો.મા.ત્રિ. સાથે એમને રોજની ઉઠબેસ...”
“ગો.મા.ત્રિ.?” રાઠોડ સાહેબને સાહિત્ય સાથે કોઈ સ્નાનસૂતક ન હતું.
“યસ સર...ગોવર્ધનરામ...અહા...” પંડ્યા સાહેબ બોલી ઉઠ્યા, “મારા ફાધર કહેતાં કે સાંકળચંદભાઈ તેમની જવાનીમાં ટુ બાય ટુનું સોનેરી કિનારનું ધોતિયું, સફેદ-ઝગ આર કરેલું મોટી કસબી કોરનું અંગરખું, માથે લાલ ચટક પાઘડી અને પગમાં ચકચકતી પોલીશ કરેલી મોજડી, એક હાથમાં ચાંદીની મૂઠવાળી વોકિંગ સ્ટીક, મોઢામાં ક્યારેક મઘમઘતું નાગરવેલનું પાન દબાવીને નીકળે ત્યારે...સાહેબ આખું ઘોડિયા બજાર જોઈ રહેતું... અને સાહેબ સાંકળચંદ શેઠ ચાલતા ચાલતા ગોવર્ધનરામને ત્યાં જતા. અને પછી રંગત જામતી દિવાનખંડમાં... બસ લીલો ચેવડો ખવાતો જાય અને કુસુમસુંદરી, ગુણસુંદરી અને કુમુદ જેવાં પાત્રો...”
“શું વાત કરો છો પંડ્યા? લીલા ચેવડા સાથે આવી લીલા! આ નડિયાદમાં? મને એમ કે સાલું આવું બધું લખનઉમાં થતું હશે! નડિયાદમાં પણ આવું ચાલતું?” રાઠોડ ચોંકીને બોલી ઉઠ્યા. રાઠોડનું અક્ષરજ્ઞાન બોમ્બે પોલીસ એક્ટ અને ઇન્ડિયન પિનલ કોડની ગુજરાતી આવૃત્તિ સુધી મર્યાદિત છે તેનો ખ્યાલ એકાએક ભોગીલાલ રાઈટરને આવ્યો હતો.
(કમઠાણ, ૨૦૦૧. અશ્વિની ભટ્ટ)
*******************************************************
પોલીસો અમને લઈને પોલીસ-સ્ટેશનની અંદર દાખલ થયાં. પરશુ ધારણ કરેલાં પરશુરામ સરખા ભદ્રંભદ્રને જોઈ સામે બેઠેલાં પોલીસ અધિકારી એકદમ ઉભાં થઇ ગયાં. પોલીસ અધિકારી તો આશ્ચર્યનાં આંચકાથી ઉભાં થઇ ગયાં હતાં પણ એમનાં આ આશ્ચર્યભાવે ભદ્રંભદ્રમાં ગેરસમજ પ્રેરી. ભદ્રંભદ્ર સમજ્યા કે પોલીસ અધિકારી પોતાને સન્માન આપવાં ઉભાં થઇ ગયાં છે. એટલે પ્રસન્ન થઈને તેઓ બોલ્યાં: “હે વિવેકચૂડામણિ (વિવેકી લોકોમાં શ્રેષ્ઠ) એવાં આરક્ષક અધિકારી! મારાં જેવાં યુગપુરુષના પાવન ચરણો અહીં પડ્યા તેથી તત્કાલ ઉભાં થઇ મારા પ્રતિ સન્માનનો ભાવ દર્શાવ્યો તેથી હું અતીવ પ્રસન્ન થયો છું.”
પોલીસ અધિકારી દિગ્મૂઢ બનીને ભદ્રંભદ્ર સામે જોઈ રહ્યાં. ક્ષણવાર તો જાણે એમની વાચા જ હરાઈ ગઈ. પછી સહેજ કળ વળતાં એમણે બાજુમાં ઉભેલાં પોલીસને કહ્યું, “આણે મને કંઈ ગાળ દીધી? એ બોલ્યો એવાં શબ્દો તો મેં ક્યારેય સાંભળ્યા નથી.”
પોલીસ-અધિકારીને ન સમજાયા હોય એવાં શબ્દો બીજાં પોલીસને સમજાય એ શક્ય નહોતું. એણે કહ્યું, “સાહેબ, આણે ગાળ દીધી હોય એવું તો એનાં મોઢા પરથી લાગતું નથી. પણ મેંય આવા શબ્દો જિંદગીમાં પહેલીવાર સાંભળ્યા. બાજુમાં પ્રાથમિક નિશાળ છે. તમે કહેતાં હો તો કોઈ માસ્તરને પકડી લાવું; એને કદાચ આ શબ્દોના અર્થ આવડતા હોય!”
“રહેવા દ્યો! કદાચ માસ્તરને ય આ શબ્દો ન આવડતા હોય તો ગૃહખાતાનું ને શિક્ષણખાતાનું – બેયનું ખરાબ લાગે.”
(ભદ્રંભદ્ર અમર છે!, ૨૦૧૪. રતિલાલ બોરીસાગર)

