Saturday, May 25, 2024

હિતોપદેશ (વાર્તા-૮: કાગડો અને તેતર)

 

વાર્તા-૮: કાગડો અને તેતર

એક વખત કોઈએક જંગલમાં આવેલા ઘટાદાર વૃક્ષો પર અનેક પ્રકારનાં પક્ષીઓ વસવાટ કરતા હતા. આ બધા જ પક્ષીઓ – કાગડા, પોપટ, તેતર અને ચકલીઓ – પરસ્પર સંપીને રહેતા હતા. કાગડા સ્વભાવે ચપળ હતા. તેઓ તેમનો માળો પર્ણસમૃદ્ધ વૃક્ષો પર બનાવતા હતા, તો સ્વભાવે હોંશિયાર એવા પોપટને માળા બાંધવા ફળાઉ વૃક્ષો અનુકૂળ આવતા હતા. તેતરની ચાલ જરા ધીમી, એટલે એમને જમીનસરસા માળા બાંધવાનું ફાવે, અને આકાશમાં સ્વૈરવિહાર કરતી ચકલીઓને તો માળા બાંધવા વૃક્ષોની બખોલ પર્યાપ્ત થઇ રહેતી.

વૃક્ષોની એ વનરાજિ નજીક એક સરોવર આવેલું હતું. આ સરોવરને કારણે પક્ષીઓને ખોરાક કે પાણીની શોધમાં દૂર સુધી ક્યારેય ભટકવું પડ્યું નહોતું. શિયાળો બેસે ત્યારે તેઓ હૂંફાળા પ્રદેશોમાં ચાલ્યા જતા અને ગ્રીષ્મ વખતે પુનઃ અહીં પરત ફરતા.

એક વર્ષ એવું આવ્યું કે ગ્રીષ્મમાં એવો તો ભયાનક તાપ પડ્યો કે આ સરોવરનું બધું પાણી સૂકાઇ ગયું. પક્ષીઓએ સરોવર નજીક આવેલું એક પાણીનું ઝરણું શોધી કાઢ્યું. પણ આ ઝરણું પણ દિવસે દિવસે સુકાતું જતું હતું. ચિંતાતુર પક્ષીઓએ દૂરનાં પ્રદેશો સુધી પાણી માટે શોધ ચલાવી પણ એમને ઘોર નિરાશા જ મળી કારણકે આ ઝરણા સિવાય ક્યાંય પાણીનો બીજો કોઈ સ્ત્રોત હતો નહી.  વળી, આ ઝરણું પણ સૂકાઇ જવાને આરે આવી પહોંચ્યું હતું. એટલે તાત્કાલિક પક્ષીઓની ચર્ચાસભા બોલાવવામાં આવી.

સૌ પક્ષીઓ ઝાડની ડાળીઓ પર સૂન્ન થઈને બેઠા હતા કારણકે સૌને ખબર હતી કે હવે ફક્ત એક દિવસ જેટલો ચાલે એટલો જ પાણીનો પુરવઠો બચ્યો હતો.

અધીર  સ્વભાવનો કાગડો સૌથી પહેલા બોલ્યો, “ આપણે દરિયા ભણી પ્રયાણ કરવું જોઈએ. એ રસ્તે આપણને ચોક્કસ નદી કે સરોવર જોવા મળશે.” દરેક નદી આખરે તો દરિયાને જ મળતી હોય છે એ સર્વવિદિત તર્કને આધારે સૌ પક્ષીઓ તરત જ કાગડાનાં આ પ્રસ્તાવ પર સંમત થયા.

પોપટે ઉમેર્યું, “આપણે આ ઉડ્ડયનને એક યાત્રા ગણીયે જેથી આપણે ગરુડદેવ પ્રત્યેની આપણી આસ્થા અને આદર પ્રકટ કરી શકીએ.” સૌ પક્ષીઓ ગરુડદેવને દિવ્ય પક્ષી ગણતા અને એમનો આદર કરતા. વળી, તે દેવનું વાહન હોવાથી ‘પક્ષીરાજ’ તરીકે પણ ઓળખાતું હતું. સૌ પક્ષીઓને એમ હતું કે ગરુડદેવ દરિયાની નજીક વસે છે. એટલે, સૌ આ વિચાર સાથે સંમત થયા હતા.

પક્ષીઓએ જોડીમાં ઉડવાનું નક્કી કર્યું જેથી કોઈ વિખૂટું પડી ન જાય. ચપળ કાગડાઓની જોડી ધીમી ગતિએ ઉડતા તેતર સાથે બનાવવામાં આવી જેથી ઉડ્ડયનની ગતિમાં સંતુલન જળવાઈ રહે. બપોરના સમયે સૌએ વિસામો લેવો એમ પણ નક્કી કરવામાં આવ્યું. પાંચેક દિવસમાં નિર્ધારિત સ્થળે પહોંચી શકાય એ પ્રમાણેનું પક્ષીઓએ આયોજન કર્યું.

