Thursday, May 30, 2024

વાર્તા -૧૧: ઘંટ અને વાનરો

કોઈ એક જંગલમાં બે શિયાળ ભ્રમણ કરી રહ્યા હતા. અચાનક ક્યાંકથી એક મોટો અવાજ એમને કાને પડ્યો. એમણે જોયું તો એક બળદ નજીકમાંથી પસાર થઇ રહ્યો હતો. એ જોઇને એક શિયાળે બીજા શિયાળને કહ્યું, “આ બળદને આપણે આપણા સિંહ રાજા પાસે લઇ જવો જોઈએ.” બીજા શિયાળે આ સાંભળીને કહ્યું, “ના, ભાઈ! આ એટલા જોરથી બાંગરે છે તો શી ખબર એ કેટલો કદાવર હશે?”  પહેલા શિયાળે કહ્યું, “અરે ના! તે પેલી ઘંટ અને વાનરોની વાર્તા નથી સાંભળી? એ વાર્તા મુજબ આપણે સ્ત્રોત જાણ્યા વગર કેવળ અવાજ સાંભળીને જ ભય પામવું જોઈએ નહિ.તો લે સાંભળ એ વાર્તા...”

એક સમયની આ વાત છે જયારે એક પર્વતની તળેટીમાં કોઈ એક નગર વસેલું હતું. એ નગરમાં વસવાટ કરતા નગરજનોમાં એવી માન્યતા હતી કે એ પર્વતની ટોચ પર કોઈ રાક્ષસ વસે છે. નગરનાં રાજાને પણ આ કારણોસર પોતાની રૈયતની ચિંતા રહેતી હતી. રખે કોઈક દિવસ એ રાક્ષસ નગરમાં આવીને પ્રજાજનોનું ભક્ષણ કરી ગયો તો!

આમ લોકો આવી માન્યતાથી ભય પામતા હતા પણ વાસ્તવિકતા સાવ જુદી જ હતી. એક વખત એક લુંટારો નગરનાં મંદિરનો ઘંટ ચોરીને નાસી છુટ્યો હતો. ચોરી કર્યા પછી તે પર્વતને રસ્તે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક વાઘે એને ફાડી ખાધો.

એ ઘંટ પછી ઝાડીઝાંખરામાં પડી ગયો હતો જે ખોરાકની શોધમાં ભટકતા વાનરોને મળી આવ્યો હતો.વાનરોએ એ ઘંટ ઉપાડી લીધો અને એનો મધુર ગુંજારવ સાંભળીને તેઓને મજા પડી એટલે એમણે તો વારંવાર તે ઘંટ વગાડવા માંડ્યો! આ અવાજ છેક પેલા નગરમાં સંભળાતો અને લોકો ભયથી થથરી જતા. એમને એવું લાગ્યું કે રાક્ષસે પેલા ચોરને મારી નાખ્યો હશે અને નગરજનોને ચેતવણી આપવા એ ઘંટ વગાડતો હશે.

જોકે નગરમાં વસતી એક સ્ત્રીને આ ઘંટ વાગવા પાછળનું રહસ્ય શોધી કાઢવાની તાલાવેલી થઇ આવી. એટલે એણે પોતે જ આની તપાસ કરવા જવાનું બીડું ઝડપ્યું. એને અંદેશો હતો કે કોઈ પ્રાણીનું જ આ કારસ્તાન હોવું જોઈએ. એટલે, એણે રાજાને વિનંતી કરી કે મને પર્વત પર તપાસ કરવા જવા દો. આ સાથે તેણે રાજા પાસે રાક્ષસને શાંત કરવા માટે જરૂરી ધનરાશિની પણ માંગણી કરી. રાજાએ પણ રાજીખુશીથી એ સ્ત્રીને જોઈતું ધન આપીને પર્વત પર તપાસ કરવા જવાની પરવાનગી આપી.

એ સ્ત્રીએ આ ધન વડે ભવ્ય ધાર્મિક ઉજાણી કરી અને ગણેશજીની પૂજાઅર્ચના કરી. ત્યારબાદ તે પોતાની સાથે ફળોનો કરંડિયો લઈને પર્વત તરફ જવા નીકળી પડી. એ તરફ આગળ જતા એને વનમાં વાનરો જોવા મળ્યા. એણે જોયું તો વાનરો પાસે પેલો ઘંટ હતો અને એનાથી તેઓ રમી રહ્યા હતા. એણે યુક્તિ કરીને કરંડિયામાંથી થોડાક ફળો કાઢીને વાનરોને ધર્યા એટલે વાનરો ઘંટને પડતો મૂકીને ફળો ખાવા માંડ્યા.