*********************************

(ગુજરાત સમાચારની તારીખ ૧૧/૧૨/૨૦૧૬નાં ગુજરાતી નવલકથા વિશેષ રવિપૂર્તિમાં પ્રકટ થયેલ લેખ આ વેબલીંક પર પણ વાંચી શકાશે: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ravi-purti/ravipurti-hasyanavala-bhadrambhadra-and-5-three-bhadrambhadra-is-immortal-11-december-201)

Sunday, May 22, 2016

વિલિયમ શેક્સપીયર: ‘વ્હોટ ઇઝ ધેર ઇન નેમ?


ફિલ્મ શોલેમાં જય બનતો અમિતાભ એક મજાનો સંવાદ બોલે છે: “તેરા નામ ક્યા હે, બસંતી?” ફિલ્મમાં તો ચાલો ગમ્મતમાં એ સવાલ પૂછાયો છે પણ ‘શેક્સપીયરની કૃતિઓનો કર્તા કોણ?’ એવો પ્રશ્ન પૂછો તો જવાબ ‘શેક્સપીયર’ મળે એ જરૂરી નથી. ગૂંચવાઈ ગયાં? અરે, આપણે જ નહિ પણ મોટા મોટા વિદ્વાનો પણ  શેક્સપિયરની કૃતિઓનાં કર્તુત્વ બાબતે  ગૂંચવાયેલા છે. ‘શેક્સપીયર ઓથરશીપ ક્વેશ્ચન’ નામથી વર્ષોવર્ષથી વિદ્વાનોમાં દલીલો ચાલ્યાં કરે છે જે મુજબ અમુક વિદ્વાનોનું મંતવ્ય છે કે શેક્સપીયર નામનો કોઈ માણસ હતો જ નહિ! અને વિદ્વાનોની આ દલીલનું સમર્થન કરનારાં મહાનુભાવોમાં વોલ્ટ વ્હીટમેન, માર્ક ટ્વેન, સિગ્મંડ ફ્રોઈડ, ચાર્લી ચેપ્લીનનો પણ સમાવેશ થાય છે.  નાટ્યકાર શેક્સપીયરનો જન્મ એવન નદી પર આવેલાં સ્ટ્રેટફોર્ડ ગામમાં થયો હતો. એટલે, આ ‘સ્ટ્રેટફોર્ડવાળા શેક્સપીયર’નાં સર્જકત્વનો  અસ્વીકાર કરનારું એન્ટી- સ્ટ્રેટફોર્ડીયન જૂથ એમ માને છે કે શેક્સપીયર તો એક મુખવટો છે. વાસ્તવમાં, અન્ય લેખક કે લેખકોએ પોતાની કૃતિઓ એને નામે ચડાવી મારી છે. અને આ કહેવાતા  ‘શેક્સપીયર’ની ઉમેદવારીમાં પાછાં બે-પાંચ નહિ કુલ ૮૦ લેખકોનાં નામો ચડેલાં છે! એમાં સર ફ્રાન્સિસ બેકન, એડવર્ડ દી વિઅર, ક્રિસ્ટોફર માર્લો તો ઠીક પણ ખુદ ઇંગ્લેન્ડની રાણી એલીઝાબેથનું ય નામ સામેલ છે!