બીજે દિવસે સવારે સૂરજ ઉગતાં જ પક્ષીઓએ પોતાની સફર શરુ કરી.  સૂરજ થોડોક માથે ચડતા ગરમી વધી. એટલે સૌથી પહેલા તેતર થાકી  ગયા. તેઓ વૃક્ષો નીચે વિસામો લેવા રોકાયા. બાકીનાં પક્ષીઓએ પણ એ પ્રમાણે કર્યું. કાગડાઓને આવા અણધાર્યા વિસામા સામે અણગમો હતો. એટલે એમણે પોતાનો અણગમો પ્રકટ કર્યો.

પોપટ અને ચકલીઓએ એમને શાંત કરતા કહ્યું, “આપણે સૌ અહીં એકમેકના બંધુઓ છીએ. એટલે, સમાન હેતુની પ્રાપ્તિ માટે એકમેકને સહાય કરવાની આપણી ફરજ છે.”

તેતરોને એમની પડખે ઉભા રહેલા પક્ષીઓના શબ્દોથી રાહત થઇ. અલ્પ સમયનાં આ વિસામા દરમ્યાન એમણે આજુબાજુથી જીવડાં શોધીને ખાધા અને ત્યારબાદ ઉડ્ડયન માટે તેઓ ફરીથી સજ્જ થયા.

પક્ષીઓએ ઉડ્ડયન ફરીથી શરુ કર્યા પછી જંગલને છેવાડે આવેલા કોઈ ગામ આગળ પહોંચ્યા. ગામમાં પ્રવેશતા પોપટની તીક્ષ્ણ નજર એક કૂવા પર ગઈ જેના થાળા પર પાણીથી ભરેલી બાલદીઓ મૂકેલી હતી. આજુબાજુ કોઈ માણસ નજરે ન પડતા એમણે એ બાલદીઓમાંથી પાણી પીવાનું નક્કી કર્યું. સાવચેતીથી સૌ પક્ષીઓ વારાફરતી બાલદીઓની નજીક ગયા અને ધરાઈને પાણી પીધા પછી ફરીથી ઉડ્ડયન શરુ કર્યું.

સૂરજ ડૂબ્યો નહિ ત્યાં સુધી પક્ષીઓ ઉડતા રહ્યા. મુસાફરીથી થાકેલા પક્ષીઓએ એક વિશાળ વડનું વૃક્ષ જોતા એની વડવાઈઓ પર રાત્રિરોકાણ કરવાનું નક્કી કર્યું. પાંખોને સંકોરી વડવાઈઓ પર ગોઠવાઈ ગયા પછી તેઓ નિરાંતે પોઢી ગયા. બીજે દિવસે સૌ સવારે વહેલા ઉઠી ગયા. કાગડાઓને તેતરો અંગે ફરિયાદ હોવાથી એક ચર્ચા  માટે સભા ભરાઈ.

“આ તેતરો તો ઉડવામાં સાવ ઢીલાઢસ છે! આ રીતે તો આપણે પહોંચી રહ્યા! એ લોકો એમની રીતે પાછળ પાછળ ઉડતા આવે એ વધારે સારું રહેશે.” કાગડાઓએ કકળાટ કર્યો.

તેતરોએ જવાબમાં કહ્યું, “ભાઈસાબ, આ કાગડાઓ તો બહુ તેજ ગતિએ ઉડે છે! તેઓ તો ખાઈ-પીને  આરામ પણ બરાબર કરે છે, તો ય એમને આટલી ફરિયાદ શાની?”

પક્ષીઓની આ સભામાં ભારે કોલાહલ થઇ રહ્યો હતો કારણકે પક્ષીઓ બે જૂથોમાં વહેંચાઇ ગયા હતા – કેટલાક પક્ષીઓ કાગડાઓનાં પક્ષે હતા તો કેટલાક તેતરોને પક્ષે.

ચકલીઓએ સમાધાન માટે ટહેલ નાખી. તેમણે સૂચન કર્યું કે બધાં જ પક્ષીઓ જ્યાં સુધી થાકી ન જાય ત્યાં સુધી સૌએ ઉડવાનું રહેશે. સૌએ ચકલીઓની વાત માની લીધી.  

પક્ષીઓએ બીજી સવારે ઉડવાનું શરુ કર્યું અને સારું એવું અંતર સવારનાં પહોરમાં જ કાપી લીધું. વિશાળ મેદાનો, પર્વતીય ખીણ, અને સેંકડો જંગલો એમણે પસાર કરી નાખ્યા. ઉડ્ડયન દરમ્યાન પક્ષીઓ એકબીજાને પોરસ પણ ચડાવતા જતા હતા. તેતર અને કાગડાઓએ આ ઉડ્ડયન દરમ્યાન શાંતિ જાળવી રાખી. બપોરનાં સમયે થોડો વિશ્રામ લીધા પછી એમણે પુનઃ ઉડવાનું શરુ કર્યું.

સાંજ પડતા સુધીમાં તેઓ એક ગામ આગળ આવી પહોંચ્યા. સૌએ અહીં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું. એટલે, અન્ય પક્ષીઓએ વૃક્ષો પર અને તેતરોએ ઝાડીઝાંખરાઓમાં આશ્રય લીધો.