પેલી સ્ત્રી એ ઘંટને લઈને નગરમાં પાછી આવી ગઈ. સૌ નગરજનોને આ વાતથી આશ્ચર્ય પામ્યા અને એ સ્ત્રી સૌનો ભારે આદર અને સન્માન પામી.

વાર્તા પૂરી કર્યા પછી શિયાળે કહ્યું, “ એટલે જ હું કહું છું કે સ્ત્રોત જાણ્યા વગર કેવળ અવાજથી જ ભય પામવો જોઈએ નહિ.”

ત્યારબાદ, બન્ને શિયાળ એ બળદને સિંહ પાસે લઇ ગયા. સિંહરાજાએ બળદનું સ્વાગત કર્યું અને પછી એ બળદ જંગલમાં આનંદપૂર્વક રહ્યો.

એક દિવસ એ સિંહરાજાનો એક ભાઈ સિંહરાજાની મુલાકાતે આવ્યો.સિહરાજાએ એનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું એના માટે તાજાં માંસની વ્યવસ્થા કરી.

બળદે પૂછ્યું, “ઓ રાજા, આજે જે મૃગનો શિકાર કર્યો હતો તેનું માંસ ક્યાં છે?”

સિંહરાજાએ જવાબ આપ્યો, “એ તો બધું ખવાઈ ગયું.”

બળદે કહ્યું, “ એવું કેવી રીતે બને, મહારાજ? શું શિયાળ આટલું બધું માંસ ખાઈ ગયા? એમણે તો આપને આની જાણ પણ ન કરી.”

સિંહરાજાએ કહ્યું કે કે કેટલુંક માંસ ખાધું, કેટલુંક નાખી દીધું, અને કેટલુંક માંસ બગડી ગયું.

બળદે આ સાંભળીને સિંહરાજાને સલાહ આપતા કહ્યું, “રાજાને એના મંત્રીઓ કોઈવાતની જાણ પણ ન કરે તે વાત ઉચિત નથી. રાજાની જીવાદોરી રાજકોષ છે, મંત્રીઓ નહિ. અતિવ્યય, લૂંટ, અને ભ્રષ્ટાચાર રાજકોષનાં નાશનું કારણ બને છે. કોઈ પૂંજીપતિ પણ જો અવિચારીપણે ધનનો વ્યય કરે તો ઝડપથી તે નિર્ધન બની જાય છે.”

સિંહરાજાનો ભાઈ આ સંવાદ છુપાઈને સાંભળી રહ્યો હતો. એણે પણ પ્રકટ થઈને બળદની વાતમાં સંમત થવા સાથે ઉમેર્યું, “ ભાઈ! આ બન્ને શિયાળ ઘણા સમયથી તમારી સેવામાં છે. હાલમાં તેઓ સંધિ-વિગ્રહ મંત્રીઓ ભલે હોય પણ એમને રાજકોષની દેખરેખનું કામ આપવું જોઈએ નહિ. સાંભળો...”

“ બ્રાહ્મણ, ક્ષત્રિય, અને ભાઈભાંડુંને રાજકોષનું નિયંત્રણ કરવાની સત્તા આપવી જોઈએ નહિ. કારણકે, રાજાનો હુકમ હોવા છતાં બ્રાહ્મણ સ્વભાવગતરીતે કૃપણ હોવાથી કોઈ ખર્ચ કરવા રાજી થશે નહિ, જયારે ક્ષત્રિય રાજાનાં હુકમનો પણ અનાદર કરી પોતાનું ધાર્યું કરશે. તો બીજી બાજુ, ભાઈભાંડું તો કૌટુંબિક સંબંધને કારણે રાજકોષનું ધન પાણીની જેમ વાપરતા ખચકાશે નહિ.”

“ લાંબા સમયથી સેવામાં હોય એવા રાજસેવકને નોકરીની સલામતીની ખાતરી થઇ જતા એ મરજી મુજબ ધનખર્ચ કરવા લાગે છે.”

“ તો, વ્યક્તિને કોઈ પદ સોંપવામાં આવે ત્યારે તે પહેલું કામ સમ્રગ વસ્તુસ્થિતિ જાણી લઇ પોતાને મળેલા પદ દ્વારા મહત્તમ લાભ કેવી રીતે મેળવી શકાય એમ વિચારે છે. રાજાનો બાળગોઠિયો પણ રાજસેવક હોય તો સ્વયં રાજા હોય એ રીતે વર્તે છે. વળી, ગાઢ પરિચયને કારણે એ રાજાનું અપમાન કરવામાં પણ નાનપ અનુભવતો નથી.”