વિદ્વાનોની મુખ્ય દલીલ એવી છે કે શેક્સપીયરનાં નાટકોમાં છલકાતો વૈવિધ્યપુર્ણ વિષયોની માહિતીનો જ્ઞાનભંડાર, રાણી એલિઝાબેથનાં દરબાર અને રાજરંગની ઝાંખીનો પરિચય તો કોઈ ઉમરાવ કોટિનાં ઉચ્ચશિક્ષિત અને રાજદરબાર સાથે ઘરોબો ધરાવનાર માટે જ સંભવ છે. જયારે વિલિયમ શેક્સપીયર પાસે તો પદ્ધતિસરનું શિક્ષણ, ઉમરાવસહજ વ્યવહારુતા, રાજદરબારની ગતિવિધિઓનાં અંતરંગ પરિચયનો તો અભાવ હતો. એટલે, શેક્સપીયર જેવો ‘અર્ધશિક્ષિત’ અને ‘સામાન્ય’ માણસ આવાં ઉત્તમ કોટિનાં નાટકો લખી જ ન શકે. તો પ્રતિપ્રક્ષ એવી દલીલ કરે છે કે શેક્સપીયરની કૃતિઓનાં ટાઈટલ પેજ, અન્ય સમકાલીન લેખકોએ કરેલાં ઉલ્લેખો અને બપ્તિઝ્માંવિધિ (નવજાત શિશુની નામકરણવિધિ), લગ્ન-મરણતિથી, ટેક્સ રેકોર્ડ્સ, દેવાની ચૂકવણી માટે થયેલાં કેસ અને પ્રોપર્ટીની લે-વેચને લગતાં એ સમયનાં અધિકૃત દસ્તાવેજો શેક્સપીયરનું અસ્તિત્વ અને કર્તુત્વ પ્રસ્થાપિત કરે છે. જાણીને નવાઈ લાગશે કે શેક્સપીયરનાં નામની  આપણે જે અંગ્રેજી જોડણી કરીએ છે - ‘Shakespeare’ – તે જોડણી તો છેક ૨૦મી સદીમાં રૂઢ થઇ છે. બાકી ત્રણસો વર્ષ સુધી તો તંત્રીઓ-પ્રકાશકો શેક્સપીયરનાં નામની જોડણી બાબતે એકમત નહોતાં! એ તો ઠીક પણ  શેક્સપીયર પોતે ય ક્યાં પોતાનાં નામની જોડણી બાબતે એકમત હતો? એ સમયનાં ઉપલબ્ધ દસ્તાવેજોમાં શેક્સપીયરની અલગ-અલગ છ પ્રકારની સહી જોવાં મળે છે જેમાં કોઈકમાં Willm Shakp લખેલું છે, તો કોઈમાં William Shakspere કે પછી William Shakspēr !

તો આવો, ‘શેક્સપીયર’ માટેનાં કેટલાંક પ્રબળ દાવેદારોનો પરિચય કરીએ:

