Sunday, November 25, 2018

રખડે એ રાજા: પ્રવાસની પાઘડીમાં હાસ્યનું છોગું!

ગુજરાતી પત્રકારત્વનું સન્માનનીય નામ એટલે લલિત ખંભાયતા. દસેક વર્ષથી પત્રકારત્વક્ષેત્રે કાર્યરત અને હાલ ‘ગુજરાત સમાચાર’માં પ્રવર્તમાન ખબરો અંગે ‘સમયાંતર’ અને વિદેશી ફિલ્મોનો આસ્વાદ કરાવતી ‘પરદેશી પ્રોફાઈલ’ જેવી લોકપ્રિય કોલમ લખતા લલિતભાઈની કલમ વિજ્ઞાન અને ટેકનોલોજી, ફિલ્મ, ઈતિહાસ, પુરાતત્વ, સંશોધન, સાહિત્ય વગેરે જેવા વિવિધ વિષયો આવરી લે છે. પણ એમનો પ્રિય વિષય એટલે પ્રવાસ. જોકે વાત લલિતભાઈની થતી હોય તો એમની સાથેના વિશેષ પરિચયે મારે કહેવું પડે કે ‘પ્રવાસ’ કરતા પણ ‘રખડપટ્ટી’ને એ વધુ પસંદ કરે.

અગાઉ ‘બ્રેવહાર્ટસ’ અને ‘જેમ્સ બોન્ડ ૦૦૭’ જેવા પુસ્તકો આપી ચૂકેલા લલિત ખંભાયતા આ વખતે જેની ક્યારની રાહ જોવાઈ રહી હતી એવા પ્રવાસવર્ણનનાં પુસ્તક સાથે ફરીથી હાજર થયા છે. સામાન્યતઃ ગુજરાતી પ્રવાસપુસ્તકોનાં નામ ન હોય એવું નવતર નામ પણ ખોળી લાવ્યા છે: રખડે એ રાજા. પુસ્તકની પ્રસ્તાવનામાં જ એમણે આ નામ અંગે ફોડ પાડતા કહ્યું છે કે પોતાના ગામમાં નાનપણમાં મિત્રો પાસેથી સાંભળવા મળતું: ‘ભણે એ ભીખારી, રખડે એ રાજા’. જોકે ભણતરનું પણ ઉચિત મહત્વ છે એવું સ્વીકારવા સાથે એમણે પ્રવાસને પણ સ્વાનુભવે થતું ભણતર તરીકે ઓળખાવ્યું છે.

આમ તો લલિત ખંભાયતાએ ઘણા પ્રવાસો કર્યા છે પણ અહીં એમાંથી પસંદગીનાં દસ પ્રવાસવર્ણનો સામેલ છે જે વાચકોને દક્ષિણ આફ્રિકા, ચંપારણ, મસુરી, ઉત્તર બંગાળ, અને અમેરિકાની સફર કરાવવાની સાથે ગાંધી દર્શન ટ્રેનમાં ફેરવતા ફેરવતા ગીરનાં જંગલમાં આવેલા કનકાઈ મંદિરે પણ લઇ જશે.

પ્રવાસવર્ણનમાં પણ જે રીતે ‘જર્ની ટૂ ધ સેન્ટર ઓફ ધ અર્થ’ જેવા જુલે વર્નની વિજ્ઞાનકથા જેવા પુસ્તકો, ‘ગોલ્ડ ફિંગર’, ‘સ્કારફેસ’, ‘કાલા પથ્થર’ અને ‘ધ ગ્રેટ એસ્કેપ’ જેવી ફિલ્મો, ‘હિસ્ટરી’ ચેનલ, તારક મહેતાએ કરેલું વિલ્ડબીસ્ટનું વર્ણન, આફ્રિકન સિંહને જોઇને કવિ દાદની ‘જોગી જટાળો અને ભૂરી લટાળો’ની અને ગેંડાનાં શરીરને ઉપરકોટનાં કિલ્લાની શબ્દઉપમા, ઈ.સ. ૧૯૨૭માં પ્રથમ વખત એટલાન્ટીક પાર ઉડ્ડયન જેવા સંદર્ભો લલિત ખંભાયતાની રેંજ અને ડેપ્થ બતાવી આપે છે. એ પ્રવાસવર્ણન તો તમે વાંચશો ત્યારે ખરું પણ અત્યારે તો આ પુસ્તકમાં પ્રવાસની પાઘડીમાં હાસ્યનાં છોગાં સમાન લાગતા અંશો તમારી સાથે વહેંચું છું...

--- હેવલીનભાઈ ભારે રમૂજી હતા. ગાઈડમાં હોવા જોઈએ એવા બધા જ ગુણ એમનામાં હતા, જેથી પ્રવાસીઓ કોઈ રીતે કંટાળે નહિ. અમે કંઇક પૂછીએ અને અમને ન સમજાય તો ‘સે અગેઇન...’ કહેવાની તેમની સ્ટાઈલ જાણે દિવાળીબેન લોકગીત ગાતા હોય એવી હતી.