“જો કોઈ ખલપ્રકૃતિની વ્યક્તિ મંત્રી બને છે તો તે રાજાના નિકંદનમાં કારણરૂપ થાય છે. વળી, એક વખત કોઈ મંત્રી સફળ રહે છે તો તેને પદચ્યુત કરવો મુશ્કેલ છે. મંત્રીઓ ભ્રષ્ટ અને બેદરકાર હોઈ શકે છે, અને અન્યનાં પ્રભાવમાં આવીને પણ વર્તી શકે છે. તેઓ મંત્રીપદ ભોગવવાને કારણે મળતી સુખસાહ્યબીનાં આદી થઈને ક્યારેક ઉચિત-અનુચિતનો વિવેક પણ ભૂલી જાય છે.”

સિંહરાજાના ભાઈએ છેલ્લે કહ્યું, “રાજાનો ધર્મ સ્પષ્ટ છે – એણે મંત્રીઓ પાસેથી નીતિ કે અનીતિથી મળેલ ધનને પોતાની પાસે રાખવા ઉપરાંત અધિકારીઓ ઉપર નિરીક્ષણ રાખવું જોઈએ. અને છેલ્લે, રાજાએ વ્યક્તિઓની યોગ્યતા મુજબ એમને માનપત્રો અને સન્માન આપતા રહેવું જોઈએ. અપ્રમાણિક મંત્રીઓ પર કડકાઈથી કામ ચલાવવામાં આવે ત્યારે જ એમણે અનીતિથી ભેગું કરેલું ધન પાછું મેળવી શકાય છે. જેમ ભીનાં વસ્ત્રને સૂકવવા એને નીચોવવું પડે છે તેમ જ એવા મંત્રીઓને દંડ કરવો પડે છે. રાજાએ આ બધી વાતોનું ધ્યાન રાખવું જ રહ્યું કારણકે રાજ્યમાં કટોકટી ક્યારે સર્જાય એ તો કોણ કહી શકે છે?”

આ સાંભળીને સિંહરાજા બોલ્યા, “ તે સાચું જ કહ્યું. એ બન્ને શિયાળ મારા મંત્રીઓ હોવા છતાં મારો હુકમ માનતા નથી.”

એટલે ભાઈએ સિંહરાજાને કહ્યું, “ એ બરાબર નથી. હુકમનો અનાદર કરનારને રાજાએ ક્યારેય ક્ષમા આપવી જોઈએ નહિ. આ નિયમમાં કોઈ જ અપવાદને સ્થાન નથી. જરૂર પડે તો એ પોતાના પુત્રોને પણ દંડ આપી શકે. કારણકે, જો રાજા પોતાના પુત્રોને દંડ ન આપી શકતો હોય તો એનામાં અને સામાન્ય પ્રજાજનમાં શું ફેર રહ્યો?”

“ યશસ્વી વ્યક્તિ પણ જો આળસ દાખવે તો એનો યશ અલોપ થઇ જાય છે. ગેરવર્તણુક મૈત્રીનો અંત આણે છે. ધનસંચય કરવામાં જ રચ્યોપચ્યો રહેનાર કર્તવ્યવિમુખ થઇ જાય છે. વ્યસનો વિદ્યાવિનાશ નોતરે છે. તો, બેદરકાર પ્રધાનોને કારણે રાજ્યનો નાશ થાય છે.”

“આમ, રાજાએ લુંટારા, દુશ્મનો અને ભ્રષ્ટ મંત્રીઓથી તેમજ પોતાના લોભથી પ્રજાની પિતાતુલ્ય થઈને રક્ષા કરવાની છે. તો ભાઈ, મારી સલાહ માનો કારણકે હું પણ આપની જેમ જ મારું રાજા તરીકેનું કર્તવ્ય મારા રાજ્યમાં બજાવું છું. આ બળદને, જેનો આહાર મકાઈદાણા છે, તેને ખજાનચી બનાવી દો.”

સિંહરાજાએ પોતાના ભાઈની સલાહ માનીને બળદને ખજાનચી બનાવ્યો. સિંહ અને બળદ એકબીજાનાં એવા તો ઘનિષ્ઠ મિત્રો બની ગયા કે એમને અન્ય કોઈની મૈત્રીનો ખપ ક્યારેય પડ્યો નહિ.

***********
આ વાર્તા આપને ગમી??? તો આવી બીજી રસતરબોળ કરનારી ૩૭ વાર્તાઓ વાંચવા- વંચાવવા માટે ઘરબેઠા "હિતોપદેશ" પુસ્તક એમેઝોનની લિંક પરથી કરો ઓર્ડર:
પુસ્તક સાથી Pustak Saathi ( અરિહંત બુક્સ ભાવનગર ) પરથી પણ WhatsApp દ્વારા પુસ્તક ૨૦% વળતર સાથે મંગાવી શકાશે : https://wa.me/c/919824294075

ગુજરાતી અનુવાદક / રજૂઆતકર્તા : ઈશાન ભાવસાર
તમામ તસ્વીરો: ઇન્ટરનેટ / Artificial Intelligence(AI)-generated

No comments:

Post a Comment