(૧) રાણી એલીઝાબેથ
   
રાણી એલીઝાબેથ જ શેક્સપીયર હતી એવું માનનાર વિદ્વાનોનો વર્ગ કોઈ અનામી ચિતારાએ દોરેલાં એલીઝાબેથનાં ‘આર્માડા’ પોર્ટ્રેઇટ  અને માર્ટીન ડ્રોએશાઉટએ કરેલાં શેક્સપીયરનાં પોર્ટ્રેઇટની સરખામણી કરે છે. તેમનાં મત મુજબ શેક્સપીયરનાં આ પોર્ટ્રેઇટમાં કેટલીક ‘ભેદી સંજ્ઞા’ છુપાયેલી છે. ઈ.સ્. 1995માં લીલીયન શ્વાર્ત્ઝ નામની અમેરિકન કલાવિદને શું સૂઝ્યું કે એણે કમ્પ્યુટર ટેકનીકની મદદ વડે બન્ને ચિત્રોને એકમેક પર ગોઠવીને ‘સ્કેલીંગ’ કરતાં જોયું કે બન્ને ચહેરા અને નાકનકશામાં આશ્ર્ચર્યજનક રીતે ઘણું સામ્ય છે! વિશેષ તો આંખ, નાક અને ચહેરાની ગોળાઈ હુબહુ મળતી આવે છે. બાદમાં ‘સાયન્ટીફીક અમેરિકન’માં છપાયેલાં પોતાનાં એક લેખમાં લીલીયને એવું પ્રતિપાદિત કર્યું કે રાણી એલીઝાબેથ જ પોતે જ શેક્સપીયર ‘હોઈ શકે’ છે. 

ઉલ્લેખનીય છે કે જે યુગમાં સ્ત્રીઓ શાળાકીય શિક્ષણથી જોજનો દૂર હતી એ યુગમાં હેન્રી(આઠમાં)ની આ ‘દબંગ’ પુત્રીએ એક રાજકુમારી તરીકે લેટીન,ગ્રીક,ફ્રેંચ, ઇટાલીયન ભાષાઓનું અને અનુવાદકલાનું જ્ઞાન વિલિયમ ગ્રીનડલ અને રોજર એશામ જેવાં માનવતાવાદીઓ પાસેથી મેળવ્યું હતું. જેણે પોતે હોરાસ અને પ્લુટાર્ક જેવાં ક્લાસિકલ લેખકોનાં અનુવાદ કર્યા હોય, કેટલીક કાવ્યરચનાઓ જેનાં નામે બોલતી હોય, જેનાં પ્રવચન અને પત્રાચાર પ્રભાવશાળી હોય તેવી એલીઝાબેથ  નાટ્યરસિક ન હોય એ તો સંભવી જ ન શકે ને? એલીઝાબેથ પોતે તો પ્રસંગોપાત નાટકો જોતી અને સર રોજર નાઉનટનનાં કહેવા મુજબ તેણે યુરીપીડીસનાં નાટકનો ગ્રીકમાંથી પોતાનાં નિજાનંદ માટે અનુવાદ પણ કર્યો હતો. આ કલાપારખું રાણીએ પોતાનાં રાજ્યમાં સાહિત્ય અને કળાને ઉત્તેજન આપ્યું હતું પણ હા, આ ક્ષેત્રોમાં સંપૂર્ણપણે પુરુષોનો ઈજારો હતો. અરે, નાટકોમાં  જેને મૂછનો દોરો ય ફૂટ્યો નથી એવાં નમણાં યુવાનો સ્ત્રી-પાત્રોનો અભિનય કરતાં. એવાં ઈજારાશાહીનાં સમયમાં અને કદાચ પોતાનાં પદ અને પ્રતિષ્ઠાને ઝાંખપ ન લાગે એટલે એલિઝાબેથે ‘શેક્સપીયર’ તરીકે જ પ્રકટ થવાનું બહેતર ધાર્યું હશે!