આ પક્ષીઓએ જે જગ્યાએ આશ્રય લીધો ત્યાં નજીકમાં ગાયો ચરી રહી હતી. એ ગાયો ચરાવતા ગોવાળે દહીં અને માખણની હાંડી એક વૃક્ષ નીચે મૂકેલી હતી. અંધારું થાય એટલે પાછા વળતા એ ગામનાં ચોકમાં વેચવા માટે તે દહીં અને માખણ લઇ આવતો હતો.   

મોટા ભાગનાં પક્ષીઓ થાકી ગયા હતા એટલે ધીમા અવાજે વાતો કરતા આરામ ફરમાવી રહ્યા હતા. લાંબી મુસાફરી દરમ્યાન એમની વચ્ચે મૈત્રી વિકસી હતી. એક અટકચાળા કાગડાને શું સુઝ્યું કે એ ઉડીને દહીં અને માખણની હાંડી સુધી આવી ચડ્યો. “આહા! આ તો મજાનું!”  દહીં અને માખણની મીઠી સુગંધ લેતા એણે વિચાર્યું. વૃક્ષ નીચે બેઠેલા ગોવાળની આંખ મળી જતા એ તો મીઠી નિંદ્રામાં સરી પડ્યો હતો. એટલે, કાગડાને તો મોકળું મેદાન મળી ગયું. એણે તો હળવેકથી દહીંની હાંડીમાં ચાંચ ડૂબાવી. દહીં ઘણું સ્વાદિષ્ટ હતું એટલે એણે બીજી કેટલીક વાર ચાંચ ડૂબાવી દહીંના સબડકા ભરી લીધા!  પણ ત્યાં જ ગોવાળે પડખું ફેરવતા એ ઉડીને પાછો પોતાના સ્થાને જઈને ગોઠવાઈ ગયો.



એણે બીજા કાગબંધુઓ આગળ પોતે કેવી ગૂપચૂપ રીતે દહીં ખાઈ આવ્યો એની શેખી મારી. કાગડાની આવી અવળચંડાઈ અંગે સાંભળીને શાણા કાગબંધુઓએ એને આ રીતે દહીં ખાવા સામે ચેતવ્યો. એક વ્યવહારડાહ્યો કાગ બોલ્યો, “ પેલો ગોવાળ તને રખે જોઈ જશે તો ભયંકર ગુસ્સે થશે. એટલે, અટકચાળો કરવાનું રહેવા દેજે ભાઈ! કાલે સવાર પડે એટલે આપણે અહીંથી ચાલ્યા જવાનું છે.” અવળચંડા કાગડાએ ડહાપણભરી વાત એક સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી.  એ તો પાછો પેલા વૃક્ષ નીચે જઈને ચોરીછૂપીથી હાંડીમાંથી દહીં ખાવા લાગ્યો.

જોકે કાગડાને ખબર નહોતી કે એની જાણ બહાર એક તેતર પણ એનો પીછો કરતા અહીં આવી ચડ્યું હતું. કાગડાએ દહીં ખાવાનું શરુ કર્યું ત્યાં તો એની નજર આ તેતર પર પડી!  કાગડાએ એને કહ્યું, “જો, આપણે વારાફરતી હાંડીમાંથી દહીં ખાઈશું. આ વખતે તું ધ્યાન રાખ હું જતો આવું છું.” તેતરે કાગડાની વાત માની લીધી. કાગડાએ જઈને હજુ તો ચાંચ હાંડીમાં ડૂબાવી ત્યાં જ ગોવાળ જાગી ગયો. એણે હાંડી નજીક કાગડાને જોઇને એને ઉડાડી મૂકવા હાકોટો કર્યો. ડરેલો કાગડો તો ઝટપટ ત્યાંથી પોબારા ગણી ગયો. આ બાજુ આખો દિવસ ઉડવાથી થાકેલું તેતર ઝડપથી દોડીને ઝાંખરામાં છુપાઈ જાય એ પહેલા તો ગોવાળે એને ઝડપી લીધું અને એને મારી નાખ્યું.

પક્ષીઓને આ જોઈને ઘણું દુઃખ થયું અને સૌ એ જ ક્ષણે ત્યાંથી ઉડી ગયા. શાણી ચકલીઓએ અન્ય પક્ષીઓને કહ્યું, “ વ્યક્તિએ સોબત બાબતે સાવધ રહેવું જોઈએ. જો તેતરે એ અવળચંડા કાગડાનો વાદ ન કર્યો હોત તો એણે આમ પોતાનો જીવ ગુમાવવો ન પડત.”

વધુ કેટલાક દિવસો સુધી ઉડ્યા બાદ તેઓ સૌ દરિયાકાંઠે પહોંચી ગયા અને સંપીને આનંદપૂર્વક રહેવાનું શરુ કર્યું.

***********
આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ / Artificial Intelligence(AI)-generated

No comments:

Post a Comment