--- અજાણ્યો દેશ, અજાણ્યું શહેર, અને અજાણી વાનગીઓ... આખા સ્થળનાં બે ચક્કર મારી લીધા. તગારામાં વીંછી ફરતો હોય એમ ફરતા સાથીદારો વચ્ચે અરસપરસ પૂછપરછ થતી હતી કે ‘તમે શું ખાવાના...તમને કંઈ મળ્યું...’ વગેરે.

--- ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે ચાલવાનું હતું. પણ ચાલી શકાય એવું દર વખતે બનતું નથી, ભલે ઘરમાં ટાઈમ મેનેજમેન્ટની બે-ત્રણ ચોપડીઓ હોય તોય...!

--- એકાદ વ્યક્તિ પાસે પાવરબેંક હતી એ પણ સાંજ પડ્યે ૫૦૦-૧૦૦૦ની જૂની નોટોની માફક પાવરલેસ થઇ જતી હતી.

--- અચ્છા કોઈની પાસે સંપત્તિ ફાટફાટ થતી હોય તો ત્યાંથી સોનું ખરીદવાની છૂટ. દીવાલ પર રોજ રોજ સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ લખેલો હતો. ખરીદવું હોય એ આવે આગળ. બધા આગળ આવ્યા પણ દરવાજેથી બહાર નીકળવા માટે!

--- આજે ગાંધીજીએ ચંપારણમાં સત્યાગ્રહ કરવાના થાય તો એક સત્યાગ્રહ મચ્છર વિરુદ્ધ પણ કરવો પડે.

--- બિહારી છાણા સાવ અલગ પ્રકારના. મગદળ જેવા. જાણે અમરેન્દ્ર બાહુબલીના હાથમાં શોભતો દંડૂકો જોઈ લો.

--- પુલ શરુ થયો ત્યારે ખબર પડી કે ઇન્દિરા ગાંધી યુગમાં બનેલો આ પુલ વર્તમાન કોંગ્રેસની માફક ખખડી ગયો છે અને તેનું પણ કોંગ્રેસની જેમ જ નવસર્જન જરૂરી છે.

--- થેલામાંથી બોટલ કાઢીને વિનોદભાઈએ સૌથી પહેલા અમને ફુદીના તથા અન્ય સ્થાનિક પેડ-પૌધા મિક્સ કરેલું શરબત પીવડાવ્યું. ત્યારે ખબર નહોતી કે હમણાં આ શરબત પરસેવા સ્વરૂપે નીકળવાની શરૂઆત થશે.

--- આયોજન સરસ હોવાની અમે ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ ખબર પડી કે આખા ડબ્બામાં મોબાઈલના ચાર્જીંગ પોઈન્ટ ક્યાંય નથી! ટ્રેન ઉપડી એની પંદર જ મિનીટમાં સૌ કોઈ ગાંધીયુગમાં પહોંચી ગયા છે, જ્યાં મોબાઈલ ફોન જેવા કોઈ ઉપકરણો ન હતા!

--- અમારા દિવ્યેશ વ્યાસ પેન્ટ્રી કાર પાસે આંટાફેર કરતા હતા. એમને જોઇને રેલ્વે મેનેજરે કહ્યું કે આવો મારી સાથે! ક્યાં? પેન્ટ્રી કારનું ઉદઘાટન કરવા!

--- રસ્તામાં એક શેરડીના રસની દુકાને સ્કીમ હતી – ‘પાંચ રસ સાથે એક રસ ફોકટ (ફ્રી).’ રસ ફોકટ મળતો હોય તો કોને રસ ન પડે!

--- ટ્રેનમાં પૂરતી સુવિધા મળતી નથી એવો એક ગણગણાટ ચાલુ થઇ ગયો હતો. એમાં વળી આ યુવાન એવી શેખી મારતો હતો કે ટ્રેન ચાલકોને ખબર નથી કે મારી ઓળખાણ છેક મામલતદાર સુધી છે!

--- અહીંથી બ્રિન્દાબા નામના આશ્રમે જવાનું છે. બસો ઉપડી અને બધાને એમ લાગ્યું કે વૃંદાવન જઈ રહ્યા છીએ. મોટાભાગનાને ભૂગોળ ખબર નહોતી એટલે હમણાં વૃંદાવન આવશે એવી અપેક્ષાએ બધા ઉત્સાહિત હતા.

--- એક સમયે કાશીમાં કરવત મુકાવવા જતા હતા. આજેય કરવત મૂકાય છે, પણ પ્રવાસીઓના ખિસ્સા પર.

--- મંદિરમાં બધું કઢાવી નાખે પણ પાકીટ રહેવા દેતા હતા તેનું રહસ્ય અહીં સમજાયું. પાકીટ વગર મંદિરમાં લક્ષ્મી ક્યાંથી આવે!

--- બાકી વિસા એજન્ટોનો અનુભવ હશે એ જાણતા હશે કે એકાદ પ્રવાસ થઇ જાય એટલા રૂપિયા તો એકલા એજન્ટ ઉશેટી જાય!

(‘રખડે એ રાજા’ ની કિંમત રૂ.૨૨૫/- છે, પ્રકાશક છે ‘બૂકશેલ્ફ’, આ પુસ્તક અત્યારે ચાલી રહેલા ‘અમદાવાદ નેશનલ બુકફેર’માં સ્ટોલ નંબર ૧૨૧-૧૨૨ પરથી પણ મેળવી શકાશે.)

No comments:

Post a Comment