(૨) સર ફ્રાન્સિસ બેકન 

એલીઝાબેથન યુગનાં અગ્રણી વિચારક, નિબંધકાર, અને કાયદાવિદ્ વૈજ્ઞાનિક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં સર ફ્રાન્સિસ બેકનની ‘શેક્સપીયર’ હોવાની  મજબૂત દાવેદારી હોય  એ વાત સમજી શકાય એમ છે. છેક 1857માં અમેરિકન લેખિકા ડેલીયા બેકને  શેક્સપીયર અને બેકનનાં લખાણોનો તુલનાત્મક અભ્યાસ કરીને એમાં જોવાં મળતી આંખે ઉડીને વળગે એવી સમાનતાઓને આધારે જાહેર કર્યું કે બેકન જ શેક્સપીયર હતો. મિસિસ હેન્રી પોટે 1883માં બેકનની એક કૃતિ ‘Promus’ સંપાદિત કરી ત્યારે જોયું કે શેક્સપીયર અને બેકન બન્નેની 4,440 જેટલી વૈચારિક અભિવ્યક્તિમાં સામ્ય પ્રવર્તે છે. બેકનનાં પક્ષમાં દલીલ મજબૂત થવાનું કારણ ઘણાને મતે શેક્સપીયરનાં નાટકોમાં આવતાં કાયદાકીય ઉલ્લેખો છે. 

(૩) એડવર્ડ દી વિઅર , ઓક્સફર્ડનો 17મો ઉમરાવ

રાણી એલીઝાબેથનાં મહત્વનાં દરબારીઓમાંનાં એક એટલે એડવર્ડ દ વેર. દરબારી-કવિ એવાં આ એડવર્ડ દી વિઅરની સાહિત્ય અને નાટકનાં  આશ્રયદાતા તરીકે ઘણી નામના હતી. જોન લીલી અને રોબર્ટ ગ્રીન જેવાં એલિઝાબેથન યુગનાં ઉંચા ગજાના લેખકોએ પોતાની કૃતિઓ એડવર્ડ દી વિઅરને અપર્ણ કરી હતી. લંડનનાં નાટ્યમંચ અને નાટ્યમંડળીઓ સાથેનો ઘરોબો, રાણી એલીઝાબેથ અને દરબારનો અંગત પરિચય, ઉચ્ચ શિક્ષણ, અને ખાસ તો શેક્સપીયરનાં નાટકોમાં આવતાં ફ્રાંસ અને ઈટાલીનાં સ્થળો આવરી લેતા પ્રવાસોનાં કારણે  એડવર્ડ દી વિઅર જ અસલી શેક્સપીયર હોય એવી શંકા જાય એમાં બેમત નથી. જે. ટોમસ લૂની નામનાં અંગ્રેજીનાં સ્કૂલટીચરને તો ‘હેમ્લેટ’ કૃતિ વાંચીને વિચાર આવ્યો કે હેમ્લેટનો લેખક ચોક્કસ કોઈ દરબારી કવિ જ હોઈ શકે અને વધુ સંશોધનને અંતે એમને એડવર્ડ દી વિઅર અને શેક્સપીયરની કવિતાઓમાં ઘણું સામ્ય જડી આવ્યું. એટલે, 1920માં Shakespeare Identified નામનું પુસ્તક લખીને લૂનીએ એડવર્ડ દી વિઅરને જ શેક્સપીયર તરીકે દુનિયા સમક્ષ ધરી દીધો!

પણ એડવર્ડ દી વિઅરે પોતે શેક્સપીયર તરીકેનો મુખવટો શું કામ રાખવો પડે? તો આ પ્રશ્નનો જવાબ કંઇક એવો મળે કે એલિઝાબેથન યુગમાં ઉમરાવવર્ગનાં લેખકોનો  પ્રકાશન પ્રત્યેનો અભિગમ સૂગાળવો હતો અને જાહેરપ્રજાનાં મનોરંજન માટે લખાયેલાં નાટકોનાં લેખક તરીકેનો યશ લેવામાં એમને નાનપ લાગતી હતી.

Was Shakespeare A Fruad? થીમ લઈને 2011માં આવેલી Anonymous ફિલ્મમાં એડવર્ડ દી વિઅરને શેક્સપીયરનાં નાટકોનો ‘અસલી સર્જક’ દર્શાવવામાં આવ્યો છે અને શેક્સપીયરને એક દોંગો નાટ્યકાર!

(૪) ક્રિસ્ટોફર માર્લો:

ઉંમરમાં શેક્સપીયરથી બે મહિના જ નાના અને શેક્સપીયર જેવાં જ સામાન્ય પરિવારમાંથી આવતા કવિ-નાટ્યકાર ક્રિસ્ટોફર માર્લોએ કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં સાડા છ વર્ષ અભ્યાસ કર્યો હતો. અંગ્રેજી નાટકોમાં ‘બ્લેન્ક વર્સ’ ને પ્રચલિત કરવામાં માર્લોનું મોટું યોગદાન છે. 30 May, 1593 નાં માર્લોનું કેવળ 29 વર્ષની વયે ખૂન  થયું હતું. એ દિવસે ડેપ્ટફોર્ડમાં આવેલાં ભોજનગૃહ માર્લો પોતાનાં ત્રણ સાથીઓ – ઇન્ગ્રામ ફ્રીઝર, રોબર્ટ પોલી, અને નિકોલસ સ્કીરીસ સાથે હાજર હતો અને કોઈ બાબતે માથાકૂટ થતાં ઇન્ગ્રામ ફ્રીઝરે માર્લોની આંખમાં ખંજર હુલાવી દીધું હતું. પણ માર્લો જ શેક્સપીયર હોઈ શકે એવું માનનારો વર્ગ ધરાર કહે છે કે માર્લોનું મૃત્યુ ઉપજાવી કાઢેલી ઘટના છે જેથી માર્લો પોતાની પર નાસ્તિક મત અને ઈશનિંદા બદલ ચાલનાર મુકદમો અને પરિણામસ્વરૂપ મળનારા શિરોચ્છેદની સજામાંથી છટકી શકે. પછી શેક્સપીયર તો કેવળ મુખોટો, ને વાસ્તવમાં બધી કમાલ તો માર્લોની કલમની! માર્લોનાં અવસાન પછીનાં 13મા દિવસે શેક્સપીયર પોતાની પ્રથમ કૃતિ ‘Venus and Adonis’ રજૂ કરે છે. એટલેકે, માર્લોનું મૃત્યુ = શેક્સપીયરનો જન્મ! 

*******************************************

આપણે ત્યાં જેમ ‘સંચિત’નાં કાવ્યો ‘કલાપી’નાં નામે ચડ્યા અને ‘મરીઝ’ની ગઝલો ‘તબીબ’ની ગઝલો થઇ એવું જ કંઇક ઇંગ્લેન્ડનાં આદ્ય નાટ્યકાર શેક્સપીયરની કૃતિઓનાં કર્તુત્વ બાબતે થયું છે. કર્તુત્વ અંગેના દાવા-પ્રતિદાવા ચાલ્યાં કરવાના અને અટકળોનું બજાર પણ ગરમ રહેવાનું પણ સચ્ચાઈ સુધી પહોંચવું હવે અશક્ય લાગે છે કારણકે શેક્સપીયરનાં અવસાનને પણ હવે 400 વર્ષ થયાં છે અને શેક્સપીયરનાં યુગનાં કોઈ નવાં દસ્તાવેજો આપણને સાંપડે એવી શક્યતા નહીવત છે.

‘જગત એક રંગમંચ છે.’ અને ‘વ્હોટ ઇઝ ધેર ઇન નેમ?’ એવું કહી જનાર નાટ્યકાર શેક્સપીયર પોતે જ નામનાં વિવાદમાં સપડાય એ પણ જગતનાં રંગમંચ પર સમય અને નિયતીરૂપી પાત્રો દ્વારા ભજવાતું વધુ એક રસપ્રદ નાટક જ છે ને! 

('ગુજરાત સમાચાર'ની રવિપૂર્તિનાં શેક્સપીયર વિશેષાંક અંતર્ગત તારીખ ૨૪-૦૪-૨૦૧૬નાં પ્રકટ થયેલ લેખ)